વલસાડ4 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમદાવાદથી નાસિક જતી ખાનગી લકઝરી બસ કપરાડાના દિક્ષલ ખાતે ઘાટમાં પલટી ખાઈ ગઈ હતી. જેમાં 14 યાત્રીઓને નાની મોટી ઈજાઓ થતા સ્થાનિક લોકો અને રાહદારીઓ દ્વારા તાત્કાલિક 108ને બોલાવવામાં આવી હતી. તમામ ઈજાગ્રસ્તોને કપરાડાં અને ધરમપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનામાં 1 યાત્રીનું મોત થયું છે. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને યાત્રીઓના નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સ્થાનિક લોકોએ 108ને જાણ કરી
અમદાવાદથી એક ખાનગી લકઝરી બસ યાત્રીઓને લઈને નાસિક જઈ રહી હતી. કપરાડાંના દિક્ષલ ખાતે આવેલા ઘાટ પાસે અચાનક બસ પલટી ગઈ હતી. રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકો ઈજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક ખાનગી લકઝરી બસમાંથી યાત્રીઓને અલગ રાખી ઘટનાની જાણ 108ની ટીમને કરી હતી. 108ની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચેક કરતા 14 જેટલા યાત્રીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.

ઈજાગ્રસ્તોને ધરમપુર-કપરાડાં હોસ્પિટલમાં ખસેડાયા
108ની ટીમે અન્ય જગ્યાઓથી પણ 108 બોલાવી ઘાયલોને ધરમપુર અને કપરાડાં સરકારી હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા હતા. આ દુર્ઘટનામાં વડોદરાના વાઘોડિયાના 42 વર્ષીય પ્રકાશ પરમાર નામના યાત્રીનું મોત થયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ઘટના અંગે કપરાડાં પોલીસે અકસ્માતનું કારણ જાણવાનો પ્રયાસ હાથ ધર્યો છે. દુર્ઘટનામાં 14 ઈજાગ્રસ્ત યાત્રીઓ પૈકી મોટી સંખ્યામાં ઘાયલોને સામાન્ય ઈજાઓ થતા પ્રાથમિક સારવાર આપીને દર્દીઓને રજા આપી દેવામાં આવી હતી.
