Thursday, December 8, 2022

બનાસકાંઠા જિલ્લાની નવ બેઠક પર 75 ઉમેદવારોના ભાવિનો આજે થશે ફેંસલો; 72.49 ટકા થયું હતું સરેરાશ મતદાન | The fate of 75 candidates on nine seats of Banaskantha district will be decided today, the average voter turnout was 66.01 percent.

પાલનપુર16 મિનિટ પહેલા

ગુજરાત વિધાનસભાની 182 બેઠક પર આજે મતગણતરી યોજાશે. જેમાં બનાસકાંઠાની 9 બેઠકોની મતગણતરી પાલનપુરના જગાણા એન્જીનીયરિંગ કોલેજ ખાતે 14-14 ટેબલો પર અલગ અલગ રાઉન્ડોમાં ટૂંક જ સમયમાં હાથ ધરાશે. ત્યારે મત ગણતરીને લઈ પાલનપુરથી અમદવાદને જોડતો હાઇવે બંધ કરાયો છે. અમદવાદ-પાલનપુર હાઇવે પર વાહનોની અવર-જવર અટકાવી વન -વે કરાયો છે. 5 ડિસેમ્બરે યોજાયેલી બનસાકાંઠા જિલ્લાની ચૂંટણીમાં નવ બેઠકના 75 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થઈ ચૂક્યું છે. જે તમામના ભાવિનો આજે ફેંસલો થશે. સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થયા બાદ બપોર સુધીમાં તમામ બેઠકો પર હારજીતનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

જિલ્લામાં સરેરાશ 72.49 ટકા મતદાન થયું હતું
બનાસકાંઠા જિલ્લામાં કુલ 24 લાખ 90 હજાર 926 મતદાર નોંધાયેલા છે. જેમાંથી 2022ના ચૂંટણી જંગમાં 18 લાખ 5 હજાર 662 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લાની નવ બેઠકો પર સરેરાશ 72.49 ટકા મતદાન નોંધાયું હતું. 2017માં આ ટકાવારી 75.92 ટકા હતી. જેની સરખામણીએ આ વખતે સરેરાશ 3.43 ટકા મતદાનમાં ઘટાડો થયો છે. બેઠક વાઈઝ થયેલા 2017 અને 2022ના મતદાનના આંકડા નીચે મુજબ છે.

2017 અને 2022ની બેઠક પ્રમાણે મતદાનની ટકાવારી

બેઠકનું નામ 2017નું મતદાન 2022નું મતદાન
થરાદ 86.75 86.91
વાવ 81.22 74.41
ધાનેરા 75.81 75.63
દાંતા 74.43 70.63
વડગામ 72.12 66.21
પાલનપુર 70.11 62.63
ડીસા 71.74 73.94
દિયોદર 77.38 75.48
કાંકરેજ 76.07 68.90
સરેરાશ મતદાન 75.92 72.49

જિલ્લાની કઈ બેઠક પર કેટલા ઉમેદવારો વચ્ચે હતી ટક્કર?

થરાદ બેઠક
બનાસકાંઠા જિલ્લાની પાંચ બેઠકોમાં થરાદ બેઠક ચર્ચાના કેન્દ્રમાં રહી હતી અને તેનું પરિણામ પણ રહેશે. અહીં કોંગ્રેસે સીટીંગ MLA ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી હતી. તો ભાજપે બનાસડેરીના ચેરમેન અને પૂર્વ મંત્રી શંકર ચૌધરીને અને આમ આદમી પાર્ટીએ વીરચંદ ચાવડાને ટિકિટ આપી હતી. અહીં શંકર ચૌધરી અને ગુલાબસિંહ રાજપૂત વિવાદને લઇને ચર્ચામાં હતા. જેથી અહીં ખેલાયેલા ત્રિપાંખિયા જંગનું પરિણામ પણ રસપ્રદ બની રહેશે. થરાદ બેઠક પર કુલ 14 ઉમેદવારો મેદાનમાં હતા. જેઓના ભાવિનો ફેંસલો આજે થશે.

વાવ બેઠક
વાવ બેઠક પર 2017માં કૉંગ્રેસના ગેનીબેન ઠાકોરનો ભાજપના શંકર ચૌધરી સામે વિજય થયો હતો. આ બેઠક પર કૉંગ્રેસે ગેનીબેન ઠાકોરને રિપિટ કર્યા હતા. તો ભાજપે શંકર ચૌધરીને વાવના બદલે થરાદથી ટિકિટ આપી હતી. વાવ બેઠક પર ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાને ઉતાર્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીએ અહીં ડો. ભીમ પટેલને ટિકિટ આપી હતી. અહીં અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા અમીરામભાઈ આશલને પણ મજબૂત ઉમેદવાર ગણવામાં આવી રહ્યા છે. આ બેઠક પર કુલ 6 ઉમેદવારોના ભાવિનો ફેસલો આજે થશે.

ધાનેરા બેઠક
ધાનેરા બેઠક પર આ વખતે 75.83 ટકા મતદાન થયું છે. અહીં કૉંગ્રેસમાંથી નથાભાઈ પટેલ, ભાજપમાંથી ભગવાનજી ચૌધરીને, આમ આદમી પાર્ટીમાંથી સુરેશ દાવડા સહિત કુલ 8 ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થશે. મહત્વનું છે કે અહીં ભાજપે ભગવાનજી ચૌધરીની પસંદગી કરતાં નારાજ થયેલા માવજી દેસાઈએ બળવો કરી અપક્ષમાં ઉમેદવારી કરી છે.

