નર્મદા (રાજપીપળા)એક કલાક પહેલા
નર્મદા જીલ્લામાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન નેત્રંગ તરફથી ડેડીયાપાડા તરફ આંટાફેરા મારી વિદેશી દારૂનો જથ્થો પહોંચાડનાર કારે રામેશ્વર હોટેલ આગળ આવેલ નિગટ ગામ નજીક મુખ્ય માર્ગ પર બાઈકસવારને અડફેટે લીધા હતા. જે અકસ્માતમાં બાઈકચાલકનાં પરિવારના ચાર સભ્યોના મોત નીપજ્યાં હતા. જે બાબતે નર્મદા જીલ્લા પોલીસ અકસ્માતો પર નિયંત્રણ લાવવા માટે ત્રણ દિવસની સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઇવમા લાગ્યું છે.

ટ્રાફિક નિયમનની ભંગ કરી દોડતા વાહનો સામે લાલઆંખ
નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બેએ અકસ્માત સ્થળની જાત મુલાકાત લીધી હતી. જે દરમિયાન વાહનચાલકો પુરપાટ ઝડપે વાહનો દોડાવતા હોવાનું મોડે મોડે પણ ધ્યાને આવતાં જીલ્લા પોલીસ વડાએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડેડીયાપાડા અને જીલ્લા ટ્રાફિક ઇન્સ્પેક્ટરને સૂચનાઓ આપી હતી. સમગ્ર જીલ્લામાં ટ્રાફિક નિયમનની ભંગ કરી દોડતા વાહનો સામે લાલઆંખ કરવાની સુચના આપી હતી. જે અંતર્ગત ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવ રાખવામાં આવી છે. આ ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત મોટર વ્હિકલ એક્ટ 207 અને 185નાં વધુમાં વધુ કેસો શોધી કાઢવા નર્મદા જિલ્લાના તમામ પોલીસ મથકો સહિત જીલ્લા ટ્રાફિકને સુચના આપવામાં આવી છે.
