https://images.bhaskarassets.com/web2images/960/2023/01/17/7_1673932603.jpg
7 મિનિટ પહેલા
- કૉપી લિંક

કોંગ્રેસે આખરે વિધાનસભામાં વિપક્ષ નેતા અને ઉપનેતાની જાહેરાત કરી છે. નવી વિધાનસભા રચાઈ ગઈ પરંતુ કોંગ્રેસે અત્યાર સુધી નેતાઓની પસંદગી કરી ન હતી. પરંતુ વિધાનસભાની ચૂંટણી થયેલી હારના કારણો શોધતાં-શોધતાં જ આખરે પોતાના વિપક્ષ નેતા અને ઉપનેતાની પસંદગી કરી દીધી છે. ગુજરાત રાજ્ય વિધાનસભા વિરોધ પક્ષના નેતા પદે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાની નિમણૂક કરી છે. જ્યારે ઉપનેતા તરીકે અમદાવાદની દાણીલીમડા બેઠક પરથી જીતેલા શૈલેશ પરમારની નિમણૂક કરી છે.
સામાન્ય રીતે વિધાનસભાના સત્રના 30 દિવસમાં જ વિપક્ષના નેતાનું નામ જાહેર કરવાનું હોય છે. ત્યારે 20 ડિસેમ્બરે પહેલું સત્ર મળ્યું હતું. જેથી 20 જાન્યુઆરી પહેલાં જ કોંગ્રેસ દ્વારા નામ જાહેર કરવામાં આવશે તે નક્કી હતું.
લોકો ખૂબ તકલીફમાં છે-અમિત ચાવડા
વિપક્ષ નેતા જાહેર કરાયા બાદ અમિત ચાવડાએ દિવ્યભાસ્કર સમક્ષ પ્રથમ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, મોંઘું શિક્ષણ છે, બેરોજગારી આસમાને છે, પરીક્ષામાં કૌભાંડ થતાં યુવાનો નિરાશ છે, લોકોને પારાવાર સમસ્યા છે. સરકારી તંત્ર અને સરકારી બજેટનો ઉપયોગ મુઠ્ઠીભર લોકો માટે થાય છે. એની સામે પ્રજાના જે પ્રશ્નો છે તે માટે લડીશું અને અવાજ ઉઠાવીશું. વિધાનસભા કોંગ્રેસ પક્ષ લોકોના અધિકારો માટે અવાજ જે રીતે બૂલંદ કરવાનો થશે તે લોકો વચ્ચે અને ફ્લોર પર અવાજ ઉઠાવશે. સંવૈધાનિક અધિકાર છીનવાતો હશે ત્યારે કોંગ્રેસ પક્ષ અવાજ ઉઠાવશે. લોકો ખૂબ તકલીફમાં છે.
હાલ કોંગ્રેસનું ચૂંટણીમાં કારમી હારનું ચિંતન ચાલી રહ્યું છે
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષની કારમી હાર થઈ છે. કારમાં પરાજય બાદ કોંગ્રેસના નેતાઓમાંથી કેટલાકે ઇવીએમને જવાબદાર ગણ્યા, તો કેટલાકે આમ આદમી પાર્ટીને જવાબદાર ગણી, તો કેટલાકે પક્ષમાં રહીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર વ્યક્તિઓને પણ જવાબદાર ગણ્યા હતા. ત્યારે હવે હાર માટેના કારણ શોધવા કમિટી રચાઈ છે.
ધારાસભ્ય અને ઉમેદવારો વન ટુ વન બેઠક
આજની બેઠકમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ધારાસભ્ય અને ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા. તમામ સાથે વન ટુ વન બેઠક ચાલી હતી. આ બેઠકમાં અમદાવાદના પણ 2 ધારાસભ્ય તથા હારેલા ઉમેદવાર હાજર રહ્યા હતા. ફેક્ટ એન્ડ ફાઈન્ડિંગ કમિટીના ચેરમેન નીતિન રાઉત તથા સભ્ય શકીલ અહમદ અને સપ્તગીરી ઉલાકા હાજર હતા. હજુ 2 દિવસ સુધી ધારાસભ્ય અને ઉમેદવારો સાથે બેઠક ચાલશે. જે બાદ રિપોર્ટ તૈયાર કરીને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સોપાશે.
હારના કારણો જાણવા માટેના પ્રયત્નો કર્યા
મહારાષ્ટ્રના કોંગ્રેસના પૂર્વ કેબિનેટ મંત્રી નીતિન રાઉત સહિતની બે સભ્યોની કમિટી ચૂંટાયેલા અને હારેલા ઉમેદવારો સાથે વન ટુ વન મુલાકાત કરી હતી. જેમાં કયા કારણથી હાર થઈ તે જાણવા માટેના પ્રયત્નો કર્યા હતા. કોંગ્રેસ કાર્યાલય ખાતે વહેલી સવારથી જ ઉમેદવારો સાથે પણ વન ટુ વન સાથે બેઠક ચાલી હતી. આ બેઠકમાં કોંગ્રેસના હારેલા ઉમેદવારોએ પોતાની હાર માટેનું જવાબદાર કારણ પણ આપ્યું હતું. આ બેઠકમાં પાર્ટી વિરોધી કામ કરનાર હોદ્દેદારને સસ્પેન્ડ કરવા માટેની માંગ કરાઈ હતી.
પ્રમુખ સહિત અનેક હોદ્દેદારોના કેબિન ખાલીખમ
2022ની ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ ઓફિસ પર સન્નાટો જોવા મળ્યો હતો. ત્યારે આજે ચૂંટણીના પરિણામના 38 દિવસ બાદ કોંગ્રેસ ઓફિસે ફરીથી બેઠકનો દોર શરૂ થયો છે. છેલ્લા કેટલાય દિવસથી પ્રદેશ પ્રમુખ સહિત અનેક હોદ્દેદારોના કેબિન ખાલીખમ જોવા મળ્યા હતા ત્યારે સોમવારથી બેઠક શરૂ થતાં કોંગ્રેસ ઓફિસમાં હિલચાલ જોવા મળી હતી. આ બેઠકમાં ચૂંટાયેલા ધારાસભ્યો પણ જોવા મળ્યા હતા તો હારેલા ઉમેદવાર પણ જોવા મળ્યા હતા. આજની બેઠકમાં હારના કારણો પર ચર્ચા થઈ હતી જેમાં પાર્ટીની અંદર રહીને પાર્ટી વિરોધી પ્રવૃત્તિ કરનાર હોદેદારો અંગે પણ ચર્ચા થઈ હતી. ત્યારે હવે પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર સામે પગલાં લેવામાં આવશે કે તે સવાલ છે અને જો પગલાં લેવામાં ના આવે તો આગામી 2024ની લોકસભાની ચૂંટણીમાં જ કોંગ્રેસે આ પ્રકારની હારનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.