મોરબીએક કલાક પહેલા
- કૉપી લિંક
- ઔદ્યોગિક ઝોન હોવાથી આગ-અકસ્માતના બનાવો બને છે, સુવિધાઓના અભાવે લોકોને હાલાકી
ઔદ્યોગિક ઝોન મોરબીમાં લાંબા સમયથી ફાયરની સુવિધા તેમજ આરોગ્યને લગતી સુવિધાઓ બાબતે યોગ્ય ધ્યાન આપી શકાયું નથી. જેના કારણે લોકોને રાજકોટ પર નિર્ભર રહેવું પડે છે. હાલની વિધાનસભા ચૂંટણીમાં 62,000ની લીડથી જીતેલા કાંતિલાલ અમૃતિયા પાસેથી લોકોને મોટી અપેક્ષાઓ છે. 800થી વધુ સિરામિક ફેક્ટરીઓ તેમજ નાની મોટી અન્ય ફેક્ટરી હોવાના કારણે અવારનવાર નાના-મોટા આગના બનાવ બનતા રહે છે.
એવે વખતે પાલિકાનો એક ફાયર વિભાગ ઘટનાને કાબૂમાં લેવા સક્ષમ નથી તેથી મોરબીમાં નવું આધુનિક ફાયર સ્ટેશન શરૂ થાય તેવી લોકોની લાંબા સમયથી માંગણી રહી છે. આ ઉપરાંત આરોગ્યની વાત કરીએ તો જિલ્લા કક્ષાની હોસ્પિટલ સુવિધાઓ પણ અપૂરતી છે ત્યારે મોરબી જિલ્લામાં પણ રાજ્ય કામદાર વિમાન નિગમ અંર્તગતની હોસ્પિટલ શરૂ કરવામાં આવે તેવી પણ લોકોને માંગણી છે. નવા ધારાસભ્ય જિલ્લામાં ફાયર અને આરોગ્ય બાબતમાં ઝડપથી કામગીરી કરશે તેવી લોકો આશા સેવી રહ્યા છે.
મોરબી સહિત રાજ્યની 182 વિધાનસભા બેઠકના ચૂંટણી પરીણામો આવી ગયા અને ભાજપે 157 સીટ જીતી સરકાર બનાવી લીધી હતી. નવા મંત્રી મંડળની પણ રચના થઇ ગઇ છે. મોરબી બેઠકમાં જિલ્લામાં સૌથી વધુ 62 હજાર મતની જંગી લીડથી જીતેલા ભાજપ પાસેથી હવે લોકોની અપેક્ષાઓ પણ વધી છે. મોરબી અને વાંકાનેર સીરામીક ઉદ્યોગ ઝોન હોવા છતાં હજુ સુધી આધુનિક કક્ષાનું ફાયર સ્ટેશન મળ્યું નથી. ભૂતકાળમાં સરકાર દ્વારા ફાયર સ્ટેશનની સ્થાપના માટે મંજૂરી મળી ગઈ હોવા છતાં હજુ સુધી ફાયર સ્ટેશન માટે જમીન ફાળવણીની કામગીરી પણ હાથ ધરાઇ નથી.
ઔધોગિક ઝોન સમા મોરબીમાં આરોગ્ય સુવિધાઓ પણ ખખડધજ હાલતમાં છે. આરોગ્ય ક્ષેત્રમાં સારવાર માટે રાજકોટ જિલ્લાની હોસ્પિટલમ પર નિર્ભર રહેવું પડે છે. મોરબી સિવિલમાં તબીબો હાજર હોય પણ અપૂરતા સાધનો હોવાને લીધે યોગ્ય કામગીરી થતી ન હોય જિલ્લા કક્ષાની આરોગ્ય સગવડ ઉભી થાય તે જરૂરી છે. ઉપરાંત ઔધોગિક ઝોનમાં રાજ્ય કામદાર ઓદ્યોગિક વીમા કંપની સંચાલિત આધુનિક હોસ્પિટલ શરૂ કરવામાં આવે તે જરૂરી બન્યું છે. આ હોસ્પિટલ શરૂ થવાથી સીરામીક ઉદ્યોગ કે અન્ય ઉધોગ સાથે જોડાયેલા કામદારોને ઇજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવાર મળી રહેશે.
નવી કોલેજો પણ શરૂ કરવા માંગ
મોરબી માળીયા તાલુકા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ સૌથી મોટો પ્રશ્ન છે. આ ઉપરાંત અનેક શાળામાં ઓરડાઓ પણ અપૂરતા છે. તેમજ સરકારી કોલેજની હાલત પણ એવી જ છે. અહીં પ્રોફેસરોની અછત છે તો પોસ્ટગ્રેજ્યુએશન માટે એક પણ સરકારી કોલેજ ન હોવાથી છાત્રો રાજકોટ જવા મજબૂર થતા હોય છે. આ કારણે ગ્રેજ્યુએશન બાદ અભ્યાસ અધૂરો મૂકનારની સંખ્યામાં પણ વધારો જોવા મળે છે. મોરબી જિલ્લાનું મુખ્ય મથક હોઇ કૉલેજ પણ મંજૂર થાય તે જરૂરી છે.