છોટા ઉદેપુર3 કલાક પહેલા
કવાંટ તાલુકાના રૂમડીયા ગામે હોળીના ત્રીજા દિવસે ગોળ ફેરિયાનો મેળો યોજાય છે. ત્યારે આજે પારંપરિક ગોળ ફેરિયાનો મેળો યોજાયો હતો. આ મેળામાં મોટી સંખ્યામાં આદિવાસીઓએ મેળાનો આનંદ માણ્યો હતો. જ્યારે કેટલાક માનતા રાખેલ લોકોએ માંચડા પર ચઢીને ગોળ ફેરિયો ફરીને માનતા પૂરી કરી હતી. હોળીએ આદિવાસીઓનો મુખ્ય તહેવાર છે. હોળીના સમયે આદિવાસીઓ માદર વતન આવીને હોળીનો તહેવાર ઉજવે છે.

રૂમડીયાના ગોળ ફેરિયાનું ખાસ મહત્વ છે
ગોળ ફેરિયા મેળાનું આદિવાસીઓમાં ખાસ મહત્ત્વ રહેલું છે. અહીંયા માંચડા પર બાંધેલ દોરડા પર માનતા રાખેલ વ્યક્તિ જ ફરી શકે છે અને પોતાની માનતા પૂરી કરે છે. બીજી મહત્ત્વની વાત એ છે કે માંચડા પર ચક્કર ફેરવનાર રાઠવા પણ તેમાં એક ચોક્કસ જ્ઞાતિના લોકો હોય છે. સાથે ચક્કર ફરવાવાળા પણ ચોક્કસ જ્ઞાતિના લોકો જ હોય છે.

200 વર્ષ કરતાં વધુ સમયથી ચાલતી પરંપરા
રૂમડીયા ગામમાં ઉજવાતો ગોળ ફેરિયાનો મેળો લગભગ 209 વર્ષોથી મનાવાય છે. ઘણી પરંપરા પ્રમાણે આ મેળાનું આયોજન કરવામાં આવે છે. મેળો ન ભરાય તો ગામમાં સંકટ અથવા આફત આવે તેવી માન્યતા છે. ગામમાં કોઈ મોટી આફત અથવા મોટું સંકટ આવે તેવું સ્થાનિક લોકોનું માનવું છે. એક વખત ગામમાં હોળીના સમયમાં જ અશુભ પ્રસંગ બનતા મેળાનું આયોજન ન કરાયું હતું તો ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો તેવું ગ્રામજનો જણાવી રહ્યા હતા.

ગામની એકતા માટે મેળો ઉજવાય છે
આ મેળામાં ઘણા લોકો ભાગ લેતા હોય છે. અહીંયા એક માંચડો બનાવવામાં આવે છે. આ માંચડો બનાવવાવાળા, તેને ફેરવવાવાળા, તેના પર ફરવવાળા ચોક્કસ જ્ઞાતિના જ હોય છે. આ તમામ કામ એક થઈને કરવામાં આવે છે. આવું કરવા પાછળ એકતા જળવાઈ રહે અને ગામનો સંપ પણ બન્યો રહે તે માટે રાખવામાં આવતું હોવાનો ગ્રામજનો જણાવે છે.







