https://images.bhaskarassets.com/web2images/960/2023/01/15/a3b4a64e-b31e-4d36-ba91-f8f7c9d0c156_1673780318978.jpg
કચ્છ (ભુજ )13 મિનિટ પહેલા
- કૉપી લિંક

ભુજ તાલુકાના દુર્ગમ ખાવડા ગામ ખાતે આજે ધોરીમાર્ગ નિર્માણમાં નડતરરૂપ કાચા પાકા દબાણોને વહીવટી તંત્ર દ્વારા દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. બે દિવસ પૂર્વે દબાણો ખસેડી લેવાની નોટિસ તંત્ર દ્વારા દબાણગ્રસ્તોને પાઠવવામાં આવ્યા બાદ આજે યથાસ્થાને રહેલા અતિક્રમણને દૂર કરવામાં આવ્યા હતા. દબાણ હટાવ કામગીરીને સુપેરે પાર પાડવા સ્થાનિક પોલીસ સાથે ભુજ પોલીસ બંદોબસ્તમાં ગોઠવાઈ હતી. આ વેળાએ ડીવાયએસપી, મામલતદાર અને નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. ગામના મુખ્ય માર્ગ પાસેના પતરાના સેડ, હંગામી કેબીનો અને પાકા મકાનો જેસીબી મશીન વડે તોડી પાડવામાં આવ્યા હતા.
જિલ્લા મથક ભુજથી 100 કિલોમીટર દૂર ખાવડા ગામે આજે વહીવટી તંત્ર દ્વારા બે દિવસની નોટિસ બાદ ધોરીમાર્ગ નિર્માણમાં નડતરરૂપ દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ વિશે મામલતદાર બારડ સાથે વાત કરતા તેમણે પ્રાથમિક માહિતી આપતા જણાવ્યું હતું કે, નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા માર્ગ નિર્માણમાં અવરોધરૂપ તથા ગેરકાયદે બનેલા સંકુલો પર આ કાર્યવાહી કરવામાં આવી હતી. અલબત્ત સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આગામી જી 20ની સફેદ રણમાં યોજાનાર બેઠક પૂર્વે આ વિસ્તારના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. તેમાં ખાવડા ગામ આવેલા ત્રણથી ચાર મદરેસાનો પણ સમાવેશ થાય છે. દરમિયાન આજે રજાના દિવસે તંત્રની કામગીરીથી સ્થાનિક લોકોમાં શંકા કુશંકા પ્રવર્તી હતી.