Sunday, January 15, 2023

Navsari: આ ગામમાં એવી તે શું મજબૂરી છે કે પ્રાથમિક શાળાના બાળકો ચર્ચમાં કરે છે અભ્યાસ?

Navsari:  દેશના બાળકોને શિક્ષણ મળી રહે તે માટે સરકાર સતત વિવિધ યોજનાઓ લાવી રહી છે. અને અધવચ્ચે થી શાળા છોડીને ગયેલા બાળકોને શોધી તેમને ફરી શિક્ષણ મળી રહે તે માટે કાર્ય થઇ રહ્યા છે પરંતુ અહી ચીખલી તાલુકાની વાંઝણા નાયકી વાડ પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડા તોડી નંખાયા બાદ નવા ઓરડાઓનું બાંધકામ ન કરવામાં આવતા છેલ્લા એકાદ વર્ષથી ગામના ચર્ચમાં બાળકોને બેસાડવામાં આવી રહ્યા છે.

નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત વાંઝણા ગામની નાયકી વાડ ફળિયાની પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 માં 125 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અને છ જેટલા શિક્ષકોનો સ્ટાફ છે. આ શાળાના ઓરડા જર્જરી થતા બે વર્ષ પૂર્વે આ જર્જરિત ઓરડાઓને તોડી નાખવામાં આવ્યા હતા. બાદમાં ઓરડાની સંખ્યા ટેન્ડરની આંટીઘુંટીમાં આજ દિન સુધી નવા ઓરડાઓનું બાંધકામ કરવામાં આવ્યું નથી. અને છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી ફળિયામાં આવેલ ચર્ચમાં છ થી આઠ ધોરણના ત્રણ વર્ગના બાળકોને બેસાડવામાં આવી રહ્યા છે.

ચર્ચના કર્તાહર્તાઓ દ્વારા બાળકોને બેસવાની મંજૂરી આપી સુવિધા ઉપલબ્ધ કરાવી સેવાકીય અભિગમ દાખવતા બાળકો અને વાલીઓને રાહત થઈ હતી. સ્થાનિકો ચર્ચના અભિગમને બિરદાવી રહ્યા છે.

ઓરડાના અભાવે બાળકોને અનેક મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. અને લાંબા સમયથી ઓરડાઓનું બાંધકામ ન થતા વિદ્યાર્થીઓ સાથે સ્થાનિકોમાં તંત્ર સામે ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે. અને આવનાર દિવસોમાં સ્થાનિકો તંત્રના રેઢીયાળ કારભાર સામે બાયો ચડાવી આક્રમક કાર્યક્રમો આપે તો નવાઈ નહીં તેવી સ્થિતિ સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જવાબદાર અધિકારીઓ જાગશે કે કેમ તે જોવું રહ્યું.

એક તરફ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આદિવાસી વિસ્તારોમાં શિક્ષણનું સ્થળ ઉચળ આવવાના પ્રયાસો કરી રહી છે. તો અંતરિયાળ ગામોમાં જર્જરિત ઓરડાને તોડી પાડ્યા બાદ નવી શાળા ઉભી કરવા માટેની કોઈપણ કામગીરી ન કરતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અત્યારે અંધકારમય દેખાઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર હવે આ દિશામાં કોઈ નક્કર કામગીરી કરે અને જલ્દીથી જલ્દી આ શાળાના ઓરડા નું નિર્માણ કરે એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

First published:

Tags: Local 18, ચર્ચ, નવસારી

Related Posts: