પાટણ24 મિનિટ પહેલા
- કૉપી લિંક
પાટણ વિધાનસભા વિસ્તારમાં રહેતા અનુસૂચિત જાતિ સમાજનો સ્નેહમિલન સમારોહ ગુરૂવારના રોજ પાટણ શહેરના સિધવાઈ માતાજીના મંદિર પરિસર ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. આ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહેલા સૌ પરિવારોએ પાટણ વિધાનસભા બેઠક પર ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના એક્ટીવ ઉમેદવાર ડૉ. કિરીટ પટેલને સર્વાનુમતે સમર્થન આપી તેઓને જંગી મતોથી જીતાડવા અને સંવિધાન બચાવવા માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો.
ડૉ. કિરીટ પટેલને ભવ્યાતિભવ્ય વિજય અપાવવા આહ્વાન કર્યું
આ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહેલા અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો કોંગ્રેસની સરકારમાં સિંહ ફાળો બની રહે તેવા હુંકાર સાથે સર્વાનુમતે ઠરાવી આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ડૉ. કિરીટ પટેલને મત આપી-અપાવી ભવ્યાતિભવ્ય વિજય અપાવવા આહ્વાન કર્યું હતું.
વિવિધ અગ્રણીજનો હાજર રહ્યાં
પાટણના સિધવાઈ માતાજીના મંદિર પરિસર ખાતે આયોજિત પાટણ વિધાનસભા મત વિસ્તારના અનુસૂચિત જાતિ સમાજના આ સ્નેહ સંમેલન કાર્યક્રમમાં પાટણ વિધાનસભા બેઠકના ઉમેદવાર ડૉ. કિરીટ પટેલ, સહકારી અગ્રણી દશરથ પટેલ, પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટના ચેરમેન હસમુખ સક્સેના, પાટણ શહેર અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટ પ્રમુખ પી.જે. વાણિયા સહિતના મહાનુભાવો, આગેવાનો, કાર્યકરો અને સમાજના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.