Parth Patel, Ahmedabad: પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સંતો-યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્રના ધૂનગાન અને પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિ કરાવતાં કેમ રે ભુલાય! ભક્તિપદોથી સભાનો આરંભ કરવામાં આવ્યો હતો. અનેકવિધ ભક્તોએ પ્રમુખસ્વામી મહારાજ સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા. જેમાં પ્રમુખસ્વામી મહારાજે કરેલાં વ્યસનમુક્તિ, પત્રલેખન, પધરામણી, શિક્ષણ કાર્યોને દર્શાવતી હૃદયસ્પર્શી વિડિયો દર્શાવવામાં આવી હતી. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં 30 દિવસમાં 1 કરોડ 21 લાખ કરતાં વધુ દર્શનાર્થીઓએ મેળવી આંતરજાગૃતિની પ્રેરણા મેળવી છે.
1 લાખ 23 હજાર લોકો વ્યસનમુક્તિ અને ઘરસભા માટે થયા નિયમબદ્ધ
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં અનેક લોકોએ સ્વેચ્છાએ વિવિધ પ્રદર્શનખંડો બહાર રાખવામાં આવેલી નિયમકુટિરમાં વ્યસનમુક્તિ અને પારિવારિક શાંતિ માટે ઘરસભા, સમૂહભોજન આદિ નિયમો ગ્રહણ કર્યા હતા. જેમાંથી 1 લાખ 23 હજાર લોકો વ્યસનમુક્તિ અને ઘરસભા માટે નિયમબદ્ધ થયા.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
30 દિવસમાં 56,28,955 સીસી રક્ત એકઠું કરવામાં આવ્યું
આ સાથે નગરમાં બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 30 દિવસમાં દાતા દ્વારા કુલ 56,28,955 સીસી રક્ત એકઠું કરવામાં આવ્યું હતું. આ એકત્ર થયેલા રક્તને ગુજરાતની જુદી જુદી 15 બ્લડ બેન્કમાં મોકલવામાં આવ્યું છે. જીવન પરિવર્તન માટે સંકલ્પબદ્ધ થયેલાં હજારો લોકોમાંથી કેટલાંક સ્વાનુભાવોની ઝલક જોઈએ.
વ્યસનમુક્તિ
આનંદભાઈ પટનીએ જણાવ્યું હતું કે, 21 ડિસેમ્બરના દિવસે તેઓ પોતાના પરિવાર સાથે શતાબ્દી મહોત્સવમાં બાળનગરીની મુલાકાતે આવ્યા હતા. બાળનગરીમાં તેમના પુત્રએ નિયમ કુટિરમાંથી માતા-પિતાને પગે લાગવાનો નિયમ લીધો. નિયમ કુટિરમાંથી તેમને ચાલો બનીએ આદર્શ પુસ્તક ભેટમાં આપવામાં આવ્યું. બીજા દિવસ એટલે કે 22 ડિસેમ્બરથી તેમના પુત્રએ નિયમ પાળવાનો શરૂ કરી દીધો. તે પુસ્તક વાંચતો હતો ત્યારે તેમાં વ્યસનની કુટેવવાળું પેજ આવ્યું. તે બતાવીને તેના પિતાને કહ્યું કે, તમે જો તમે વ્યસન નહિ છોડો તો આજથી હું તમારી સાથે બોલીશ નહિ.
બાળકની જીદ સામે આનંદભાઈ નમી ગયા અને વ્યસન મૂકી દેવાનો નિયમ લીધો. એટલું જ નહિ પણ એમનો બાળક બીજા દિવસે ચાલો બનીએ આદર્શ પુસ્તક સ્કૂલમાં લઇ ગયો અને બધા બાળકો અને શિક્ષકોને એ પુસ્તક બતાવી પોતે લીધેલ નિયમ અને બાળનગરીની વાત કરી. બીજા દિવસે 22 ડિસેમ્બરે સાંજે ફરીથી બાળનગરીમાં આવી આનંદભાઈએ નિયમ કુટિરનું લાઇવ વિડીઓ કવરેજ લીધું.
મહેશભાઈ ગવારીયાએ જણાવ્યું હતું કે, તેઓ ધંધુકામાં રહે છે અને લાકડા કાપવાની લાતીનો વ્યવસાય કરે છે. તેમને 4 વર્ષથી મસાલાનું વ્યસન હતું. હરિભક્ત સૌમિલભાઈ ચૌહાણ દ્વારા તેઓને સેવામાં આવવાની પ્રેરણા મળી. ધંધામાંથી રજા લઈને સેવામાં આવવું ઘણું મુશ્કેલ હતું. છતાં પણ પોતે એક અઠવાડિયાની સેવામાં આવી ગયા. ડેકોરેશન વિભાગમાં તેઓ સેવા કરી રહ્યા હતા. નગર જોઈને ખૂબ અભિભૂત થયા. હરિભક્તો-સંતો સાથે સેવામાં જોડાવાથી તેઓએ સંકલ્પ કર્યો કે હવે પોતે આજીવન વ્યસન મુક્ત રહેશે.
ઘરસભા
નડિયાદનાં રાજદાન ગઢવીએ જણાવ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજ પોતે આટલી મોટી સંસ્થાના ગુરુ પદે હોવા છતાં દરેક વ્યક્તિઓના મન સાચવ્યા છે. ટૂટે હ્રદય ટૂટે ઘર પ્રદર્શન નિહાળ્યા બાદ એવું લાગ્યું છે. આપણે ઘરના મોભી હોઈએ તો ઘરના દરેક સભ્યના મન સાચવીએ તો ઘણું બધું પરિવર્તન આવી શકે છે. આપણે નિયમિત ઘરસભા કરવી જ જોઈએ. જે નિયમ અહીં લીધો.
ગુસ્સાનો ત્યાગ
લક્ષ્મણભાઇ પરમારે જણાવ્યું હતું કે, દરેક પ્રદર્શન સર્વશ્રેષ્ઠ છે. મારે વ્યસન તો ન હતું પણ અહીં બાળકો પાસેથી ગુસ્સો છોડવા અંગે જણાવવામાં આવ્યું. જે બહુ મોટી વાત છે. મોટી વ્યક્તિઓ તો શીખ આપતા હોય છે. અહીં બાળકો શીખ આપી સમજાવે છે. અહીં મેં ગુસ્સો ના કરવા અંગેનો નિયમ ગ્રહણ કર્યો છે.
સમૂહભોજનનો સંકલ્પ
સંધ્યાબેન સુનિલભાઈ સહાડી, સુરત જણાવે છે કે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી માટે બધા જાય છે એટલે જોવા માટે આવ્યા. શો બહુ ગમ્યો. આવી રીતે ઘરમાં બધા હળીમળીને રહે તો પરિવારમાં સુધારો થાય અને સંપ રહે. અહીં હું સમૂહભોજનનો નિયમ લઉં છું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad news, Local 18, Pramukh Swami Maharaj Shatabdi Mahotsav