Wednesday, December 7, 2022

પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી જન્મોત્સવની આજે ઉજવણી, યુનાઈટેડ નેશન્સના આંગણે વિશિષ્ટ કાર્યક્રમ | Celebration of Pramukh Swami Maharaj's birth centenary today, special event at United Nations

અમદાવાદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

સંત બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજને તેઓના શતાબ્દી જન્મોત્સવે ભાવવંદના કરતાં અનેકવિધ કાર્યક્રમો દેશ-વિદેશમાં યોજાઈ રહ્યા છે. વિદેશના સંસદ ભવનોથી લઈને યુનાઈટેડ નેશન્સ સુધી તેના પડઘા ગૂંજી રહ્યા છે. ભારતનું ગૌરવ વિશ્વભરમાં વધારનાર આ મહાન સંતને બિરદાવવા માટે પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી જન્મોત્સવે 7 ડિસેમ્બર, 2022ના રોજ યુનાઈટેડ નેશન્સના આંગણે એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો છે, જેમાં પ્રમુખસ્વામી મહારાજને અંજલિ આપવા માટે અનેક દેશોના રાજદૂત-પ્રતિનિધિઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

7 ડિસેમ્બરના રોજ સાંજે 4 થી 6 દરમિયાન આ કાર્યક્રમ યોજાશે
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને સંદેશથી પ્રભાવિત અનેક દેશો અહીં આ કાર્યક્રમમાં પ્રતિનિધિત્વ કરશે અને પ્રમુખસ્વામી મહારાજના વૈશ્વિક વ્યક્તિત્વને બિરદાવશે. ન્યુયોર્કના સમય પ્રમાણે પ્રમુખસ્વામી મહારાજની જન્મ તારીખ 7 ડિસેમ્બરના રોજ સાંજે 4 થી 6 દરમિયાન આ કાર્યક્રમ યોજાશે, જેનું વિશ્વભરમાં જીવંત પ્રસારણ થશે. સાથોસાથ આજે 7 ડિસેમ્બરના રોજ સમગ્ર ટોરેન્ટોમાં પ્રમુખસ્વામી મહારાજ સેન્ટેનિયલ સેલિબ્રેશન ડે એટલે કે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવ દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે આદરાંજલિ વ્યક્ત કરવા માટે વિશ્વવિખ્યાત નાયગરા ધોધને કેસરી, લાલ અને શ્વેત રંગોની રોશનીમાં ઝળહળતો જોઇ શકાશે. તિથિ પ્રમાણે પ્રમુખસ્વામી મહારાજની 1 ડિસેમ્બરે અને તારીખ પ્રમાણે આજે 7 ડિસેમ્બરના રોજ જન્મતારીખ છે.

‘ધ મિલેનિયમ વર્લ્ડ પીસ સમિટ’નું આયોજન
ઉલ્લેખનીય છે કે ‘યુનો’ના ઇતિહાસમાં 2000માં સૌ પ્રથમવાર આયોજિત ‘ધ મિલેનિયમ વર્લ્ડ પીસ સમિટ’નું આયોજન થયું હતું, જેમાં 54 દેશોના 1800 જેટલા ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વિશ્વધર્મ પરિષદમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સનાતન ધર્મનું પ્રતિનિધિત્વ કરી, વિશ્વમાં શાંતિ અને સંવાદિતા કેવી રીતે સ્થપાય તેના આશીર્વાદ અને માર્ગદર્શન પાઠવ્યાં હતાં. પ્રમુખસ્વામી મહારાજના એ આશીર્વાદ આજે પણ યુનોમાં એક ઐતિહાસિક સંબોધન ગણવામાં આવે છે.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, વિશ્વવંદનીય પ્રમુખસ્વામી મહારાજની નિશ્રામાં વિકસિત થયેલી અને વર્તમાનકાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના નેતૃત્વ હેઠળ કાર્યરત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા અનેકવિધ વૈશ્વિક લોકસેવાઓ અને રચનાત્મક પ્રવૃતિઓને કારણે ‘યુનો’ (UNO)ની ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલમાં (ECOSOC) કન્સલ્ટેટિવ (Consultative) સ્ટેટસ ધરાવે છે.

