નવસારી5 મિનિટ પહેલા
મોદી… નરેન્દ્ર મોદી… એ તો ગરવી ગુજરાતનો રાજા કહેવાય..ની ધૂનમાં ગણદેવીના માછીયાવાસણ ગામે મંદિરમાં મોદીના નામના ભજન ગાવામાં આવ્યાં હતા. ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહેનતને બિરદાવવા માટે ગામલોકોએ મોદીના નામના ભજન-કિર્તન ગાયા હતા. જેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. લોકોએ ભજનમાં મોદીની યશગાથાની કહાની પણ વર્ણવી હતી.

મોદીના નામના ભજન ગવાયા
ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચારની કમાન સંભાળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક રેલીઓ અને સભાઓ ગજવીને ભાજપને વધુમાં વધુ મત મળે અને મતદારો ભાજપ તરફી રહે તેવા પ્રયાસો કર્યા હતા. જેના પરિણામે રાજ્યમાં ભાજપને ઐતિહાસિક જીત મળી હતી. ભાજપે 156 જેટલી બેઠક કબજે કરી હતી અને કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહેનતને બિરદાવવા માટે ગણદેવી તાલુકાના માછીયાવાસણ ગામે મંદિરમાં મોદીના નામના ભજન ગાવામાં આવ્યાં હતા. જેને લઈ લોકોમાં કુતુહલ જાગ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં મોદીની લોકપ્રિયતા અપાર
ભાજપની પ્રચંડ જીત બાદ માછીયાવાસણ ગામે ગ્રામજનોએ રાધાકૃષ્ણ મંદિરમાં આનંદભેર મોદીના નામના ભજન લલકાર્યા હતા. આ ભજન કીર્તનમાં NRI પણ જોડાયા હતા.
વિદેશથી આવેલા ભારતીયો એ પણ મોદીના નામના કીર્તન ગાયા હતા. દક્ષિણ ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા એ હદે વધી છે કે લોકો હવે ધાર્મિક મંદિરોમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કીર્તનો ગાતા થઈ ગયા છે.
ઢોલક અને ખંજરીના તાલે ભજન-કિર્તન ગવાયા
ગંગા મૈયા થીમ પર બનાવેલા આ કીર્તનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યશગાથાની કહાની ભજપ-કિર્તનના રૂપમાં ગાવામાં આવી હતી. દેશ-વિદેશમાં વડાપ્રધાને કરેલા કાર્યોની વાહ વાહી આ કીર્તનમાં જોવા મળે છે. ગામના બે લોકો મંદિરના કેન્દ્રમાં ઊભા રહીને ભજન ગાઇ રહ્યા છે તો આજુબાજુ ગામના મહિલા-પુરુષો ઢોલક અને ખંજરીના તાલે નરેન્દ્ર મોદી નામનું કીર્તન ઉત્સવ ઉમંગમાં ગાતા નજરે ચડ્યા હતા.
નવસારીમાં ભાજપે 4 પૈકી 3 બેઠક જીતી
ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી નવસારીની 4 બેઠકોમાંથી 3 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો હતો. જ્યારે માત્ર એક બેઠક પર કોંગ્રેસ જીત મેળવવામાં સફળ થઈ હતી. જલાલપોર, નવસારી, ગણદેવીમાં ભાજપની જીત થઈ હતી. જ્યારે વાંસદા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે બાજી મારી હતી. નવસારીમાં જીત મેળવનારા ચારેય ઉમેદવારોમાં 176 ગણદેવીના ઉમેદવારને મળ્યા સૌથી વધુ મત મળ્યા હતા. ગણદેવીના ભાજપના ઉમેદવાર નરેશ પટેલને 1 લાખ 30 હજાર 531 મતો મળ્યા હતા. તેની સામે વાંસદાના ભાજપના ઉમેદવાર પિયુષ પટેલને 88 હજાર 967 મતો મળ્યા. ત્યારે બીજી તરફ ગણદેવીમાં કોંગ્રેસ કરતાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને વધુ મતો મળ્યા હતાં. કોંગ્રેસના અશોક પટેલના 31 હજાર 702 મતોની સામે આપના પંકજ પટેલને 37 હજાર 248 મતો મળ્યા હતાં. આપના પંકજ પટેલને કોંગ્રેસ કરતા 454 વધુ મતો મળ્યા. જિલ્લાની ચારેય વિધાનસભા બેઠકો પર કુલ 14 હજાર 084 મતો નોટામાં પડ્યા. જેમાં નોટામાં સૌથી વધુ 3 હજાર 795 મતો વાંસદા બેઠક પર નોંધાયા હતાં.