Sunday, January 15, 2023

Uttarayan received 4261 emergency calls to 108, 368 fell from roofs

અમદાવાદ: ઉત્તરાયણના તહેવાર પર અનેક દુર્ઘટનાઓના સમાચાર સામે આવી રહ્યા છે. આ વર્ષે ઉત્તરાયણ પર અકસ્માતની સંખ્યા વધી છે. ઉત્તરાયણ પર 108ને આવતા ઈમરજન્સી કોલમાં વધારો થયો છે. આ વખતે 108ને 4261 ઇમરજન્સી કોલ આવ્યા છે. રાજ્યમાં દોરી વાગવાના 92 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં અકસ્માતના 820 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ધાબા પરથી પડવાના 368 કેસ નોંધાયા છે. દોરી વાગવાના સૌથી વધુ 42 કેસ અમદાવાદમાં આવ્યા છે.

અનેક લોકોના ગળા કપાયા

વડોદરામાં ઉત્તરાયણની ઉજવણી વચ્ચે એક કરૂણ સમાચાર સામે આવી રહ્યા છે. શહેરનાં દશરથ બ્રિજ પર દોરીના કારણે 35 વર્ષનાં રિંકુભાઇનું મોત નીપજ્યું હતું. નોંધનીય છે, મહેસાણામાં પણ દોરી ગળામાં વાગવાથી ચાર વર્ષની છોકરીનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત ગોંડલના યુવાનને દાઢીના ભાગે દોરો વાગી જતા તેને 17 ટાંકા લેવા પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ યુવક રાજકોટ પોતાના કામકાજ અર્થે જઈ રહ્યો હતો. તે દરમિયાન આશાપુરા ચોકડી પાસે પતંગનો દોરો લાગી જતા તેને ઈજા પહોંચી હતી. ઇજાજાગ્રસ્ત યુવકનું નામ પ્રણવ અશ્વિનભાઈ મારું હોવાનું જાણવા મળી રહ્યું છે. એક દિવસ અગાઉ રાજકોટના બેડી વિસ્તારમાં રહેતો 15 વર્ષીય તરુણ ચાઈનીઝ દોરીનો ભોગ બન્યો હોવાનું સામે આવ્યું હતું. ઈજાગ્રસ્ત યુવાને ઇમરજન્સીમાં દવાખાને ખસેડવામાં આવતા તેને ગળાના ભાગે 29 ટાંકા આવ્યા હોવાનું પણ સામે આવ્યું હતું.

આ પણ વાંચો: જૂનાગઢ ડેમમાં સેલ્ફી લેવા જતાં ભાઇ-બહેન સહિત ત્રણનાં મોત, એક સારવાર હેઠળ

સુરતમાં યુવકનું દોરીથી ગળું કપાયું

ગઇકાલે સાંજના સમયે સુરતના કામરેજ ચારરસ્તા પાસે યુવકના ગળામાં દોરી ભરાઇ ગઇ હતી. અકસ્માતમાં ગંભીર ઇજા થતાં યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. મૃતક યુવક જૂનાગઢ જિલ્લાનો રહેવાસી હતો, જ્યારે તે નનસાડ ગામે મામાને ત્યાં આવ્યો હતો. યુવક નનસાડ ગામથી કામરેજ ચારરસ્તા પાસે બાઈક પર ચક્કર મારવા નીકળ્યો હતો. મૃતક યુવકનું નામ રાઠોડ સંજય કરશન ભાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાઈ હતી, જ્યારે કામરેજ પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે. કામરેજ તાલુકામાં 14 દિવસમાં કાતિલ દોરીના કારણે બે લોકોના મોત થયા છે.

રાજકોટમાં સાત વર્ષના બાળકનું મોત

રાજકોટ શહેરના કોઠારીયા શાક માર્કેટ પાસેથી પસાર થતા સાત વર્ષના બાળકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. રાજકોટની ભાગોળે રહેતા લોથડા ગામમાં રહેતા ઋષભ અજય વર્મા નામનો માસુમ જ્યારે કોઠારીયા શાક માર્કેટ પાસેથી બપોરના સમયે પસાર થઈ રહ્યો હતો. તે સમયે ચાઈનીઝ દોરી તેના ગળાના ભાગે લાગવાથી તેને ગંભીર પ્રકારની ઇજા પહોંચી હતી. ત્યારે બાળકને વધુ સારવાર મળે તે પૂર્વે જ તેનું સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. બાળકને ગળાના ભાગે ઈજા પહોંચી હોવાના કારણે સર્જરી વિભાગમાં તેની સર્જરી કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી હતી.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Azhar Patangwala

First published:

Tags: Gujarat News, Makar sankranti

Related Posts: