સાબરકાંઠા (હિંમતનગર)14 મિનિટ પહેલા
- કૉપી લિંક

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરના બાયપાસ રોડ પર આવેલી કલરવ સોસાયટીના એક બંધ મકાનને ચોર ઇસમોએ નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 1.33 લાખની ચોરી કરી નાસી ગયા હતા. આ ઉપરાંત ઈડરના કસ્બા વિસ્તારમાં રોકડ અને સોના-ચાંદીના દાગીના સહીત 91 હજારની મત્તાની ચોરી થઇ હતી. આમ બે ચોરી અંગે હિંમતનગર ગ્રામ્ય અને ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી.
ચોર CCTV કેમેરામાં કેદ
આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર મહેસાણાના ગણપત યુનિવર્સીટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા કિરણ રામચંદ્ર અમીન ટોલ પ્લાઝાની બાજુમાં બાયપાસ રોડ પર આવેલ કલરવ રેસીડેન્સી સોસાયટીમાં રહે છે. તેઓ સામાજીક કામ અર્થે તેમના મોટા ભાઇના ઘરે પાલનપુર ગયા હતા. તે દરમિયાન કોઇ અજાણ્યા ચોર ઇસમોએ બંધ મકાનનુ તાળુ તોડી બેડરૂમમાં રાખેલી ટ્રોલી બેગમાં મુકેલ રોકડ રકમ રૂપિયા 25 હજાર તથા સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 1.33 લાખની ચોરી કરી નાસી ગયા હતા. જોકે ઘરમાં લગાવેલ CCTV કેમેરા જોતા 19મી ડિસેમ્બરના રાત્રીના સમયે એક અજાણ્યો ઇસમ ઘરનુ તાળુ તોડી ઘરમાં પ્રવેશ કર્યો અને બીજો ઇસમ ઘરની બહાર ઉભો હોવાનુ જોવા મળ્યુ હતુ. ચોરીના બનાવ અંગે કિરણ રામચંદ્ર અમીને હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

મકાનનું તાળુ તોડી તિજોરી લૂંટી
ઇડરના મોટા કસ્બા વિસ્તારમાં એક મકાનમાં ચોર ઇસમોએ તાળુ તોડી તિજોરીમાં રાખેલ રોકડ રકમ રૂપિયા 43 હજાર તથા સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 91 હજારની ચોરી કરીને નાસી ગયા હતા. જે ચોરીના બનાવ અંગે તબસ્સુબાનુ તોફિકમીયા શેખે ઇડર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.