સાબરકાંઠા (હિંમતનગર)35 મિનિટ પહેલા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બોભામાં બે મકાનમાં આગલાગતા નાસભાગ મચી જવા પામી હતી. તો મકાનમાં રહેલી ધરવખરી સહિત પશુ ધાસચારો આગમાં બળીને ખાખ થઇ ગયો હતો. પ્રાંતિજ પાલિકાના ફાયર ફાયટર ગેરેજમાં હોવાને લઈને હિંમતનગર પાલિકામાંથી ફાયર ફાયટર બોલાવવા પડ્યા હતા. ત્રણ ફાયર ફાયટર વડે ચાર કલાકમાં 7500 લીટર પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી.

પ્રાંતિજના બોભામાં રબારીવાસમાં રહેતા જશુ બાબરભાઇ રબારી તથા ઇશ્વર ખોડાભાઇ રબારીના જોડે- જોડે આવેલા બે મકાનોમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. તો આજુબાજુમાં રહેતા લોકો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચાલુ કર્યો હતો. પ્રાંતિજ ફાયર બ્રિગેડને જાણ કરતા પ્રાંતિજ ફાયર બ્રિગેડ ટીમ પણ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી હતી,પણ ફાયર ફાયટર ના હોય જેને લઈને હિંમતનગર ફાયર બ્રિગેડ બે ફાયર ફાયટર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચાલુ કર્યો હતો. પરંતુ આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મકાનોમાં રહેલી બધી જ ધરવખરી સહિત બધો જ પશુ ધાસચારો આગમાં બળી ગયો હતો. તો આગ એટલી ભયંકર હતી કે, ત્રીજા મકાનની દિવાલને પણ આગે ભરડામાં લીધી હતી. પ્રાંતિજના બન્ને ફાયર ફાયટર ગેરેજમા રીપેરીંગ માટે હોવાને લઈને હિંમતનગર ફાયર વિભાગને જાણ કરાઈ હતી.

આ અંગે પ્રાંતિજ નગર પાલિકાના ચીફ ઓફિસર પ્રાર્થનાબેન રાઠોડે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રાંતિજ પાલિકામાં બે ફાયર ફાયટર છે અને બંને ફાયર ફાયટર ગેરેજમાં રીપેરીંગમાં હોવાનું જણાવ્યું હતું.

આ અંગે હિંમતનગર ફાયર વિભાગના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, સાંજે 5 વાગ્યે હિંમતનગર ફાયર વિભાગને કોલ મળ્યા બાદ ત્રણ ફાયર ફાયટર આગ બુઝાવવા રવાના થયા હતા. 7500 લીટર પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી મોડી રાત્રે 10:40 ત્રણ ફાયટર પરત આવ્યા હતા.




