જામનગર10 મિનિટ પહેલા
- કૉપી લિંક

ભારત દેશના આરોગ્ય વિભાગના અત્યંત સંવેદનશીલ અને મહત્વકાંક્ષી રાષ્ટ્રીય કાર્યક્રમ “ટ્યુબર ક્યુલોસીસ મુક્ત ભારત 2025” ના ભાગરૂપે આજે તા.24માર્ચના રોજ વિશ્વ ટ્યુબર ક્યુલોસીસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જામનગર જિલ્લામાં ચાલી રહેલ DRTB સેન્ટરમાં જીજી હોસ્પિટલના પલ્મોનરી વિભાગના વડા તથા DRTBના નોડલ ઓફિસર ડો.ઈવા ચેટરજીના માર્ગદર્શન હેઠળ કુલ 11 રેસીડેન્ટ ડોક્ટર્સ 25 નર્સિંગ સ્ટાફ તથા 10 અન્ય વિભાગના સ્ટાફની જહેમતથી ટીબીના દર્દીનો ટ્રેડીંગ કરી દર્દીઓને નિદાન તથા સારવાર આપવામાં આવે છે. તેમાં કુલ 8 સરહદી જિલ્લા જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, મોરબી, કચ્છ, સોમનાથ, અમરેલીના દર્દી સારવાર લેવા આવે છે.
જામનગરની ગુરુ ગોબિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતે વર્ષ 2022માં અંદાજિત 4885 દર્દીઓની તપાસ કરવામા આવી હતી. જેમાંથી કુલ875 કેસો સારવાર હેઠળ છે. જો આવા દર્દી યોગ્ય સારવાર ન લે અથવા અધૂરી સારવાર લેવામાં આવે તો જાનલેવા અતિગંભીર રીતે બીમારી લાગુ પડી શકે છે. સંસ્થા ખાતે ટીબીને લગતી તમામ તપાસ વિનામૂલ્યે કરવામાં આવે છે. તથા સરકાર દ્વારા તમામ દવાઓ અને જરૂરી સારવાર વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.

જે દર્દીને સામાન્ય દવાઓ લાગુ પડતી નથી તેવા દર્દી માટે પલ્મોનરી વિભાગ દ્વારા અંદાજે 7 થી 8 લાખની સારવાર તદન વિનામૂલ્ય આપવા માટે વિભાગીય ટીમ જહમત ઉઠાવી રહી છે. વિભાગ ખાતે આવેલ ટીબી માટેનાં સ્પેશિયલ નિદાન સરળતાથી અને વિનામૂલ્યે થાય છે. જે નિદાન પ્રાઇવેટ લેબોરેટરીમાં આશરે 3,000 થી 10,000 સુધીનો ખર્ચ થાય છે. ઉપરાંત ગુરુ ગોબિંદસિંહ સરકારી હોસ્પિટલનો વિભાગ ફેફસાના કેન્સરના રોગ સાથે ટીબીના દર્દીઓની પણ સરળતાપૂર્વક સારવાર કરે છે.
વિભાગના વડાના માર્ગદર્શન હેઠળ વિશ્વ ટ્યુબર ક્યુલોસીસ દિવસ જાગૃતિ માટે તમામ તબીબોને એક દિવસીય તાલીમ આપવામાં આવેલ છે અને તા 23-3-2023 થી 25-4-23 ના ટીબી દિવસ નિમિત્તે તબીબી વિદ્યાર્થીઓ શેરી નાટ્યનું અલિયાબાડા તથા લાખોટા તળાવ ખાતે આયોજન વિધાર્થીઓ દ્વારા કરવામાં આવેલ છે. ડો.ઈવા ચેટરજી દ્વારા ‘’સમાજ જાગૃતિ સંદેશ આપતા જણાવવામાં આવ્યું છે કે, ટીબીના લક્ષણોને વહેલાસર જાણીને બનતી ત્વરાએ ટીબી સેન્ટરની મુલાકાત લઈને સારવાર લેવી અત્યંત જરૂરી છે જે ટીબી થી બચવા માટેનો એક માત્ર ઉપાય છે.’’