જામનગર પોલીસે ચાર શખ્સોને ઝડપી પાડ્યા, જામજોધપુરના ગીંગણી ગામના સરપંચ સાથે કરી હતી છેતરપિંડી; 15 ગુનાની કબૂલાત કરી | Jamnagar Police nabs four persons, cheated Sarpanch of Gingani village in Jamjodhpur; Confessed to 15 crimes | Times Of Ahmedabad

જામનગર23 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગીંગણી ગામના સરપંચને બીમારી દૂર કરવાના ચમત્કાર બતાવી તેમજ અનેકગણા રૂપિયા બનાવવાની લાલચે સરપંચ પાસેથી રોકડ રકમ અને સોનુ સહિત રૂપિયા 1 કરોડ 28 લાખની લૂંટ ચલાવવા અંગેના પ્રકરણમાં એલસીબીની ટીમે મદારી ગેંગના ચાર સભ્યોને ઝડપી લીધા છે અને તેઓ પાસેથી રૂપિયાએ 1 કરોડ 19 લાખની માલમત્તા કબજે કરી છે. પોલીસ પૂછપરછ દરવ્યાન તેઓએ રાજ્યભરમાં 16 જેટલા ગુનાઓને અંજામ આપ્યો હોવાની કબુલાત આપી છે. જે તમામની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના ગિંગણી ગામના સરપંચ રમેશભાઈ હંસરાજભાઈ કાલરીયાએ તાજેતરમાં જામજોધપુ૨ પોલીસ મથક ફરિયાદ નોંધાવી હતી, અને પોતાને સાધુના સ્વાંગમાં આવેલા શેતાનોએ પતી અને પુત્રની બીમારી દૂર કરવાનું જણાવી તેમજ ચમત્કારના માધ્યમથી વધુ રૂપિયા બનાવી આપવાની વિશ્વાસમાં લઈ પૂજા વિધિ કરાવી કટકે કટકે રૂપિયા 87લાખ 14 હજારની રોકડ રકમ તેમજ 84 તોલા સોનાના દાગીના સહિત 1,28,71,500ની રકમની છેતરપિંડી અને લુંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદના અનુસંધાને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ની રાહબરી હેઠળ એલસીબી ની ટીમ તપાસમાં જોડાઈ હતી, અને ટેકનિકલ સેલ તેમજ હ્યુમન સોર્સ ના માધ્યમથી જામજોધપુર, રાજકોટ, મોરબી અને વાંકાનેર સહિતના વિસ્તારમાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.તે દરમિયાન લાલપુર થી જામનગર તરફ એક કાર કે જેના નંબર જીજે ૧૩ એ આ૨ ૭૬૭૫ જેમાં એક ટોળકી સાધુ ના વેશમાં છેતરપિંડીના બહાને આવી રહી છે.

એલસીબી ની ટીમે ચારેય ની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતાં આખરે તેઓએ જામજોધપુરના ગીંગણી ગામના સરપંચ પાસેથી રોકડ અને સોનુ પડાવી લીધું હોવાનું કબૂલ લીધું હતું. જેમાં તેઓના બે સાગરીતો ભોજપરા ગામના બહાદુરનાથ સુરમનાથ પરમાર અને જાલમનાથ વિરમનાથ પરમાર પણ સંકળાયેલા હોવાનું જણાવ્યું હતું જે બંને આરોપીઓની શોધખોળ મળતાં એલસીબી ની ટીમેં વોચ ગોઠવી ઉપરોક્ત કારને રોકેલી હતી. જે કારમાં ચાર વ્યક્તિઓ બેઠેલી હતી. તેઓના નામ પૂછતા એકનું નામ ધારૂનાથ જવ૨નાથ સોલંકી- મદારી અને વાંકાનેર ના રહેવાસી હોવાનું જણાવ્યું હતું. જ્યારે બીજા એ પોતાનું નામ રૂમાલનાથ સુરમનાથ પરમાર- મદારી વાંકાનેર ના ભોજપરા ગામનો વતની તેમજ જોગનાથ કાળુનાથ પરમાર- મદારી અને વિજય જવારનાથ સોલંકી- મદારી કે જેઓ પણ ભોજપરા ગામના વતની હોવાનું જણાવ્યું હતું.પોલીસ દ્વારા ઉપરોક્ત ચારેય શખ્સો પાસેથી ૭૫,૪૦,૦૦૦ની રોકડ ૨કમ ૪૧,૫૭,૦૦૦ ની કિંમતના સોનાના દાગીના, ઇકો કાર અને પાંચ મોબાઇલ ફોન વગેરે સહિત ૧,૧૯,૫૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસે પૂછપરછ દરમિયાન ચારેય આરોપીઓ સાધુના ભગવા કપડા પહેરી ફરતા હતા, અને તે પૈકી એક દિગંબર અવસ્થામાં ગુરુનો વેશ ધારણ કરતો અને ગીંગણી ગામે તેઓ રુદ્રાક્ષની માળા સાથે પહોંચ્યા હતા, અને સરપંચને બીમારી દૂર કરવાનું બહાનું બતાવી તેમ જ કરોડો રૂપિયા બનાવી આપવાનો વિશ્વાસ અને ભરોસો આપી ધાર્મિક વિધિ તથા પૂજા કરવાથી ધન પ્રાપ્તિ થશે, તેમજ બીમારી દૂર થશે તેવું પ્રલોભન આપ્યું હતું, અને ચમત્કાર બતાવી રૂપિયા દેખાડયા હતા અને વિશ્વાસમાં લઈ અલગ અલગ સ્થળે બોલાવી પ્રવાહીની શીશી આપી હતી, અને એક પતરાની પેટીમાં કરોડો રૂપિયા ભરી આપી પેટીને ધૂપ આપવા જણાવી છેતરપિંડી કરી હતી, અને પૈસા લઈને ભાગી છુટ્યા હતા. હજુ પણ વધુ પૈસા માંગતા ફરિયાદીએ પૈસા આપવાનો ઇનકાર કર્યો હોવાથી તેને માર મારી લૂંટ ચલાવી હતી. પરંતુ એલસીબીની ટીમેં તમામને ઝડપી લીધા હતા.

ઉપરોક્ત આરોપીઓની વધુ પૂછપરછ દરમિયાન તેઓએ સમગ્ર ગુજરાત ભરમાં 15 જેટલા સ્થળોએ ધાર્મિક વિધિના બહાને નાણા પડાવી લીધા નું કબૂલ્યું હતું. જેમાં સુરેન્દ્રનગરમાંથી દોઢ લાખ, રાજકોટમાં આજીડેમ ચોકડી 30 ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાંથી રૂપિયા પાંચ લાખ, અમરેલી જિલ્લાના રાજુલા માંથી રૂપિયા બે લાખ, જુનાગઢ શહેરમાં થી દોઢ લાખ, પોરબંદર શહેરમાંથી 60,000, સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ માંથી બે લાખ, દિવ શહેરમાંથી પાંચ લાખ, સુરત શહેરમાંથી દસ લાખ, ગાંધીધામ કચ્છમાંથી દોઢ લાખ, ભુજ કચ્છમાંથી 25,000, મો૨બી શહેરમાંથી 25,000, સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વઢવાણ માંથી દોઢ લાખ, અમરેલી જિલ્લાના બગસરામાંથી 87,500 જ્યારે રાજકોટ જિલ્લાના પાટણવાવ માંથી ધાર્મિક વિધિના બહાને સોનાની વીંટી પડાવી લીધી હોવાનું કબૂલ્યું હતું. જેઓની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post