દાંતા બેઠક
દાંતા બેઠક ST અનામત બેઠક છે. અહીં આ વખતે 70.63 ટકા મતદાન થયું છે. અહીં છેલ્લી બે ટર્મથી કૉંગ્રેસના કાંતિ ખરાડી ચૂંટણી જીતી રહ્યા છે. આ વખતે પણ અહીં કૉંગ્રેસમાંથી કાંતિ ખરાડી, ભાજપમાંથી લાધુ પારઘી, આમ આદમી પાર્ટીમાંથી એમ.કે.બોંબાડિયા સહિત કુલ ચાર ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે. અહીં ભાજપ-કોંગ્રેસ બંને પાર્ટીના ઉમેદવારો આ વખતે ચર્ચામાં છે. ભાજપના લાધુ પારઘી દારુબંધીના ધજાગરા ઉડાવતું જાહેરમાં નિવેદન આપીને વિવાદમાં આવ્યા હતા. તોં કોંગ્રેસના કાંતિ ખરાદી મતદાનની આગલી રાત્રે ગુમ થયા હતા અને ભાજપના કાર્યકર્તાઓએ હુમલો કર્યાનો આક્ષેપ કર્યો હતો.

વડગામ બેઠક
વડગામ બેઠક એ બનાસકાંઠા જિલ્લાની હાઈ પ્રોફાઈલ બેઠક બની છે. આ વખતે અહીં 66.21 ટકા મતદાન થયું છે. 2017માં અહીંથી અપક્ષ તરીકે ચૂંટાયેલા જિગ્નેશ મેવાણી હવે કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. તો ભાજપે અહીં કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા મણિભાઈ વાઘેલાને મેદાને હતા. આ બેઠક પર આમ આદમી પાર્ટીએ દલપત ભાટિયાને ટિકિટ આપી હતી. આ ઉપરાંત અહીંથી AIMIMનો ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં હતી. વડગામ બેઠક પર કુલ 11 ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થશે.

પાલનપુર બેઠક
પાલનપુર બેઠક આ વખતે 62.63 ટકા મતદાન થયું છે. 2017 ચૂંટણીમાં કૉંગ્રેસના મહેશ પટેલની જીત થઈ હતી. કૉંગ્રેસે અહીં મહેશ પટેલને રિપિટ કર્યા છે. તો ભાજપે અહીં અનિકેતભાઈ ઠાકરને ટિકિટ આપી હતી. જ્યારે આમ આદમી પાર્ટીમાંથી રમેશ નભાણીને ટિકિટ આપી હતી. પાલનપુર બેઠક પર કુલ 9 ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થશે.

ડીસા બેઠક
બટાટાના ઉત્પાદનના કારણે દેશભરમાં પ્રખ્યાત ડીસા બેઠક પર આ વખતે વારસો સાચવવાનો જંગ જોવા મળશે. આ વખતે અહીં 73.94 મતદાન થયું છે. અહીં ભાજપે શશીકાંત પંડ્યાની ટિકિટ કાપીને પ્રવીણ માળીને મેદાને ઉતાર્યા હતા. તો કૉંગ્રેસે સંજય રબારીને ટિકિટ આપી હતી. ભાજપ અને કૉંગ્રેસના બંને ઉમેદવારોના પિતા પણ એક સમયે સામસામે ચૂંટણી લડી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીએ અહીં ડો. રમેશ પટેલને ટિકિટ આપી હતી. તો ભાજપમાંથી બળવો કરનાર લેબજી ઠાકોર અહીંથી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. અહીં કુલ 11 ઉમેદવારોના ભાવિનો ફેસલો આજે થશે.

દિયોદર બેઠક
​​​​​​​દિયોદર બેઠક પર આ વખતે 75.48 ટકા મતદાન થયું હતું. 2017માં કૉંગ્રેસના ઉમેદવાર શિવભાઈ ભૂરિયાની માત્ર 972 મતે ભાજપના કેશાજી ચૌહાણ સામે જીત થઈ હતી. કૉંગ્રેસે અહીં શિવાભાઈ ભૂરિયાને રિપિટ કર્યા હતા. તો ભાજપે પણ અહીં કેશાજી ચૌહાણ પર જ વિશ્વાસ વ્યકત કરી ટિકિટ આપી હતી. આમ આદમી પાર્ટીએ અહીં ભેમાભાઈ ચૌધરીને ટિકિટ આપી હતી. અહીં કુલ 5 ઉમેદવારોના ભાવિનો ફેસલો આજે થશે.

કાંકરેજ બેઠક
કાંકરેજ બેઠક પર આ વખતે 68.90 ટકા મતદાન થયું છે. 2017માં ભાજપના કીર્તિસિંહ વાઘેલાનો વિજય થયો હતો. ભાજપે અહીં તેમને 2022ના જંગમાં રિપિટ કર્યા હતા. તો કૉંગ્રેસે અહીં પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના ભાઈ અમૃતભાઈ ઠાકોરને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીએ મુકેશ ઠક્કરને ટિકિટ આપી હતી. અહીં કુલ 7 ઉમેદવારોના ભાવિનો ફેસલો આજે થશે.

જિલ્લાની 2017ની સ્થિતિ
બનાસકાંઠા જિલ્લાની 9 વિધાનસભા બેઠકની 2017ની ચૂંટણીની વાત કરીએ તો 2017 વિધાનસભાની સરખામણીએ આ વખતે 3.43 ટકા ઓછું મતદાન નોંધાયું છે. 2017માં અહીંની 9 બેઠકો પર 75.92 ટકા મતદાન નોંધાયું હતું અને 9માંથી 6 બેઠક પર કૉંગ્રેસનો અને 3 પર ભાજપનો વિજય થયો હતો. 2022ના ચૂંટણી જંગમાં અહીં અંદાજિત 72.49 ટકા મતદાન નોંધાયું છે. એટલે કે, 2017ની સરખામણીએ મતદાનમાં 3.43 ટકાનો ઘટાડો થયો છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: