અમદાવાદ7 મિનિટ પહેલા
- કૉપી લિંક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોટ વિસ્તારમાં BRTS બસ સ્ટેન્ડને હેરિટેજ લુક આપવામાં માટે હેરિટેજ ટાઈપ બસ શેલ્ટર બનાવવામાં આવ્યા હતા. એલિસબ્રિજથી લઈ અને દિલ્હી દરવાજા સુધી કુલ 10 જેટલા હેરિટેજ શેલ્ટર રૂ. દસ કરોડથી વધુના ખર્ચે બનાવ્યા હતા પરંતુ આજે તેની હાલત જર્જરીત અને તુટેલી હાલતમાં જોવા મળે છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને બસ સેન્ટર બનાવવામાં આવે છે પરંતુ તેની યોગ્ય જાળવણી થતી નથી.
વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે શહેરના કોટ વિસ્તારમાંથી પસાર થતાં એલિસબ્રિજથી તિલકબાગ, રાયખડ ચાર રસ્તા, મ્યુ.કોર્પો.ઓફિસ, આસ્ટોડીયા ચકલા, આસ્ટોડીયા દરવાજા, રાયપુર દરવાજા, કર્ણમુક્તેશ્વર મહાદેવ, સાંરગપુર દરવાજા, પ્રેમ દરવાજા, અને દિલ્હી દરવાજા સુધી BRTSના 10 હેરીટેજ ટાઇપ બસ શેલ્ટર બનાવવામાં આવ્યા છે જેના માટે કુલ ખર્ચ 10.50 કરોડ જેવો થયો હતો. આજે આ તમામ બસ શેલ્ટર જર્જરીત તેમજ તુટેલી હાલતમાં તથા ગંદકી વાળા થઈ ગયા છે.
અમદાવાદને હેરિટેજ સિટી તરીકે ઓળખવામાં આવે છે પરંતુ હેરીટેજ વેલ્યુ જાળવવા બાબતે અવગણના થતી હોય ત્યારે અપમાનજનક અને ઘોર અવગણનાની સ્થિતિ ઉભી થઇ હોય તેવું લાગે છે. અમદાવાદ જનમાર્ગ લિમિટેડ અને વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટ વચ્ચે સંકલનના અભાવે તમામ હેરીટેજ બસશેલ્ટર જર્જરીત થવા બાબતે તંત્ર અંધારામાં છે. જેથી હેરીટેજ ખાતું માત્ર નામનું ખાતું છે. અમદાવાદ શહેરને, “વર્લ્ડ હેરીટેજ” સીટીનો દરજ્જો હોય ત્યારે જર્જરીત અને ગંદકીવાળા બસ શેલ્ટરો જોઇને સમગ્ર વિશ્વમાંથી આવતા સહેલાણીઓ હેરીટેજ સીટી અમદાવાદ માટે શું છાપ લઇને જશે ? અમદાવાદ શહેરની હેરીટેજ વેલ્યુ જાળવવા માટે સંસ્કૃતિરૂપી વિરાસતો તથા હેરીટેજ ટાઇપના બસશેલ્ટરો તથા અન્ય ઇમારતોની જાળવણી કરવા કોંગ્રેસે માગ કરી છે.