અરવલ્લી (મોડાસા)28 મિનિટ પહેલા
- કૉપી લિંક
કોઈપણ સમાજ હોય પોતાના ઇષ્ટદેવની ઉજવણી ભારે હર્ષ અને ઉલ્લાસથી કરતા હોય છે. ત્યારે આજે મોડાસા ખાતે સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ઉજવણી કરાઈ હતી. ભક્તો ભગવાનના રંગે રંગાયા હતા. ભક્તિના ગીતો પર લોકો મન મુકીને નાચ્યાં હતા.

આજે ચેટીચાંદ એટલે ભગવાન ઝુલેલાલનો જન્મોત્સવ. આજે મોડાસા નગરમાં સિંધી સમાજ દ્વારા ભગવાન ઝુલેલાલના 1073મા જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજના દિવસે સિંધી સમાજ દ્વારા પોતાના તમામ વેપાર ઉદ્યોગ બંધ રાખીને ભગવાન ઝુલેલાલના જન્મોત્સવની આનંદ અને ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે.

વહેલી સવારે સમાજના અબાલ વૃદ્ધ સૌ ભગવાન ઝુલેલાલનું વૈદિક પદ્ધતિથી પૂજન અર્ચન અને આરતી કરે છે. ત્યારબાદ ઝુલેલાલની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. માલપુર રોડથી શરૂ થયેલી શોભાયાત્રા મોડાસા ચાર રસ્તા થઈ ઉમિયા મંદિર પહોંચી હતી. જ્યાં તમામ સિંધી સમાજના લોકોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. રાત્રી દરમિયાન વિવિધ કૃતિઓ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. આમ હર્ષ અને ઉલ્લાસ પૂર્વક રંગે ચંગે સિંધી સમાજના ઇષ્ટદેવ ઝુલેલાલ ભગવાનનો જન્મોત્સવ ઉજવાયો હતો.

