અમરેલી40 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધી રહી છે. જેમાં સૌથી વધારે રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ વિસ્તારમાં સંખ્યા ખૂબ વધી રહી છે. જેમાં સિંહોને આ ઉદ્યોગ અને માનવ વસાહત વચ્ચે વાતાવરણ વધુ અનુકૂળ આવી રહ્યું છે. સિંહો ગામડાંની બજારો સુધી આવી પશુઓના શિકાર કરી રહ્યાં છે અને આંટાફેરા કરી રહ્યા છે, પરંતુ હવે સિંહો શહેરી વિસ્તાર તરફ વળી રહ્યાં છે. તેથી લોકો અને વન વિભાગની ચિંતા વધી રહી છે. કેમ કે, 2 જેટલા સિંહો રાજુલામાં આવેલા છતડીયા રોડ ઉપર આવેલા સૂર્યા બંગ્લોઝ સુધી પહોંચ્યાં હતા. જ્યાં અનેક રેસિડેન્ટ સોસાયટીઓ અને સૌથી વધારે માનવ વસાહત વિસ્તાર છે.
સોસાયટીના લોકોમાં ચિંતા
સિંહો અહીં શહેર સુધી પહેલી વખત પહોંચ્યાં છે. આ વીડિયો સ્થાનિક વાહનચાલક દ્વારા મોબાઈલમાં કેદ કર્યો છે. અહીં રસ્તા વચ્ચે સિંહો આવી જવાના કારણે વાહન ઉભું રાખવાની ફરજ પડી હતી અને થોડીવાર માટે વાહન ચાલક પણ આ દ્રશ્યો જોઈ ચોંકી ઉઠ્યાં હતા. જ્યારે દ્રશ્યો 2 દિવસ પહેલાંના છે. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના બાદ અહીં રહેતા સોસાયટીના લોકો પણ ચિંતામાં આવ્યા છે. કેમ કે, સિંહો રેસિડેન્ટ સોસાયટી વિસ્તારમાં ઘુસી જાય તો બહાર કાઢવા મુશ્કેલ થાય અને વનવિભાગ માટે રેસ્ક્યુ ઓપરેશન કરવું તે મોટો પડકાર બની રહે.
રાજુલામાં સિંહોના આંટાફેરા વધ્યાં
રાજુલા શહેરના પ્રવેશ માર્ગ હિંડોરણા માર્ગ ઉપર અગાઉ સિંહો આવી ચડ્યાં હતા. ત્યારબાદ ભેરાઈ પ્રવેશ માર્ગ પર પણ સિંહો આવી ગયા હતા. ત્યારબાદ હવે છતડીયા રોડ પર પણ સિંહો સૂર્યા બંગ્લોઝ સુધી પહોંચતા સ્થાનિક લોકોમાં ચિંતા પેઠી છે.