બાળકની બહેન સાથે આરોપીનો પુત્ર પ્રેમ સંબંધ ધરાવતો હતો, જેની બાળકને જાણકારી થઈ જતાં બાળક પરિવારના અન્ય સૌને જાણકારી આપી દે તેમ હોવાથી તેનું કાસળ કાઢી નાખ્યાનું કબુલ્યું હતું. જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુરના વતની કાળુભાઈ ગોવિંદભાઈ ડામોરના 12 વર્ષના પુત્ર પંકજની ગત 7 મી ડિસેમ્બર, 2022ના રોજ હત્યા નિપજાવાઈ હતી. કોઈ અજ્ઞાત હુમલાખોરે માથાના ભાગે તેમજ ગુપ્ત ભાગે બોથડ પદાર્થ અથવા તો તીક્ષણ હથીયારના ઘા મારી દઈ હત્યા કરી નાખી હતી.
જે અંગે પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ઉપરોક્ત હત્યાનો વણ શોધાયેલો ગુનો કે જેના આરોપીને શોધી કાઢવા માટે જામનગરની લોકલ ક્રાઈમની ટીમ તથા પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ સ્ટાફ તપાસ કરી રહ્યો હતો.
આ પણ વાંચો: સુરત: નિંદર માણી રહેલા શ્રમિકનું દબાઇ જતા થયું કરૂણ મોત
આ દરમિયાન પોલીસની સંયુક્ત ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામમાં જ રહીને ખેત મજૂરી કામ કરતો હેમંત પપ્પુભાઈ વાખલા આદિવાસી હત્યાના બનાવ પછી એકાએક લાપતા બન્યો છે. જેથી તેની શોધખોળના આધારે અટકાયત કરી હતી. યુક્તિ પ્રયુક્તિના માધ્યમથી તેની પૂછપરછ કરતાં આખરે તેણે હત્યાની કબુલાત કરી લીધી છે.
આ પણ વાંચો: નવનાથ મહાદેવના દર્શન બીજે ક્યાંય નહીં કરવા મળે
આરોપી હેમંત વાખલાનો પુત્ર દિવ્યેશ વાખલા મરનાર બાળક પંકજની બહેન સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો. બંને પ્રેમીઓને પંકજ જોઈ ગયો હતો. જેથી પંકજને મૌન રહેવા જણાવ્યું હતું, પરંતુ તેણે સમગ્ર પરિવારને આ વાત કરી દેશે, તેમ કહી તેઓની વાત માની ન હોવાથી આરોપી હેમત વાખલા ઉશકેરાઈ ગયો હતો. પંકજની હત્યા નિપજાવીને નાસી ગયો હતો. જે આરોપી હાલ પોલીસની ટીમના હાથે ઝડપાઈ ગયો છે. તેની હત્યા કેસમાં ધરપકડ કરી લઇ રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી સામે અગાઉ પણ હત્યાના બે ગુના નોંધાયેલા છે. જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પસાયા બેરાજા ગામમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામમાં જ રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની હેમંત વાખલાની અટકાયત કરી લીધી છે. જેની પૂછપરછ કરવામાં આવતાં તેણે અગાઉ જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનના વર્ષો પહેલા માવાપર ગામમાં તેના સાગ્રીતો સાથે લૂંટની અને હત્યાની ઘટનામાં જોડાયો હતો અને વાડી માલિકનું ખૂન કરી નાખ્યું હતું.જે બાદ લૂંટ ચલાવી હતી. જે કેસમાં પોતે સંડોવાયેલો છે.
આ ઉપરાંત તેના વિરુદ્ધ આજથી સાત વર્ષ પહેલાં દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં પણ હત્યા અને લૂંટ સહિતનો ગુનો નોંધાયો છે. જેમાં તે સાત વર્ષથી ફરાર છે. જેથી દાહોદ પોલીસનો પણ સંપર્ક સાધવામાં આવી રહ્યો છે.
તમારા શહેરમાંથી (જામનગર)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: ક્રાઇમ સમાચાર, ગુજરાત, જામનગર