4 મિનિટ પહેલા
- કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ લગાવશે છેલ્લી ઘડીનું જોર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠક પર મતદાન થયું હતું. પહેલાં તબક્કામાં 62.89 મતદાન થયું છે. ત્યારે બીજા તબક્કાના મતદાનની તૈયારીઓ ભાજપ, કોંગ્રેસ અને આપ તથા અન્ય પાર્ટીઓ દ્વારા ચાલી રહી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને આપના પંજાબના સીએમ ભગવંત માન ચૂંટણી પ્રચાર કરશે અને પોતાની પાર્ટીના ઉમેદવારો માટે મત માગશે.
ભાજપના ચૂંટણી પ્રચારમાં મોદી અને શાહ ઉતર્યા
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર કરશે અને 4 સ્થળે સભા સંબોધશે. જેમાં બનાસકાંઠાના કાંકરેજમાં નાથપુરા ગામે દેવ દરબાર જાગીર મઠ, પાટણમાં યુનિવર્સિટી ગ્રાઉન્ડ, આણંદના સીબી પટેલ ઈગ્લિશ મીડિયમ સ્કૂલ અને અમદાવાદના સરસપુરમાં વિક્રમ મિલ કમ્પાઉન્ડ ખાતે જનસભા સંબોધશે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો કડીમાં રોડ શો અને ડીસામાં જનસભા છે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે એક રોડ શો અને 3 સભાને સંબોધશે. જેમાં વડોદરામાં અકોટાથી રાવપુરામાં અપ્સરા સિનેમાથી જ્યુબિલી બાગ સાથે રોડ શો યોજશે. જેમાં ચોખંડી, માંડવી, ચાંપાનેર, અડાણિયા પુલ ચાર રસ્તા અને કોયલી ફળિયાથી નિકળી જ્યુબિલીબાગ ખાતે રોડ શો પૂરો થશે. તો મહેસાણાના નુગર ખાતે નુગર ચોર્યાસી સંકુલ અને વિજાપુરમાં હિંમતનગર-વિજાપુર હાઈવે પરના ગોવિંદપુરા ચાર રસ્તા એપીએમસી માર્કેટ તથા અમદાવાદમાં ગાંધીનગર દક્ષિણ બેઠક અંતર્ગત ન્યુ સીજી રોડ પરના વિધિ બંગલો ચાર રસ્તા ખાતે જનસભા સંબોધશે.
કોંગ્રેસનો ચૂંટણી પ્રચારની દોર ખડગેએ સંભાળી
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ આજે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. આજે તેઓ અરવલ્લી જિલ્લાના ભિલોડા અને ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક પર જનસભાને સંબોધશે.

AAPના ભગવંત માનના ગુજરાતમાં ડેરા
આપ પણ આજે કાર્પેટ બોમ્બિંગ કરશે. જેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉત્તર ગુજરાતના 4 શહેરમાં રોડ શો કરશે. જેમાં અરવલ્લીના ભિલોડા, સાબરકાંઠાના ઈડર, હિંમતનગર અને પ્રાંતિજમાં રોડ શો કરશે અને સાથે સાથે લોકોને સંબોધશે. તો રાજ્યસભા સાંસદ અને આપના ગુજરાતના સહપ્રભારી રાઘવ ચઢ્ઢા પણ 4 શહેરમાં રોડ શો કરશે. જેમાં ગાંધીનગરના દહેગામ અને ગાંધીનગર દક્ષિણ, મહેસાણાના કડી અને અમદાવાદના નરોડામાં ચૂંટણી પ્રચાર કરશે. તો આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અમદાવાદમાં વટવા અને ઠક્કરબાપાનગરમાં જનસભા સંબોધશે. જ્યારે આપના ગુજરાતમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી પેટલાદ અને મહુધામાં જનસભા સંબોધશે. જ્યારે પાસના પૂર્વ નેતા અને આપના ઉમેદવાર અલ્પેશ કથીરિયા 3 સ્થળે રોડ શો અને એક સ્થળે સભા કરશે. કપડવંજ, દસ્કોઈ અને નિકોલમાં રોડ શો અને બેચરાજીમાં કથીરિયાની સભા છે.

અમદાવાદમાં 54 કિમીનો મોદીનો ‘વન મેન’ રોડ શો
અમદાવાદમાં 1 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 54 કિલોમીટરનો મેરેથોન રોડ શો ચાંદખેડા ખાતે પૂર્ણ થયો હતો. સાંજે 5.15 વાગ્યે નરોડા ગામથી શરૂ થયેલો વન મેન મેગા રોડ શો રાતે 9 વાગ્યે ચાંદખેડા ચાર રસ્તા ખાતે પૂર્ણ થયો હતો. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની 13 વિધાનસભા અને ગાંધીનગરની એક વિધાનસભા મળી કુલ 14 વિધાનસભામાં ફરી વળ્યો હતો. આ રોડ-શોમાં છેકથી છેક સુધી રોડની બંને તરફ અમદાવાદીઓ ઉમટી પડ્યા હતા. મેગા રોડ શોમાં 3.45 કલાક સુધી વડાપ્રધાન મોદીએ હાથ હલાવીને લાખો લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.