ઊંચાઈમાં માણસને રસ પડે છે. તેને જોવામાં, જાણવામાં અને માપવામાં. એ પછી મકાન હોય કે મહેલ. પર્વત હોય કે પૂતળાં, ઝાડવાં હોય કે જળપ્રપાત. ઊંચું દેખ્યું નથી કે માણસ અટક્યો નથી. પૂછે, જાણે, માપે, સરખાવે અને અચરજ પામે. થોડી જુદી રીતે વિચારીએ તો માણસને ઊંચાઈ પકડવી પણ ગમે છે. વિદ્યાર્થી હોય કે વેપારી, નેતા હોય કે નાટ્યકાર, ખેડૂત હોય કે ખેલાડી. દરેકને પોતાના ક્ષેત્રમાં ઊંચાઈએ પહોંચવું ગમે છે. તેમાં એક પ્રકારનો આનંદ આવે છે.
અભિગમ એટલે વલણ અથવા પરિસ્થિતિ કે સંજોગોને જોવાનો એક સૈદ્ધાંતિક સમજણ સાથેનો ર્દષ્ટિકોણ
પરંતુ મહાપુરુષોના જીવનમાંથી એક નક્કર વાસ્તવિકતા એ જાણવા મળે છે કે સંસારી કે લૌકિક ઊંચાઈને આંબવા છતાં જે શાંતિ, સ્થિરતા કે પ્રસન્નતાનો અનુભવ નથી થતો તે અનુભવ વ્યક્તિ અભિગમની ઊંચાઈથી પ્રાપ્ત કરી શકે છે. અભિગમ એટલે વલણ. પરિસ્થિતિ કે સંજોગોને જોવાનો એક સૈદ્ધાંતિક સમજણ સાથેનો ર્દષ્ટિકોણ. જેને લીધે આપણે અંતરથી સુખી રહી શકીએ.
અંગ્રેજી લેખક એલ્ડસ હક્સલી લખે છે કે અનુભવ એ નથી કે માણસ સાથે શું થાય છે. માણસ તેની સાથે જે થાય છે તે કરે છે. અનુભવ એ નથી કે જે માણસ સાથે બને છે. અનુભવ એ છે કે માણસ તેની સાથે જે બન્યું છે તેનો કેવો પ્રતિભાવ આપે છે.
રોજ એક વખત સ્નાન કરવાનો નિયમ તારી કૃપાથી 100 વખત સ્નાન કરવાનો લાભ મળ્યો
મહારાષ્ટ્રના સંત એકનાથ ગોદાવરી નદીમાં સ્નાન કરીને પાછા વળતા હતા. ત્યાં જ એક દ્વેષી તેમના ઉપર થૂંક્યો. એકનાથ કાંઈપણ બોલ્યા વિના ફરીથી સ્નાન કરી આવ્યા. તે વ્યક્તિ ફરીથી થૂંક્યો. આવું 100 વાર બન્યું. ભલભલો માનસિક સંતુલન ગુમાવી બેસે તેવી આ પરિસ્થિતિમાં એકનાથજી જરાય વિચલિત ન થયા. ક્રોધ ન કર્યો. થૂંકનારને પસ્તાવો થયો.
એકનાથજી કહે કે તારે દુઃખી થવાની જરૂર નહીં. મારે રોજ એક વખત જ સ્નાન કરવાનો નિયમ હતો. આજે તારી કૃપાથી 100 વખત સ્નાન કરવાનો લાભ મળ્યો. કબીરજીને કોઈએ કહેલું કે કબીર તો સાધુ-ફકીરો સાથે રહીને બગડી ગયા છે. ત્યારે કબીરજી સ્મિત સાથે કહે કે ખરી વાત છે.
પછી તેમણે કહ્યું કે
સાધુ કે સંગ મે, કબીરા જો બીગડા,
બિગડ બિગડ વો તો સંત બનાયો રે.
