અરવલ્લી (મોડાસા)37 મિનિટ પહેલા
બાયડ બેઠક પર કોંગ્રેસ પાર્ટી દ્વારા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને મેદાને ઉતાર્યાં છે, ત્યારે મહેન્દ્રસિંહ વાઘેલા માટે તેમના પિતા અને પીઢ કોંગ્રેસી અગ્રણી શંકરસિંહ વાઘેલાએ બાયડના અંબે માતા મંદિરના ચોકમાં સભાને સંબોધન કર્યું હતું. આ સભામાં વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.

5 તારીખે પણ ભાજપ વિરુદ્ધ લોકો મતદાન કરશેઃ શંકરસિંહ વાઘેલા
આ સભાને સંબોધન કરતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, આ સરકાર ખોટા ટાયફા કરી જનતાના કરોડો રૂપિયાનો વ્યય કરે છે. જ્યારે આવે ત્યારે કોઈ મોંઘવારી વિશે કાંઈ કહેતું નથી, કોઈ ગરીબોને નોકરી માટે કહેતું નથી, બેકારી દૂર કરવાની કોઈ વાત કરતું નથી. આગામી 5 તારીખે પણ ભાજપ વિરુદ્ધ લોકો મતદાન કરશે, હાલ જે મતદાન થયું તે ઉપરથી કહી શકાય કે, ઘટતી ટકાવારીએ સરકારની નબળી કામગીરીનું ઉદાહરણ છે.

ત્રીજા મોરચાનો કોઈ વિકલ્પ નથીઃ શંકરસિંહ વાઘેલા
શંકરસિંહ વાઘેલાની પૂર્વ ધારાસભ્ય જસુ પટેલની મુલાકાત અંગે જણાવ્યું હતું કે, જસુ પટેલ તેમના પિતા શિવાભાઈ મારા મિત્ર હતા. જસુભાઈ પણ ધારાસભ્ય બન્યા પછી ગાંધીનગર આવે તો મને મળતા હતા. ભાજપ આ વિધાનસભા ચૂંટણીમાં 80થી આગળ નહીં વધી શકે અને ત્રીજા મોરચાનો કોઈ વિકલ્પ નથી તેમ જણાવ્યું હતું.