ટોરોન્ટોમાં શતાબ્દી મહોત્સવે કરવામાં આવી ભાવવંદના
શાંતિ, સંવાદિતા અને આધ્યાત્મિક ગુણોના વિશ્વદૂત સમા પ્રમુખસ્વામી મહારાજે વૈશ્વિક સ્તરે લાખોના જીવનમાં આધ્યાત્મિકતાનું સિંચન કર્યું હતું, જેમાં કેનેડાને પણ પ્રમુખસ્વામી મહારાજે આધ્યાત્મિક વિચરણથી લાભાન્વિત કર્યો હતો. પ્રમુખસ્વામી મહારાજના આ પ્રદાનને 1988માં કેનેડાની પાર્લામેન્ટ દ્વારા વધાવવામાં આવ્યું હતું. ઉપરાંત 2000માં ટોરોન્ટોમાં તેમને ‘કી ટૂ ધ સીટી’ના બહુમાનથી પણ સન્માનવામાં આવ્યા હતા.

‘પ્રમુખસ્વામી મહારાજ સેન્ટેનિયલ સેલિબ્રેશન ડે’
પ્રમુખસ્વામી મહારાજના વિરલ જીવન અને કાર્યને અંજલિ આપવા તાજેતરમાં ટોરોન્ટોમાં ‘ઇન્ટનેશનલ સેન્ટર કોન્ફરન્સ હૉલ’ ખાતે યોજાયેલ એક શાનદાર સમારોહમાં કેનેડાની પાર્લામેન્ટના અનેકવિધ મંત્રીઓ, અનેક મહાનુભાવો અને હજારો ભક્તો ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવ ઉપક્રમે અનેકવિધ ઘોષણાઓ અને સન્માનો અર્પવામાં આવ્યા હતા. જેમાં ટોરોન્ટોના મેયર જ્હોન ટોરી દ્વારા 7 ડિસેમ્બર, 2022ને સમગ્ર ટોરોન્ટોમાં ‘પ્રમુખસ્વામી મહારાજ સેન્ટેનિયલ સેલિબ્રેશન ડે’ એટલે કે ‘પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવ દિન’ તરીકે ઘોષિત કરવામાં આવ્યો હતો. જયારે ઇમિગ્રેશન મંત્રી મોન્ટે મેકનોટન દ્વારા 7 ડિસેમ્બર, 2022ના રોજ પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે આદરાંજલિ વ્યક્ત કરવા વિશ્વવિખ્યાત નાયગરા ધોધને કેસરી, લાલ અને શ્વેત રંગોની રોશનીમાં ઝળહળતો જોઈ શકાશે. સમગ્ર વિશ્વમાં આ ઘટનાને લાઈવ અથવા પ્રત્યક્ષ રૂપે નિહાળી શકાશે તેવી ઘોષણા કરવામાં આવી હતી.

પ્રમુખસ્વામી મહારાજ નિ:સ્વાર્થ પ્રેમનું સ્વરૂપ હતા
કેનેડાના મિનિસ્ટર ઓફ હાઉસિંગ એન્ડ ડાયવર્સિટી અહમદ હુસેને પ્રમુખસ્વામી મહારાજને અંજલિ અર્પતાં જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજ નિરપેક્ષ અને નિ:સ્વાર્થ પ્રેમનું સ્વરૂપ હતા, જે આજના વિશ્વમાં અતિ દુર્લભ છે; એવો નિ:સ્વાર્થ પ્રેમ, જે કોઈ પણ ધર્મ, રાષ્ટ્રીયતા, ભાષા, જાતિ કે અન્ય બંધનોથી રહિત હતો. આ ઉપરાંત કેનેડા ખાતેના ભારતીય રાજદૂત સંજય કુમાર વર્માએ જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી ઉત્સવ માત્ર આ સ્થળે નહીં, પરંતુ સમગ્ર કરોડો ભારતીયોના હૃદયમાં ઉજવાઈ રહ્યો છે. આજે આપણને પ્રમુખસ્વામી મહારાજ જેવા મહાપુરુષોની જરૂર છે જે આપણને સૌને એકતાથી જોડે. જો આપણે તેમણે ચીંધેલા મૂલ્યોને આત્મસાત કરીશું તો તે આપણી સ્વયંની અને સમગ્ર સમાજની ખુબ મોટી સેવા કરી ગણાશે.”

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવોના ભવ્ય આયોજનો
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટુડ્રો દ્વારા પ્રમુખસ્વામી મહારાજના આદર્શો અને જીવનને અંજલિ આપતો વીડિયો શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો. સમગ્ર કેનેડામાં યોજાઈ રહેલા શતાબ્દી મહોત્સવોમાં આ 19 મો મહોત્સવ હતો. અત્યારે સમગ્ર અમેરિકા, આફ્રિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને એશિયાના અનેકવિધ દેશોમાં ભવ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવોના આયોજનો થઈ રહ્યા છે, જેની ચરમસીમારૂપ મહોત્સવ અમદાવાદમાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી દરમિયાન ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાશે.