એકવાર રામકૃષ્ણ પરમહંસને કોઈકે પ્રશ્ન પૂછ્યો કે સાધુની વ્યાખ્યા શું? પરમહંસ દેવ કહે કે તારા મનમાં શું છે? તે માણસ કહે કે રોટલો મળે તે ખાઈ લેવો ને ન મળે તો અફસોસ ન કરવો. પરમહંસ દેવનો અભિગમ ઊંચી સમજણ સાથેનો હતો. તેઓ કહે કે સાધુ એટલે રોટલો મળે તો વહેંચીને ખાઓ અને ન મળે તો ભગવાનનો આભાર માનવો કે આજે તમે મને તપ કરવાનો અવસર આપ્યો.
એક ચિંતકે કહ્યું છે કે જ્યારે પરિસ્થિતિ માણસને અનુકૂળ હોય ત્યારે તો તે સુખી હોય છે. પરંતુ જે માણસ પોતાના ઊંચા અભિગમથી પરિસ્થિતિને અનુકૂળ બનાવી શકે તે સૌથી વધુ સુખી હોય છે. સમગ્ર સમાજના નૈતિક અને આધ્યાત્મિક એમ સર્વાંગી ઉત્કર્ષ માટે પ્રમુખસ્વામી મહારાજે સમાજના પ્રત્યેક વ્યક્તિઓને લક્ષ્યમાં લીધા છે.
ઘણીવાર સંતો ઘરે ઘરે પગલાં કરે તોપણ ગાડીના ડીઝલના ખર્ચા જેટલીયે ભેટ આવતી નથી
આધુનિક સમાજના લોકો જેણે અભણ અને અસભ્ય ગણી અવગણે તેવા આદિવાસી બંધુઓના વિસ્તારોમાં પ્રમુખસ્વામી મહારાજ અને તેમના સંતો તથા કાર્યકર્તાઓને મુલાકાત લીધી છે. આ આદિવાસી વિસ્તારની કેટલીક કઠણાઈ જણાવતા એક કાર્યકર્તાએ પ્રમુખસ્વામી મહારાજને એકવાર નિખાલસ ભાવે જણાવેલું કે સ્વામી, આ એવો વિસ્તાર છે કે ઘણીવાર સંતો ઘરે ઘરે પગલાં કરે તોપણ ગાડીના ડીઝલના ખર્ચા જેટલીયે ભેટ ભગવાનને ચરણે નથી આવતી.
તરત જ પ્રમુખસ્વામી મહારાજે ઊંચા અને સૈદ્ધાંતિક અભિગમથી જવાબ આપ્યો કે આપણે ત્યાં સત્સંગ કરાવવા માટે જવાનું છે. પૈસા માટે નહીં. તેઓને સત્સંગ થાય એ જ બહુ મોટી વાત છે. સૌ વ્યસન અને દૂષણ મૂકે તો જીવનમાં આગળ વધે તે માટે જવાનું છે.
એક આદિવાસી વિસ્તારમાં વિચરણ દરમ્યાન એક ભક્તે પધરામણીમાં સવા રૂપિયો ભેટ મૂકી અને સંકોચાતા હૈયે કહ્યું કે સ્વામી, અમારી પાસે જે છે તે આપીએ છીએ. આ સમયે પણ પ્રમુખસ્વામી મહારાજનું વલણ ખૂબ જ સ્પષ્ટ અને સૈદ્ધાંતિક હતું. તેમણે કહ્યું કે તમે બધા વ્યસનો છોડી ભગવાનની ભક્તિ કરો છો તે અમારે મન લાખો રૂપિયાની ભેટ જ છે.
પરિસ્થિતિ અને પ્રતિભાવોની વક્રતા વિપરીત વાતાવરણ સર્જે તેવી હોવા છતાં મહાનપુરુષો ઊંચા અભિગમ સાથે વિચલીત થયા વિના સ્થિર રહ્યા છે. જે તેઓની વાસ્તવિક ઓળખાણ છે. આવો પ્રમુખસ્વામી મહારાજને પગલે આપણે પણ ઉચ્ચ સમજણ સાથેનો અભિગમ કેળવીએ અને સદાય સ્થિર રહીએ.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmeadabad News, Local 18, Pramukh Swami Maharaj Shatabdi Mahotsav