વડોદરા9 મિનિટ પહેલા
ચાંપાનેર દરવાજા પાસે દરગાહ હટાવી મુકેલા પોલીસના વાહનો.
વડોદરા શહેરના ચાંપાનેર દરવાજા પાસે કોર્પોરેશન દ્વારા વર્ષ 2006માં રસ્તા વચ્ચેની દરગાહ હટાવ્યા બાદ થયેલી અથડામણના કેસમાં તમામ આરોપીઓને કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યાં છે.
બે કોમના ટોળા સામ-સામે આવી ગયા
ઘટનાની વિગત એવી છે કે, 3 મે 2006ના રોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ ચાંપાનેર દરવાજા રસ્તા વચ્ચે બનેલી એક દરગાહને હટાવવા માટે પહોંચી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે આ દરગાહના દબાણને દૂર કરવામાં આવી હતી. ત્યાર બાદ રાત્રે 10 વાગ્યા આસપાસ નવાપુરા ખારવાડથી મુસ્લિમ મહોલ્લા અને નવાપુરા મરાઠી મહોલ્લામાં રહેતા 200થી વધુ લોકોના બે કોમના ટોળા સામ-સામે આવી ગયા હતા. બંને પક્ષે સામ-સામે પથ્થરમારો કર્યો હતો અને સ્ટ્રીટ લાઇટ તોડી નાખવામાં આવી હતી. જેમાં તત્કાલીન PSI કે.કે.જગાણીયાને ડાબા પગે ઇજા થઇ હતી. આ દરમિયાન ટોળાને વિખેરવા માટે પોલીસ દ્વારા 3 નોટ 3 રાયફલથી હવામાં પાંચ રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું.

16 વર્ષ પહેલા બે કોમના ટોળા વચ્ચે કોમી છમકલું થયું હતું.
આ કલમો લગાવાઇ હતી
આ મામલે નવાપુરા પોલીસે કુલ 18 લોકો સામે કલુ 143, 147, 148, 149, 152, 188, 336, 337, 427 તથા પ્રોપર્ટી ડેમેજ એક્ટની કલમ 3, 5 અને 7 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલો વડોદરા કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં આરોપીઓ સામે નક્કર પુરાવાના અભાવે તેઓને નિર્દોષ છોડવામાં આવ્યા છે. 16 વર્ષથી વધુ સમય સુધી ચાલેલી અદાલતી કાર્યવાહી દરમિયાન બે આરોપીના મોત પણ થઇ ચુક્યા છે.

દરગાહની જગ્યાએ મુકેલા પોલીસના વાહનોના ટાયર જમીનમાં ખૂંપી ગયા
દરગાહ ફરી ન બને તે માટે પોલીસે વાહનો મુક્યા જે જમીનમાં ખૂંપી ગયા
ઉલ્લેખનીય છે કે, 16 વર્ષ પહેલા દરગાહ હટાવ્યા બાદ તે સ્થળે ફરી દરગાહ ન બની જાય તે માટે પોલીસે ત્યાં પોતાના બે વાહનો મુકી દીધા હતા. પરંતુ આ સમગ્ર કેસ કોર્ટમાં 16 વર્ષથી વધુ સમય સુધી ચાલતો રહ્યો. જેથી ચાંપાનેર દરવાજા પાસે પોલીસના આ વાહનોના ટાયર જમીનમાં ખૂંપી ગયા છે. પરંતુ હજુ સુધી તેને ત્યાંથી હટાવવામાં નથી આવ્યા.

તમામ આરોપીઓને કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યાં છે.
વેપારીઓ પરેશાન, શહેરમાં નવા આવતા લોકો માટે કૌતુક
પોલીસ દ્વારા દરગાહની જગ્યાએ વાહન મુકી દેતા છેલ્લા 16 વર્ષથી અહીં દુકાન ધરાવતા લોકોને પોતાનો સામાન લાવવા-લઇ જવામાં હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે. સાથે વડોદરા શહેરના ચાંપાનેર દરવાજા પાસેથી જો કોઇ પહેલીવાર આવનાર પસાર થાય તો પોલીસના આ વાહનો તેમના માટે કૌતુક સમાન બની જાય છે. કારણ કે પહેલીવાર આ દ્રશ્ય જોનારને એવો જ સવાલ થાય છે કે, રસ્તા પર આટલા બધા જમીનમાં ખૂંપી ગયા છતાં પોલીસ અહીંથી વાહન કેમ નહીં હટાવતી હોય? ત્યારે હવે આ હવાનો ક્યારે દૂર થાય છે એ તો સમય જ બતાવશે.

ટોળાને વિખેરવા માટે પોલીસ દ્વારા 3 નોટ 3 રાયફલથી હવામાં પાંચ રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું.
આ 18 આરોપીઓ નિર્દોષ જાહેર થયા
- યાકુબહુસેન ઉર્ફે બાબુ હમજા મહંમદ હુસેન ખલીફા
- પીન્ટુ રજનીકાંત ખારવા
- રસુલ ઉર્ફે લઠ્ઠો ઇબ્રાહીમભાઇ પઠાણ
- અખ્તીયારખાન ઉર્ફે લુલ ઇબ્રાહીમભાઇ પઠાણ
- રજનીકાંત ઉર્ફે મુન્નો ભઇલાલાભાઇ ચૌધરી
- રાજેશ ઉર્ફે ધોબી પ્રતાપભાઇ લુનકર
- જીગ્નેશભાઇ લોમેશભાઇ ખુટવડ
- અરુણ પ્રકાશભાઇ ખારવા
- ચેતનભાઇ મગનભાઇ ખારવા
- સુનિલ બાબુભાઇ કહાર
- બન્ટી પ્રમોદભાઇ ખારવા
- ઘનશ્યામભાઇ રજનીકાંત ખારવા
- સુનિલ ઉર્ફે ગેડિયો નરેન્દ્રરાવ ધાડગે
- ગૌતમભાઇ નરેન્દ્રરાવ ધાડગે
- સુનિલ ઉર્ફે કાલુ સમુનભાઇ ખારવા (ક્રિમિનલ પ્રોસિઝર કોડની કલમ 299નો હુકમ છે)
- ઇસ્માઇલ રમજાનમીયા શેખ (મૃત્યુ પામ્યા છે)
- લોમેશ ભાઇસાહેબ ખારવા (મૃત્યુ પામ્યા છે)
સમગ્ર કેસની ટાઇમ લાઇન
- 3 મે 2006ના રોજ દરગાહનું દબાણ દૂર કરાયું
- 1 ઓગસ્ટ 2006ના રોજ કોર્ટમાં કેસ દાખલ
- 21 માર્ચ 2023ના રોજ ચુકાદો
- 16 વર્ષ 7 મહિના અને 20 દિવસ કેસ ચાલ્યો
કેયુર રોકડિયાએ વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો હતો
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ મેયર અને હાલના સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાએ ગુજરાત વિધાનસભામાં ચાંપાનેર દરવાજા પાસે દરગાહ દૂર કર્યાંની જગ્યાએ મુકેલા વાહનો દૂર કરવા જોઇએ તેવો મુદ્દો ઉઠાવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, કેયુર રોકડિયા દ્વારા વિધાનસભામાં કરવામાં આવેલી આ માંગણીના 2 દિવસ બાદ જ વડોદરા કોર્ટે આ કેસમાં નક્કર પુરાવાના અભાવે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવાનો ચુકાદો આપ્યો છે.