JNUની દીવાલો પર બ્રાહ્મણ અને વણિક જ્ઞાતિ વિરુદ્ધ ઉશ્કેરણીજનક સૂત્રો લખવાના મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

જેએનયુની દિવાલ પર ઉશ્કેરણીજનક લખાણ
જવાહર નહેરુ યુનિવર્સિટીની દિવાલો પર બ્રાહ્મણો અને વાણિયા વિરુદ્ધ જાતિવાદી સૂત્રો લખવામાં આવ્યા બાદ વિવાદ ખુબ જ વધી ગયો છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર શાંતિશ્રી ડી પંડિતે આ મામલાને ખુબ ગંભીરતાથી લઈને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. જેએનયુ વહીવટીતંત્રે પણ આ ઘટનાની સખત ટિકા કરતા કહ્યું કે, ‘કેમ્પસમાં આવી અલગતાવાદી ગતિવિધિઓને બિલકુલ સાંખી લેવામાં નહી આવે. જેએનયુ બધાનું છે કોઈ એક જ્ઞાતિ કે ધર્મના લોકોનું નથી. જેએનયુ ટીચર્સ ફોરમે પણ આ ઘટના સામે રોષ વ્યક્ત કર્યો છે.
જેએનયુના વાઇસ ચાન્સેલર શાંતિશ્રી ડી પંડિતે સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝના ડીન અને ફરિયાદ સમિતિને તપાસ તાકીદે પૂર્ણ કરવા અને વહેલામાં વહેલી તકે તેનો રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે. જેએનયુ રજિસ્ટ્રાર ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘JNUનો અર્થ સમાવેશકતા અને સમાનતા છે. જેએનયુ કેમ્પસમાં કોઈપણ પ્રકારની હિંસા પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિને જાળવી રાખે છે.
જ્યારે ડાબેરી-લિબરલ ગેંગ દરેક અસંમત અવાજને ડરાવી દે છે, ત્યારે તેઓ EC પ્રતિનિધિઓને પસંદ કરવા માટે અપીલ કરે છે જે “પરસ્પર આદર અને સભ્યતાના મૂલ્યો પર ભાર મૂકે છે, અને બધા સાથે સમાન અને ન્યાયી વર્તન કરે છે.” ‘સભ્યતા’ અને ‘પરસ્પર આદર’. તોડફોડનું અત્યંત દુ:ખદ કૃત્ય! pic.twitter.com/pIMdIO9QsX
– જેએનયુ ટીચર્સ ફોરમ (@jnutf19) 1 ડિસેમ્બર, 2022
શું છે સમગ્ર ઘટના ?
ગુરુવાર, 01 ડિસેમ્બર 2022 ના રોજ, કેટલાક અજાણ્યા લોકોએ JNU કેમ્પસમાં વિવિધ સ્થળોએ દિવાલો પર બ્રાહ્મણ અને વણિક વિરોધી સૂત્રો લખ્યા હતા. કેટલાક સૂત્રો ખૂબ જ ઉશ્કેરણીજનક હતા – ‘બ્રાહ્મણ કેમ્પસ છોડો’, ‘અમે તમારા માટે આવી રહ્યા છીએ’, ‘શાખામાં પાછા જાઓ’, ‘અમે બદલો લઈશું’, ‘ખુનામરકી સર્જાશે’.
જેએનયુની દિવાલો પર લખાયેલા ઉશ્કેરણીજનક સૂત્રોની તસવીરો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહી છે. જેએનયુ ટીચર્સ ફોરમે ટ્વિટર પર, ઉશ્કેરણીજનક લખાયેલા સૂત્રોના કેટલાક ફોટા પણ શેર કર્યા છે. પોસ્ટને શેર કરતા ટીચર્સ ફોરમે ટ્વિટર પર લખ્યું છે- ‘જ્યારે ડાબેરી-ઉદારવાદી ગેંગ દરેક અસંમત અવાજને દબાવવા- ડરાવવાનું કામ કરે છે, ત્યારે તેઓ એક એવા EC પ્રતિનિધિને પસંદ કરવાની પણ અપીલ કરે છે જે પરસ્પર સન્માન, નાગરિક મૂલ્યો સ્થાપિત કરે અને બધાને સમાન વ્યવહાર આપે. ગુંડાગીરીનું આવુ વલણ અત્યંત નિંદનીય છે.
આરએસએસની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના જેએનયુના પ્રમુખ રોહિત કુમારે કહ્યું, ‘સામ્યવાદીઓએ જેએનયુની SIS-2 બિલ્ડિંગની દિવાલો પર આ ઉશ્કેરણીજનક સૂત્રો લખ્યા છે. મુક્ત વિચારવાળા પ્રોફેસરોને ઉશ્કેરવા માટે કેટલાકે તેમની ચેમ્બર પર ઉશ્કેરણીજનક સૂત્રો પણ લખ્યા છે. શૈક્ષણિક સ્થળોનો ઉપયોગ શિક્ષણ અને ચર્ચા માટે થવો જોઈએ. સમાજ અને વિદ્યાર્થી સમુદાયમાં ઝેર ફેલાવવા માટે નહી.