નર્મદા (રાજપીપળા)18 મિનિટ પહેલા
- કૉપી લિંક

નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા એસટી ડેપો પાછળ આવેલા કરજણ ઓવારા પાસે બનેલા રામગઢ જતા પુલની ગુણવત્તા બાબતે અનેકવાર સવાલ ઉઠ્યા હતા. આ પુલની પીલ્લર ત્રણ વખત ક્ષતિગ્રસ્ત થયા બાદ ઘણા મહિના બંધ રખાયો હતો. ત્યારબાદ હાલમાં આ પીલ્લર ફરી ક્ષતિગ્રસ્ત થતાં ઘણા સમયથી પુલ બંધ છે અને હાલમાં આ પીલ્લર પર થીંગડા મારતા હોવાની વાતે લોકોમાં પુલની કમાગીરી બાબતે સવાલો ઉઠ્યા છે.

કાયમી નિરાકરણ લાવે તો લોકો માટે જોખમ ટળે
અગાઉ આ પીલ્લર ક્ષતિગ્રસ્ત થયા બાદ એક તરફના ભાગે વીસ ફૂટ જેવો ઊંડો ખાડો પડી જતાં પુલ પરથી અવર જવર બંધ કરવામાં આવી હતી. ત્યારે રાત્રે એક બાઈક ચાલક પુલ પરથી પસાર થતા ઊંડા ખાડામાં બાઈક સાથે પટકાતા ગંભીર ઈજાઓ બાદ વડોદરા સારવાર માટે મોકલાયો હતો. ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આમ આ પુલ જીવલેણ સાબિત થયો હોવા છતાં ત્રણ વખત ક્ષતિગ્રસ્ત પીલ્લર પર હાલમાં થીંગડા મારી નવા કપડાં પહેરાવતા જોવા મળતા આવરનારા દિવસોમાં જ્યારે પુલ શરૂ કરાશે ત્યારે તેનું ગુણવત્તાના કારણે હજુ કોઈ બીજા વાહન ચાલકનો ભોગ લેવાઈ તેવી શક્યતાઓ લાગી રહી છે. માટે કામ કરતી એજન્સી કાયમી નિરાકરણ લાવે તો લોકો માટે જોખમ ટળે,લાગતા વળગતા અધિકારી યોગ્ય મરામત કરાવે તેવી માંગ ઉઠી છે.