Rajkot: પૂજાબેન પટેલને દિવ્યાંગ બાળકો માટેની તેમની પ્રવૃતિ માટે રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો છે. પૂજા પટેલે વર્ષોથી દિવ્યાંગ બાળકોની સંસ્થા સાથે જોડાયા છે અને 200 જેટલા દિવ્યાંગ બાળકોના ઘડતરમાં યોગદાન આપી રહ્યા છે.

રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત પૂજા પટેલ
એક માતાને જ્યારે તેમનો પુત્ર જન્મથી જ દિવ્યાંગ છે તેવી જાણ થાય તો ગમે તેવી માતા પણ એક વખત હિંમત હારી જાય છે. પરંતુ રાજકોટની એક એવી મહિલા છે કે જેમણે હિંમત હારી નહીં પરંતુ પોતાના પુત્રને પોતાની હિંમત બનાવીને તેના જેવા 200 જેટલા દિવ્યાંગ બાળકોની જશોદા બનીને તેના જીવન ઘડતરની નેમ લીધી હતી. આ મહિલાનું નામ છે પૂજા પટેલ. પૂજાબેન દિવ્યાંગ બાળકોની સંભાળ લેવા માટે પ્રયાસ પેરેન્ટ્સ નામની સંસ્થા વર્ષોથી ચલાવે છે અને આજે તેના આ કામની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવામાં આવી છે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે તેમને એવોર્ડ આપવામાં આવ્યો છે.
દિવ્યાંગ પુત્રએ બદલી નાખ્યુ જીવન
રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પૂજાબેન પટેલે કહ્યું હતું કે શ્રીમદ ભાગવત ગીતોનો શ્લોક છે કર્મ કરતા રહો, ફળની ચિંતા ન કરો. આ સિદ્ધાંત પર હું કામ કરૂ છું. મારો દીકરો દોઢેક વર્ષનો હતો ત્યારે મને તે દિવ્યાંગ હોવાની જાણ થઈ હતી. જયપુરમાં સીબીસીના હેડ ડો. એસ.જે. સીતારામન પાસે પુત્ર વાસુની સારવાર ચાલતી હતી. એક વખત વિદેશી ડોક્ટરોની એક ટીમ જયપુર આવી ત્યારે ડૉ. સીતારામને પૂજાબેનને નિષ્ણાંત ડોક્ટરોની સલાહ લેવા માટે સુચન કર્યુ હતું. પુત્ર વાસુને તપાસીને વિદેશી ડોક્ટરોએ સમજાવ્યું કે, આ બાળક આજીવન આવુ જ રહેશે. ત્યારથી જ દીકરાને અનહદ પ્રેમ આપીને ઉછેરવાનો સંકલ્પ કર્યો હતો.
રાજકોટમાં દિવ્યાંગ બાળકોની સંસ્થા સાથે જોડાઈ 200 જેટલા દિવ્યાંગોનુ ઘડતર કર્યું
સમય જતાં જયપુરની એક ખાસ બાળકોની શાળામાં વાસુને દાખલ કર્યો હતો. આ શાળાની મુલાકાત લીધી ત્યારે સમજાણું કે, મારે એકને જ નહીં ઘણી માતાઓને વાસુ જેવા અને ઘણાને તો વાસુ કરતા પણ વધારે તકલીફવાળા બાળકો છે. આ સંસ્થાની પ્રવૃતિ જોઇને પૂજાબેને સંકલ્પ કર્યો કે, મારે પણ ગુજરાતના માનસિક દિવ્યાંગ બાળકો માટે કંઇક કરવું છે. ત્યારબાદ પોતે પતિ સુરેશભાઇ સાથે રાજકોટ આવ્યા અને 2012માં માનસિક વિકલાંગ બાળકો માટેની સંસ્થા પ્રયાસ પેરેન્ટસ એસોસિએશન સાથે જોડાયા હતા.
આ સંસ્થામાં જોડાયા ત્યારે 4થી 5 બાળકો આ સંસ્થામાં આવતા હતાં. અત્યારે 200 જેટલા માનસિક દિવ્યાંગ બાળકો આ સંસ્થાનો લાભ લઇ રહ્યા છે. દિવ્યાંગ બાળકો અને તેના વાલી માટે પોતે જુદા જુદા કેટલાય પ્રકલ્પો ચલાવી રહ્યાં છે. 200 દિવ્યાંગ બાળકોને તદ્દન ફ્રીમાં જ વિવિધ પ્રવૃતિ શીખવવામાં આવી રહી છે.
સંસ્થામાં આ બાળકોને સંગીત-ચિત્ર વગેરે જેવી કળાઓની મદદથી તાલીમ અપાય છે. અહીં તેઓ ડાઉ સિન્ડ્રોમ, સેરેબ્રલ પાલ્સી, મલ્ટીપલ ડિસેબિલિટી અને ઓટીઝમગ્રસ્ત બાળકોને તાલીમબધ્ધ કરે છે. સંસ્થાનો પ્રથમ ઉદેશ બાળકોને પોતાનું રોજીંદુ કાર્ય જાતે કરતા શીખવવાનો છે. આ ઉપરાંત તેમને અહીં રિડિંગ, રાઇટિંગ, ડાન્સ અને કૂકિંગ પણ શીખવવામાં આવતું હોવાનું તેમણે કહ્યું હતું.
દિવ્યાંગ બાળકોને ઉત્તમ સાધન સુવિધા આપવાનુ લક્ષ્ય
આ સંસ્થા માટે કોર્પોરેશને પણ મોટું બિલ્ડીંગ બનાવી દીધું છે. જેમાંથી બે માળ સંસ્થાને આપવાના છે. એક પણ બાળક પાસેથી ફી લેવામાં આવતી નથી. હવે તો ચૂંટણી પંચ પણ દિવ્યાંગ બાળકોને આઇકોન તરીકે લે છે. મારા દીકરાની વાસુની ઉંમર હાલ 16 વર્ષની થઇ ગઇ છે. પૂજાબેને કહ્યું હતું કે મારો મુખ્ય ઉદેશ હવે દિવ્યાંગ બાળકોની દેખરેખ રાખવી છે. મારે હવે બાળકો માટે સ્વર્ગ બનાવવું છે. તેમજ 10 દિવ્યાંગ બાળકને સંસ્થામાં નોકરી અપાવી પગભર કર્યા છે. તેમજ નબળા વિચાર ધરાવતા દિવ્યાંગ બાળકોના માતા-પિતાને મોટીવેશન પણ કરૂ છું.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પૂજા પટેલની કામગીરીને બિરદાવી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પૂજાબેનની કામગીરી માટે કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં, વિકલાંગતાને ક્યારેય જ્ઞાન કે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવામાં અવરોધ ગણવામાં આવી નથી. એવા અસંખ્ય ઉદાહરણો છે જેમાં આપણા દિવ્યાંગ ભાઈઓ અને બહેનોએ તેમની હિંમત, પ્રતિભા અને દ્રઢ નિશ્ચયના બળે જ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.
શિક્ષણ એ વિકલાંગ વ્યક્તિઓ સહિત દરેક વ્યક્તિના સશક્તિકરણની ચાવી છે. ખાસ દિવ્યાંગ બાળકો માટે શિક્ષણને વધુ સુલભ બનાવવા આપણે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ તેવું મારૂ માનવું છે. આ સાથે જ દિવ્યાંગોને આત્મનિર્ભર બનવા અને જીવનમાં આગળ વધવા માટે પ્રેરિત કરવાની અપીલ પણ તેમણે કરી હતી.