ભરૂચ26 મિનિટ પહેલા
- કૉપી લિંક
- પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીના જૂથ વચ્ચે ધમાસાણ
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી અને યોગી ડિવાઇન સોસાયટી ટ્રસ્ટ સંચાલિત સર્વનમન વિદ્યામંદિરમાં કેરટેકટર બહેનો ( સાધ્વી)ઓ બદલવાના મામલે વિવાદ ઉભો થયો છે. શાળામાં હરિધામ સોખડાથી નવી સાધ્વી બહેનોને મુકવામાં આવતાં શાળામાં અભ્યાસ કરતી છાત્રાઓ તથા વાલીઓએ હોબાળો મચાવી દીધો હતો. વિવાદ વકર્યા બાદ આખરે નવા શૈક્ષણિક સત્ર સુધી શાળામાં જુની કેરટેકર બહેનો જ કામગીરી સંભાળશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ આખા સંપ્રદાયમાં બે ફાટા પડી ગયાં છે. એક પ્રેમસ્વરૂપ સ્વામીનું જૂથ અને બીજુ પ્રબોધસ્વામીનું જૂથ.. હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ યોગી ડિવાઇન સોસાયટી ટ્રસ્ટનો વહીવટ પ્રેમ સ્વરૂપ સ્વામી સંભાળી રહયાં છે. ભરૂચની સર્વનમન વિદ્યામંદિરનો વહીવટ યોગી ડિવાઇન સોસાયટી ટ્રસ્ટ સંભાળતું હોવાથી તેમણે સોખડાથી નવી સાધ્વીઓને સર્વનમન વિદ્યામંદિરમાં તાલીમ માટે મોકલી હતી.
નવી સાધ્વીઓ તાલીમ માટે આવતાંની સાથે સર્વનમન વિદ્યામંદિર સમરાંગણમાં ફેરવાય તેવો માહોલ જોવા મળ્યો હતો. બુધવારે વિદ્યાર્થીનીઓના વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો હતો તેમજ છાત્રાઓએ સોખડાથી આવેલી સાધ્વીઓ હેરાન કરતી હોવાના આક્ષેપો લગાવતાં પોલીસને દરમિયાનગીરી કરવી પડી હતી. સોખડાથી આવેલાં સ્વસ્તિકબેન નામના સાધ્વી ઉપર તો વાલી પર હાથ ઉગામવાનો આરોપ લાગતાં વાતાવરણ તંગ બની ગયું હતું. આખી રાત ચાલેલા ડ્રામા બાદ આખા વિવાદમાં નવો વળાંક આવ્યો છે. વાલીઓના વિરોધ બાદ સર્વનમન વિદ્યામંદિરમાં નવા શૈક્ષણિક સત્ર સુધી જૂની બહેનો ( સાધ્વી)ઓ કામગીરી સંભાળશે. જો કે અંદરખાને ભારેલા અગ્નિ જેવો માહોલ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
જૂની સાધ્વીઓ પ્રબોધસ્વામીના ગૃપની
સર્વનમન વિદ્યામંદિરમાં બાળકીઓ અભ્યાસની સાથે ત્યાં હોસ્ટેલમાં જ રહે છે. આ છાત્રાઓની સલામતી અને સુરક્ષા માટે સાધ્વીઓની નિમણુંક કરવામાં આવે છે. 17 વર્ષ ઉપરાંતથી શાળામાં કામ કરતી સાધ્વીઓની સાથે સોખડાથી નવી સાધ્વીઓને તાલીમ માટે શાળામાં મોકલવામાં આવતાં વિવાદ થયો હતો. જૂની સાધ્વીઓ પ્રબોધસ્વામી જૂથની અને નવી સાધ્વીઓ પ્રેમસ્વરૂપ જૂથની હોવાની ચર્ચાઓ ચાલી રહી છે . શાળાના ટ્રસ્ટીઓએ હાલ પુરતી જૂની સાધ્વીઓને ચાલુ રાખવાનો નિર્ણય લેતાં આગામી માર્ચ મહિના સુધી વિવાદ શાંત રહેશે તેમ લાગી રહયું છે.
નવી સાધ્વીઓ પરત સોખડા ગઇ છે
સર્વનમન વિદ્યામંદિરમાં સંચાલક સંસ્થા યોગી ડિવાઇન સોસાયટી ટ્રસ્ટ દ્વારા નવી સાધ્વીઓને તાલીમ માટે મોકલવામાં આવી હતી પણ છાત્રાઓ તથા વાલીઓના વિરોધ બાદ જૂની સાધ્વીઓ જ ચાલુ શૈક્ષણિક સત્રના અંત સુધી કામગીરી સંભાળશે. નવી સાધ્વીઓને પરત મોકલવામાં આવી છે.શાળામાં ખોટી રીતે વિવાદ ઉભો કરવાનો પ્રયાસ થયો હતો અને ખોટા આરોપો પણ લગાવવામાં આવ્યાં હતાં. > ખંડુભાઇ પટેલ , ટ્રસ્ટી, સર્વનમન વિદ્યામંદિર