રાજકોટ: શુભ પ્રસંગ ક્યારે અશુભ બની જાય તે કોઈ જાણતું નથી. આવી જ એક ઘટના જેતપુર પાસે બની છે. કેશોદથી રાજકોટ દિકરાની સગાઈ કરવા જતા પરિવારને અકસ્માત નડ્યો છે. બોલેરો ગાડીનો હુક નીકળી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજ્યું છે, જ્યારે ચાર વ્યક્તિઓને ઈજા પહોંચતા જૂનાગઢ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જેતપુર પોલીસે અક્સમાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
1 મહિલાનું મોત, 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત
ઉત્તરાયણના તહેવાર પર દિકરાની સગાઇ કરવા જતાં પરિવારને અકસ્માત નડ્યો છે. આ પરિવાર કેશોદથી રાજકોટ જઇ રહ્યો હતો, ત્યારે જેતપુર પાસે અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી પ્રમાણે, આ પરિવાર બોલેરો ગાડીમાં રાજકોટ જઇ રહ્યો હતો, ત્યારે જેતપુર પાસે ગાડીમાં ખામી સર્જાઇ હતી. ગાડીનો હુક નીકળી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલાનું મોત નિપજ્યું છે. અકસ્માતમાં 70 વર્ષીય ધાનીબેન પ્રવીણભાઈ રાવલીયાનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. આ સાથે જ પરિવારના અન્ય 4 વ્યક્તિઓને ઇજા પહોંચતાં તેમને સારવાર અર્થે જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતની આ ઘટનાને પગલે પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. આ પરિવાર દિકરાની સગાઇની ખુશીઓ મનાવી રહ્યું હતું, ત્યારે જ અકસ્માતને પગલે પરિવાર શોકમગ્ન બન્યું છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ સાથે પોલીસે અકસ્માતને લઇને વધુ તપાસ હાથ ધરી છે.