Parth Patel, Ahmedabad: પદ્મભૂષણ વિભૂષિત પૂજ્યપાદ આચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મરાહાજ સાહેબના 400મા પુસ્તકનો લોકાર્પણ સમારોહ એવા સ્પર્શ મહોત્સવના પ્રથમ દિવસની ઉજવણી અત્યંત ઉમળકાભેર કરવામાં આવી છે. ત્યારે પ્રથમ દિવસે દેશના માનનીય ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઈ શાહે વિશેષ હાજરી આપી હતી. તેમના સ્વાગત અર્થે એલર્ટ ગ્રુપના 150 જેટલા સભ્યોએ બેન્ડ-વાજા સાથે તેઓનું ભાવપૂર્ણ અભિવાદન કર્યું હતું.
આ સાથે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સમગ્ર સ્પર્શ નગરી નિહાળીને ભાવવિભોર બન્યા હતા. પ્રથમ દિવસે એલર્ટ બેન્ડના 250 થી વધુ યુવાનો સાથે હજારો શિબિરાર્થીઓ સાથે પદ્મભૂષણ વિભૂષિત પૂજ્યપાદ આચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મરાહાજની નિશ્રામાં સ્પર્શ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સ્પર્શ મહોત્સવ લોકો માટે બપોરે 12 થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લો રહેશે.
લંડન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેન્યા, કેનેડા વિદ્યાર્થીઓ મહોત્સવમાં આવ્યા
માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ લંડન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેન્યા, કેનેડા સહિતના દેશમાંથી 10,000 થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર સ્પર્શ મહોત્સવમાં આવ્યા હતા. જ્યારે 1500 થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં ભારતભરના 15 થી વધુ રાજ્યના 2500 થી વધુ પરિવારોએ પ્રથમ દિવસે આવીને આ અવસરનો લાભ લીધો હતો.
જેને પથદર્શક બનાવો તેના પ્રત્યે પારદર્શક રહો
સ્પર્શ મહોત્સવના કન્વીનર કલ્પેશભાઈ શાહે સાહિત્ય યાત્રા અંગેના અદ્ભુત રહસ્યો અને ગુરુદેવના શબ્દોની જાદુઈ શક્તિનો પરિચય આપ્યો હતો. પ્રથમ દિવસના પ્રારંભે જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબે 25,000 લોકો બિરાજી શકે તેવા વિશાળ પ્રવચન મંડપમાં ઉપદ્દેશ આપતા જણાવ્યું હતું કે, જેને પથદર્શક બનાવો તેના પ્રત્યે પારદર્શક રહો. પ્રેમ અને વફાદારી જીવનને ઉન્નત બનાવે છે.
પ્રેમ દુનિયામાં સૌથી વધુ વગોવાયેલો છે
ગુરુદેવશ્રી એ જણાવ્યું હતું કે, સાધના અને તપસ્યા ઉપરાંત જીવનમાં પ્રેમ, સકારાત્મકતા, આનંદને અપનાવવો જરૂરી છે. ખોટું કરનારની સાથે પણ નારાજગી ન રાખીએ અને આપણો દરેક આનંદ સકારાત્મક બની રહે તે ખૂબ આવશ્યક છે. પ્રેમ અને વફાદારી એકબીજાથી જોડાયેલા રહે તો યથાર્થ આનંદ પ્રાપ્ત થાય.
પ્રથમ દિવસે યોજાયેલી પારિવારિક શિબિરમાં ગુરુદેવશ્રીએ માંગલિક સંભળાવ્યા બાદ કહ્યું હતું કે, વર્તમાન માહોલને જોતા એમ કહીશું કે પ્રેમ દુનિયામાં સૌથી વધુ વગોવાયેલો છે. પરંતુ સૌથી વધુ પ્રશંસા પણ પ્રેમની જ થાય છે. કારણ કે જો તેમાં વફાદારી હોય તો રાગ-દ્વેષ દૂર થઇ જાય છે. આપણા માતા-પિતા, પિતા-પુત્ર, ભાઈ-ભાઈ વચ્ચેના સંબંધમાં વફાદારી જળવાશે તો પારિવારિક મૂલ્યોનું વર્ધન થશે.
26 જાન્યૂઆરી સુધી મહોત્સવ ચાલશે
સ્પર્શ મહોત્સવના પ્રથમ દિવસે અંદાજે 2 લાખ લોકોએ હાજરી આપી હતી અને તેઓએ રત્ન સફારી, રત્ન યુનિવર્સ, રત્ન વાટિકા, રત્ન ટ્રાન્સફોર્મેશન તથા ગિરનાર તીર્થના દર્શન પણ કર્યા હતા. સ્પર્શ મહોત્સવ તેની ભવ્યતા અને વિશાળતા સાથે 26 જાન્યુઆરી, 2023 સુધી ચાલશે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad news, Jain, Local 18