સાબરકાંઠા (હિંમતનગર)26 મિનિટ પહેલા
- કૉપી લિંક

ઈડર બુઠિયા ગામે દેવીપૂજક ભાઈઓના સ્મશાન તરફ જવાના રસ્તે ખોદકામ કરી કોટ બનાવવાનું કામ શરૂ કરવામાં આવતા પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને લેખિતમાં રજુઆત કરાઈ હતી.

રસ્તો બંધ થઈ જતા ભારે મુશ્કેલી
ઈડર તાલુકાના બુઢિયા ગામે દેવીપૂજક અને પટેલ સમાજના લોકો વસવાટ કરે છે. અહીં ગામની અંદર ગૌચરની જમીનમાં ગૌવાવ નદી કિનારે પહેલા પટેલ સમાજનો સ્મશાન આવે છે. જેના બાજુમાં થોડાક દૂર દેવીપૂજક ભાઈઓનો સ્મશાન આવેલો છે. અહીં સ્મશાનમાં જવા માટે એકજ રસ્તો આવેલો છે. અહીં પટેલ સમાજ દ્વારા તેમના સ્મશાન ફરતે પાયા ખોદીને કોટ બનાવવાનું કામ શરૂ કરવામાં આવતા દેવીપૂજક ભાઈઓને સ્મશાનમાં જવા માટે રસ્તો બંધ થઈ જતા ભારે મુશ્કેલી સર્જાઈ છે.

રસ્તો ખુલ્લો કરવામાં આવે તેવી માગ
દેવીપૂજકમાં કોઈ મરણ થાય તો તે મરણ જનારને સ્મશાનમાં કેવી રીતે લઈ જવાય તે મોટો પ્રશ્ન બન્યો છે. જે બાબતે દેવીપૂજક ભાઈઓ દ્વારા પટેલ સમાજના ભાઈઓને આ બાબતે રજુઆત કરવામાં આવી હતી. બીજી તરફ રસ્તો બંધ થવાને લઈને દેવીપૂજક ભાઈઓ દ્વારા ઈડર પ્રાંત અધિકારી, ઈડર મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી દેવીપુજક ભાઈઓના સ્મશાન તરફ જવામાટેનો રસ્તો ખુલ્લો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
