Sunday, December 11, 2022

એક યુવક પર કરેલા હુમલા બાદ દેવાયત ખવડનો ઠેર-ઠેર વિરોધ, ધાંગધ્રામાં લોક સાહિત્યકારની જાહેરમાં તસવીર સળગાવાઈ, જુઓ VIDEO

ધ્રાંગધ્રાના એંજાર અને કોંઢ ગામે લોક સાહિત્યકાર દેવાયત ખવડની તસવીર સળગાવી વિરોધ કરવામાં આવ્યો. તો સાથે જ ધ્રાંગધ્રા તાલુકામાં લોક સાહિત્યકારનો કાર્યક્રમ ન કરવા દેવાની ચીમકી ઉચ્ચારાઈ છે.

TV9 ગુજરાતી

| સંપાદિત: મમતા ગઢવી

ડિસે 11, 2022 | 12:44 PM

લોક સાહિત્યકાર દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. રાજકોટમાં મયુરસિંહ રાણા નામના વ્યક્તિને એસ્ટ્રોન ચોકમાં પાઇપ વડે હુમલો કરી તેમણે ગંભીર ઈજા પહોંચાડી હતી. આ કેસમાં દેવાયત ખવડ અને તેના બે સાગરીતો સામે  A ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો થોડા દિવસો પહેલા મયુરસિંહ રાણા તેના સંબંધીને ત્યાં ગયા હતા, ત્યારે વાહન પાર્કિંગને લઈને દેવાયત ખવડ સાથે ઝઘડો થયો હતો.

આ હુમલા બાદ તેનો ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે  ધ્રાંગધ્રાના એંજાર અને કોંઢ ગામે લોક સાહિત્યકાર દેવાયત ખવડની તસવીર સળગાવી વિરોધ કરવામાં આવ્યો. તો સાથે જ ધ્રાંગધ્રા તાલુકામાં દેવાયત ખવડનો કાર્યક્રમ ન કરવા દેવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે. તેમજ હુમલો કરનારા લોક લોક સાહિત્યકારને ઝડપીને કાયદેસર કાર્યવાહી કરવા માગ કરાઈ છે.

હુમલા બાદ દેવાયત ખવડ ભૂગર્ભમાં

જેની અદાવત રાખીને દેવાયત ખવડે મયુરસિંહ રાણા પર પાઈપ વડે હુમલો કર્યો અને પગમાં ગંભીર ઈજા પહોંચાડી હતી. જો કે ગુનો દાખલ થતા જ દેવાયત ખવડ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. યુનિવર્સિટી રોડ પર આવેલો તેના બંગલામાં તાળું લગાવેલું છે, તો તેના બંને મોબાઈલ નંબર સ્વીચ ઓફ આવી રહ્યા છે. પોલીસે તેના વતન મુળી ખાતે પણ તપાસ હાથ ધરી પરંતુ કોઈ સફળતા મળી નથી.જો કે દેવાયત ખવડનો આ પ્રથમ વિવાદ નથી, અગાઉ પણ તેઓ અનેક વખત વિવાદમાં આવી ચૂક્યા છે.