સાબરકાંઠા (હિંમતનગર)એક કલાક પહેલા
- કૉપી લિંક

વીજ કંપનીના કર્મચારીઓની યુદ્ધના ધોરણે કામગીરી…
સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં ગ્રાહકોની વીજ વિક્ષેપ સંબંધિત ફરિયાદો ઘટાડવા તેમજ અવિરત વીજ પુરવઠો પૂરો પાડવા માટે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા નવી પહેલના ભાગરૂપે હળવા દબાણની લાઈન ઉપર સ્પેસર લગાવવાનું કામ ઝુંબેશના ભાગરૂપે કરવામાં આવી રહ્યું છે.

હળવા દબાણની વીજ લાઈન ઉપર સ્પેસર લગાવવાથી વીજ લાઈનના વાયર ભેગા થવાના બનાવો અટકવાથી ગ્રાહકોને વીજ વિક્ષેપ સંબંધિત ફરિયાદોમાં નોંધપાત્ર ઘટાડો થશે અને અવિરત વીજ પુરવઠો મળતો રહેશે. જિલ્લાના ખેડૂતોને તેમના ખેતરોમાં વીજ મોટરો વારંવાર બળતી અટકે છે. બીજા અકસ્માતો ઘટે છે અને સૌથી મોટો ફાયદો ઉનાળામાં મોટા ભાગે ખેડૂતોના તૈયાર થયેલ ઘંઉનો પાક બળવાની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે.

બંને જિલ્લામાં 15 લાખ સ્પેસર લગાવાનો લક્ષ્યાંક છે. જેમાં અત્યાર સુધીમાં 12,80,993 સ્પેસર લગાવવામાં આવ્યા છે. જેથી બંને જિલ્લાની જનતાને લાભ મળે તેમજ ખેડૂતોને થતા પાક નુકસાન અકસ્માત ઘટાડી શકાય જેના માટે ઉત્તર ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે.

આયુષ મેળામાં 8 હજારથી વધુ લોકોએ લાભ લીધો…
તલોદમાં કોલેજ રોડ પર આવેલા પાટીદાર બોર્ડિંગ આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ મેળામાં 500થી વધુ લોકોએ લાભ લીધો હતો. તો જિલ્લામાં હિંમતનગર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ અને તલોદમાં યોજાયેલા ચાર આયુષ મેળામાં 8 હજારથી વધુ લોકોએ લાભ લીધો છે.

સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા તથા હિંમતનગર સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા આયુષ મેળાનું સવારે 9 વાગ્યાથી પ્રારંભ થયો હતો. બપોરે ૩ વાગ્યા સુધી પૂર્ણ થયો હતો. જેમાં વિવિધ પ્રકારના રોગોની વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી. જેમાં 8 હજારથી વધુ લોકોએ લાભ લીધો હતો. આ અંગે આયુષ મેળામાં જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય જગદીશ ખરાડી દ્વારા આયુષ મેળા થકી આયુર્વેદ વિષે વિસ્તારમાં માહિતી આપવામાં આવી હતી.

આ આયુષ મેળામાં 8 હજારથી વધુ લાભાર્થીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. તો આયુષ મેળામાં આયુર્વેદ ઓપીડી, હોમિયોપેથી ઓપીડી, યોગ પ્રદર્શન, પંચકર્મ ઓપીડી, રક્ત મોક્ષણ, અગ્નિ કર્મ દ્વારા સારવાર, બાળકો માટે સુવર્ણ પ્રાશન, નાડી પરીક્ષા, સાંધાના રોગો, ડાયાબિટીસના રોગો વગેરે જેવા તમામ પ્રકારના રોગોની વિના મૂલ્યે સારવાર કરવામાં આવી.

તત્વજ્ઞાન વિષયમાં 11,325 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી…
સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા 14 માર્ચથી ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ થયો છે.

આ અંગે શિક્ષણાધિકારી મીતાબેન ગઢવીએ જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષાના બીજા દિવસે ધોરણ-12ના સામાન્ય પ્રવાહના કૃષિ વિજ્ઞાન વિષયમાં ગુજરાતી માધ્યમમાં કુલ 88 વિદ્યાર્થીઓ પૈકી 85 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 3 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે તત્વજ્ઞાન વિષયમાં 11,560 વિદ્યાર્થીઓ પૈકી 11,354 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 206 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જેમાં ગુજરાતી માધ્યમમાં 11,325 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે અંગ્રેજી માધ્યમમાં 29 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.