7 ડિસેમ્બરે કયા દેશમાં જન્મજયંતી મહોત્સવ ઉજવાશે
આ પાવનકારી દિવસે ઇંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, બેલ્જિયમ, પોર્ટુગલ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, થાઈલેન્ડ, હોંગકોંગ, સિંગાપુર, યુએઈ, આફ્રિકાથી લઈને ભારતના અનેક મહાનગરો સુધી ઠેર ઠેર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યેનો અનન્ય આદર વ્યક્ત કરતાં વિશિષ્ટ આયોજનો સંપન્ન થશે જેમાં

  • અમેરિકા સ્થિત યુ.એન (United Nations)માં સમગ્ર અમેરિકામાંથી આમંત્રિત મહેમાનો અને અધિકારીઓ દ્વારા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરાશે.
  • કેનેડા પાર્લામેન્ટ દ્વારા પ્રમુખસ્વામી મહારાજને ભાવાંજલિ આપવામાં આવશે.
  • કેનેડાના સુપ્રસિદ્ધ નાયગ્રા ફોલ્સ ઉપર પ્રમુખસ્વામી મહારાજને ભાવાંજલિ સ્વરૂપે બી.એ.પી.એસ ફ્લેગ કલર દર્શાવવામાં આવશે.
  • બ્રિટનના વિશ્વ-પ્રસિદ્ધ વેમ્બલી સ્ટેડિયમ પર ભગવી આભા આર્ચ પર દર્શાવવામાં આવશે.
  • ભારતમાં પ્રમુખસ્વામી મહારાજના જન્મ સ્થાને ગુજરાત પ્રવાસન મંત્રાલય દ્વારા વિશાળ પ્રદર્શન પ્રોજેક્ટનું લોકાર્પણ થશે.
  • સિટી ઓફ ટોરન્ટો દ્વારા 7 ડિસેમ્બરનો દિવસ “પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ દિવસ” તરીકે જાહેર થયો.

પ્રમુખસ્વામી મહારાજની કઇ જન્મતારીખ કયાં ઉજવાઇ હતી

વર્ષ ઉજવણીનું સ્થળ પ્રમુખસ્વામીનો જન્મદિવસ
1968 મુંબઈ 48
1969 વડોદરા 49
1970 કલકત્તા 50
1971 ધર્મજ 51
1972 કલકત્તા 52
1973 અમદાવાદ 53
1974 નૈરોબી આફ્રિકા 54
1975 સુરત 55
1976 વ્યારા 56
1977 દાર એ સલામ આફ્રિકા 57
1978 કરમસદ 58
1979 રાજકોટ 59
1980 અટલાદરા 60
1981 આણંદ 61
1982 ભાવનગર 62
1983 મુંબઈ 63
1984 મહેસાણા 64
1985 અમદાવાદ 65
1986 મુંબઈ 66
1987 મુંબઈ 67
1988 નૈરોબી આફ્રિકા 68
1989 ભરૂચ 69
1990 સારંગપુર 70
1991 ગોંડલ 71
1992 ગાંધીનગર 72
1993 કલકત્તા 73
1994 મહેસાણા 74
1995 મુંબઈ 75
1996 સુરેન્દ્રનગર 76
1997 અટલાદરા જૂનાગઢ નવસારી 77
1998 રાજકોટ 78
1999 તિથલ 79
2000 આણંદ 80
2001 સાંકરી 81
2002 હિંમતનગર 82
2003 કલકત્તા 83
2004 નવસારી 84
2005 કલકત્તા 85
2006 બોચાસણ 86
2007 અમદાવાદ 87
2008 તિથલ 88
2009 બોચાસણ 89
2010 મુંબઈ 90
2011 91
2012 અમદાવાદ 92
2013 સારંગપુર 93
2014 સારંગપુર 94
2015 સારંગપુર 95
2016 સુરત 96
2017 આણંદ 97
2018 રાજકોટ 98
2019 મુંબઈ 99
2020
2021

(પૂજય આદર્શ જીવન સ્વામીના અમદાવાદના રવિસભાના પ્રવચનમાંથી)

અન્ય સમાચારો પણ છે…