સુરેન્દ્રનગર10 મિનિટ પહેલા
- કૉપી લિંક

સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલમાં તાવ અને વાયરલ બિમારીનો શિકાર બનેલા બાળકોના દરરોજ 100 જેટલા કેસ આવી રહ્યા છે. જ્યારે ખાનગી ચિલ્ડ્રન હોસ્પિટલોમાં દરરોજ અંદાજે 200 કેસ આવતા હોવાનું જાણવા મળે છે. ઋતુ પરિવર્તન થતા આ રોગચાળો વકર્યો હોવાનું માનવામાં આવે છે. નગરપાલિકા દ્વારા શહેરમાં યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન હાથ ધરીને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેમજ વરસાદી પાણીના ખાબોચીયા ભરાયા હોય ત્યાં પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

એક તરફ કોરોનાના કેસોમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. ત્યારે જ બાળકોમાં તાવ અને વાયરલ, ઉધરસ અને કફ જેવી બિમારીના કેસો વધતા ચિંતાની લાગણી ફેલાઇ છે. સુરેન્દ્રનગરના પિડિયાટ્રીક ડો.ભરત મુલીયાએ જણાવ્યુ કે, હાલના વરસાદી-ભેજવાળા વાતાવરણમાં ઠંડકને કારણે તાવ અને કફ-ઉધરસ જેવી વાયરલ બિમારીનો બાળકો શિકાર બની રહ્યા છે. આવા લક્ષણોવાળા બાળકોને નાસ(નેબ્યુલાઈઝર) લેવડાવવો જોઈએ તથા બજારના જંક ફુડથી દુર રાખવા જોઈએ.

એટલુ જ નહીં તાવ-કફ ઉધરસના લક્ષણોવાળા બાળકોને શાળાએ મોકલવાનો આગ્રહ વાલીઓએ રાખવો જોઈએ નહીં. નાના નાના બાળકો પણ રોગચાળાનો ભોગ બની રહ્યા છે, ત્યારે આજે વહેલી સવારથી જ દવાખાનાઓમાં ભીડ જોવા મળી છે. અને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓની ભીડ જોવા મળી હતી. ત્યારે સુરેન્દ્રનગર શહેર અને જિલ્લા અને તાલુકા મથકે રોગશાળાએ માથું ઊંચક્યું હોય તેવા સંકેતો હાલમાં વર્તાઈ રહ્યા છે. અને શિયાળાની શરૂઆત થતાની સાથે જ રોગ શાળાએ માથું ઉચકયુ હોવાનું જોવા જાણવા મળી રહ્યું છે.

