પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં બાળકો દ્વારા વિચારાયેલી, બાળકો માટે બનાવાયેલી, બાળકો દ્વારા સંચાલિત એક એવી નગરી કે જ્યાં વિવિધ પ્રસ્તુતિઓ બાળકોને વધુ સારા વ્યક્તિ બનવાની પ્રેરણાથી છલકાવી દેશે.
અમદાવાદમાં યોજાનાર પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવને લઇ તડામાર તૈયારીઓ પૂર્ણ થઈ છે. 14 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી આ શતાબ્દી મહોત્સવ ચાલશે. જેમાં દેશ-વિદેશથી લાખો લોકો હાજરી આપશે. આ મહોત્સવમાં પાંચ પ્રદર્શનો, અક્ષરધામ મંદિર પણ આકર્ષણ જમાવશે.
4500 બાળકો કરશે બાળનગરીનું સંચાલન
ભાવી પેઢીમાં સંસ્કાર સિંચન, રાષ્ટ્રભક્તિ, પ્રકૃતિનું જતન જેવા ગુણોનું સિંચન કરવા ઉદ્દેશ સાથે બાળકો માટે ખાસ બનાવાઇ છે BAPS બાળનગરી. આ નગરીની વિશેષતા એ છે કે બાળકો દ્વારા વિચારાયેલી, બાળકો માટે બનાવાયેલી, બાળકો દ્વારા સંચાલિત થશે. અલગ અલગ માધ્યમોથી થતી પ્રસ્તુતિઓ બાળકોને વધુ સારા વ્યક્તિ બનવાની પ્રેરણા આપશે. 4,500થી વધુ બાળ-બાલિકા સ્વયંસેવકોઆ બાળનગરીનું સંચાલન કરશે. હાલ પણ આ બાળનગરીને સજાવવામાં 6,500થી વધુ બાળપ્રવૃત્તિ કાર્યકરો સેવા આપી રહ્યા છે.
કલાત્મક મેસ્કોટ, 3 પ્રદર્શન ખંડો, સંસ્કૃતિ રત્નો, શાંતિનું ધામ, બાળસ્નેહી ઉદ્યાન, બાળમંડળ એક્સપ્રેસ જેવી વિવિધ રચનાઓ કરવામાં આવી છે. ઉપરાંત બાળનગરીના બે કલા મંચોમાં 150 થી વધુ બાળકો નૃત્ય, ગીત-સંગીત, વક્તવ્યોની રમઝટ બોલાવી બાળકોને મોજ કરાવશે અને તેમની સુશુપ્ત શક્તિઓ ખીલવવાની પ્રેરણા આપશે.