સુરતના (Surat) બારડોલીમાં ગઇકાલે 13 ડિસેમ્બરે મહેનત અને ખર્ચ કર્યા બાદ પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

ગૌ શાળા સંચાલકોએ ખેડૂતોના હિતમાં લીધો મોટો નિર્ણય
ગઈકાલ 13 ડિસેમ્બરે રીંગણના ભાવને લઈને ખેડૂતોનો વાયરલ થયેલ વિડિયો બાદ ગૌ શાળાના સંચાલકો આગળ આવ્યા છે અને ખેડૂતોને પોસાય એ ભાવે રીગણ ખરીદી કરવાનું નક્કી કર્યું છે. ધરતી પુત્રો ત્રણેય ઋતુમાં મહેનત કરીને પાક પકવતા હોય છે અને જ્યારે પોષણક્ષમ ભાવ ન મળે ત્યારે ખેડૂત મુશ્કેલીમાં મુકતો હોય છે. ત્યારે આવું જ કંઈક સુરત જિલ્લાના બારડોલીમાં થયું છે. ગઇકાલે બારડોલીમાં વેપારીએ રીંગણ 1 રૂપિયે કિલો માગતા રોષે ભરાઇ ગયા હતા. જેના કારણે ખેડૂતોએ 1150 કિલો રીગણ માર્કેટના જ રસ્તા પર ફેંકી દીધા હતા.
પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ રોષ ઠાલવ્યો
સુરતના બારડોલીમાં ગઇકાલે 13 ડિસેમ્બરે મહેનત અને ખર્ચ કર્યા બાદ પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે આ વિડીયો જોઈને બારડોલી પાંજળા પોળ- ગૌ શાળાના સંચાલકો ખેડૂતોની વ્હારે આવ્યા છે. તેઓએ ખેડૂતોની આ દશા જોઈને ખેડૂતો પાસેથી જ ખેડૂતોને પોસાય એ ભાવે રીંગણ ખરીદી કરવાનું નક્કી કર્યું છે. ત્યારે આ વાતને લઈને ખેડૂતો એ પણ રીંગણ રસ્તા પર ફેંકવા કરતા ગૌ શાળામાં ગાય માટે રીગણ આપી જે વળતર મળે તે જ વળતર પાછું ગૌ શાળામાં આપી દેવાનું નક્કી કર્યું છે.
વેપારીઓ દ્વારા ખેડૂતોનું શોષણ થતુ હોવાનો ખેડૂતોનો આક્ષેપ
આ પહેલા વેપારીઓએ 1 મણના માત્ર 20 રૂપિયા જ આપવા માટે જણાવ્યું હતું, પરંતુ ગૌ શાળાના સંચાલકોએ 1 કિલોના 10 રૂપિયા આપવાનું જણાવ્યું હતું. જેથી 1 મણના સારા એવા ભાવ મળતા ખેડૂતોએ બારડોલીની ગૌ શાળામાં જ રીંગણ આપવાનું નક્કી કર્યું. બીજી તરફ ખેડૂત આગેવાનએ આક્ષેપ કર્યો હતો કે, વેપારીઓ દ્વારા ખેડૂતોનું શોષણ કરવામાં આવે છે. વધુમાં વેપારીઓ શાકભાજી ઓછા દરે ખેડૂતો પાસે લઇને ઊંચા ભાવે વેચાણ કરે છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતો નથી. વેપારીઓનું શાકભાજી માર્કેટમાં 10 ટકા કમિશન પણ વધુ છે તેવું જણાવીને ખેડૂત આગેવાનોએ આ મામલે આક્ષેપ લગાવ્યો હતો.
(વિથ ઇનપુટ-જીજ્ઞેશ મહેતા, બારડોલી)