Monday, March 13, 2023

બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે 16 બસો ફાળવાઈ, સત્યવાદી રાજા હરિશચંદ્ર મરણોત્તર સહાય યોજનામાં 216 લાભાર્થીઓને સહાય, સોલાર રૂફટોપ યોજનામાં 4682 વીજ ગ્રાહકો | 16 special buses allocated for board exam students, 216 beneficiaries under Satyawadi Raja Harishchandra posthumous aid scheme | Times Of Ahmedabad

સાબરકાંઠા (હિંમતનગર)2 કલાક પહેલા

  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓને પરીક્ષા કેંદ્ર પર જવા આવવામાં સમય ના બગડે તે માટે એસ.ટી વિભાગ દ્વારા ખાસ દરેક ડેપો પર બે-બે બસો ફાળવવામાં આવી છે. આમ કુલ 16 બસો વિધાર્થીઓ માટે ફાળવી છે. પરીક્ષા શરૂ થયા પછી જો કોઇ પરીક્ષા કેંદ્ર માટે વધુ બસની જરૂર હશે તો તાત્કાલિક ધોરણે બસની ફાળવણી કરવામાં આવશે. તેમજ કોઇ બસનો સમય પરીક્ષા સમયની આસપાસ એટલે કે સાંજના સમયે બસ 5:30 કલાકના સમયે હશે. તો વિધાર્થીના હિતમાં આ બસ 6 વાગ્યે ઉપડશે. જેથી વિધાર્થીઓ સમયસર ઘરે પહોંચી બીજા પેપરની તૈયારી યોગ્ય રીતે કરી શકે તેવું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું.

તો સાબરકાંઠા જિલ્લામાં 14મી માર્ચથી 29 માર્ચ 2023 સુધી બોર્ડની પરીક્ષાઓ યોજાશે. જેમાં ધોરણ 10 અને 12ના કુલ 44,743 વિધાર્થીઓ પરીક્ષા આપશે.

લાભાર્થીઓને 10 લાખથી વધુની સહાય અપાઇ
સંવેદનશીલ સરકાર દ્વારા ગામડાંના છેવાડના સામાન્ય માણસો માટે જન્મથી માંડીને અંતિમ સમય સુધી અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. જેમાં સત્યવાદી રાજા હરિશચંદ્ર મરણોત્તર સહાય યોજના(અંત્યોષ્ટી સહાય) જેવી યોજનાઓ અમલી બનાવીને સાચાં અર્થમાં રાજ્ય સરકારે રાજ્યના સામાન્ય માણસોના અંતિમ સમયે કાંધ આપવાનું કાર્ય કર્યું છે. સાબરકાંઠા જિલ્લામાં વર્ષ 2022-23 દરમિયાન સત્યવાદી રાજા હરિશચંદ્ર મરણોત્તર સહાય યોજના (અંત્યોષ્ટી સહાય) અંતર્ગત કુલ 216 લાભાર્થીઓને રૂ. 10.80 લાખની સહાય આપવામાં આવી છે. સત્યવાદી રાજા હરિશચંદ્ર મરણોત્તર સહાય યોજના રાજ્યના ગરીબ પરિવારો માટે અમલમાં મૂકી છે. અનુસૂચિત જાતિના લોકોને નબળી આર્થિક પરિસ્થિતિમાં સહાય મળે તે માટે કુટુંબમાં સભ્યનાં મૃત્યુ પ્રસંગે મરણૉત્તર ક્રિયા માટે રૂ.5000 ની નાણાકીય સહાય પૂરૂ પાડવામાં આવે છે. આ સહાય ફક્ત અનુસૂચિત જાતિમાં મૃત્યુ પામનાર વ્યક્તિને મળવાપાત્ર છે. સહાય મેળવવા માટે વ્યક્તિના મૃત્યુના છ માસની સમય મર્યાદામાં અરજી કરવાની હોય છે. જેમાં અવસાન પામેલ વ્યક્તિનું મૃત્યુ નોંધણી પ્રમાણપત્ર ફરજિયાત રજુ કરવાનું હોય છે.

સાબરકાંઠા જિલ્લામાં સોલાર રૂફટોપ યોજનામાં 4,682 વીજ ગ્રાહક
સાબરકાંઠા જિલ્લામાં સોલાર રૂફટોપ યોજનામાં ઘર વપરાશના વીજ ગ્રાહકોની નોંધણી અને વીજક્ષમતા વિશે પૂછાયેલા પ્રશ્નની વિગતો રજૂ કરવામાં આવી હતી.જે મુજબ 31 ડીસેમ્બર 2022ની સ્થિતિએ સાબરકાંઠા જિલ્લામાં ઘર વપરાશ માટે સોલાર રૂફટોપ યોજના માટે કુલ 4,682 વીજગ્રાહકોની નોંધણી થયેલ છે,જેની વીજક્ષમતા 16,079 કિલોવોટ જેટલી થાય છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ ઑગસ્ટ 2019 થી શરૂ થયેલી સોલાર રૂફ ટોપ ‘સૂર્ય ગુજરાત’ યોજના અંતર્ગત આપવામાં આવતી સબસીડી અંતર્ગત ઊર્જામંત્રીએ માહિતી આપી હતી કે રહેણાંક વિસ્તાર માટેની આ યોજનામાં ત્રણ કિલોવોટ સુધી 40 ટકા,ત્રણ કિલોવોટથી વધુ અને 10 કિલોવોટ સુધી 20 ટકા સબસીડી આપવામાં આવે છે. 10 કિલોવોટથી વધુ કિલોવોટ પર સબસીડી મળવાપાત્ર નથી. આ યોજના થકી વીજગ્રાહકોના વીજબીલમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

વિશ્વમાં પેટ્રોલ-ડીઝલ અને કોલસા જેવાં મર્યાદિત પરંપરાગત ઊર્જાસ્રોતનો વપરાશ ઘટાડીને તેના સ્થાને પવન ઊર્જા, સૌર ઊર્જા જેવા બિનપરંપરાગત ઊર્જાસ્રોતોનો વપરાશ વધારવા પર કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા ભાર મૂકવામાં આવી રહ્યો છે. આવી જ એક યોજના એટલે ‘સોલાર રૂફટોપ’ ‘સૂર્ય ગુજરાત’ યોજના. જેના થકી આજે સોલાર ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે છે. સોલાર વીજ ઉત્પાદનમાં દેશભરમાં ઉત્પન્ન થતી વીજળીમાં 80 ટકા વીજળી ગુજરાત ઉત્પન્ન કરે છે.

અન્ય સમાચારો પણ છે…