પોરબંદર2 કલાક પહેલા
માધવપુર ખાતે દર વર્ષે ચૈત્ર સુદ નોમથી તેરસ સુધી ભગવાન માધવરાય અને રાણી રૂક્ષ્મણીજીના લગ્ન મહોત્સવની વિધિ-વિધાન સાથે વર્ષોથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘુળેટીના રોજ ફાગણ વદ એકમના દિવસે ભગવાન માધવરાયજી અને રાણી રૂક્ષ્મણીજીના 25 વાનાના લગ્ન લખવામાં આવ્યા હતા. માધવપુરનો માંડવો આવે, જાદવ કુળની જાન, પરણે રાણી રુક્ષ્મણી, વર વાંછીત શ્રી ભગવાન, એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રતીક રૂપ સાંસ્કૃતિક વિરાસત એવા પોરબંદરના માધવપુરમાં આ લગ્ન ગીત ગુંજતું થયું હતું. ઢોલ નગારાના તાલ સાથે વાજતે ગાજતે મધુવનમાં ભગવાનને ફુલડોલમાં ઝુલાવી માધવરાયજીના મંદિરે કીર્તન સહિત અબીલ ગુલાલના છંટકાવ સાથે ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન લખવામાં આવ્યા હતા.

માધવપુરમાં આ પાંચ દિવસીય લોકમેળો યોજાય છે
જગતગુરુ રામાનુજાચાર્ય અને વલ્લભાચાર્યની સાક્ષીએ માધવપુરના મધુવન ખાતે આવેલ રાણી રૂક્ષ્મણીજીના મંદિરે ભગવાનના લગ્નની કંકોત્રી મોર પીંછ વડે લખવામાં આવી હતી. ઉલખ્ખનીય છે કે આ લગ્ન મહોત્સવ અંતર્ગત જ દર વર્ષે માધવપુરમાં આ પાંચ દિવસીય લોકમેળો યોજાય છે. જે માધવપુર લોકમેળો આજે દેશ વિદેશમાં જાણીતો બન્યો છે. બંને મંદિર પક્ષના મહંતની ઉપસ્થિતિમાં ભગવાનના વિવાહની કંકોત્રી લખવામાં આવી હતી. માધવપુર ખાતે ચૈત્ર સુદ નોમના રોજ રામ નવમીથી આ મેળો શરૂ થાય છે અને ચૈત્ર સુદ બારસની રાત્રીએ ભગવાનના લગ્ન યોજવામાં આવે છે.

પ્રશાસન દ્વારા મેળાની તૈયારીઓ માટે 28 સમિતિઓ
માતા રુક્ષ્મણીજી ઉત્તર પૂર્વ ભારતના રાજકુંવરી હતા. જેમણે ભગવાન શ્રી કૃષ્ણ સાથે માધવપુરમાં લગ્ન કર્યા હતા. માધવુપર ખાતે ભગવાનના લગ્ન પ્રસંગે વર્ષોથી આ લોકમેળો યોજાય છે. છેલ્લા ત્રણ વર્ષથી કેન્દ્ર સરકાર દ્વારા મેળાનું આયોજન કરવામા આવતા મેળાને રાષ્ટ્રીય ફલક મળ્યું છે. મેળાને લઈને રાજ્ય સરકાર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવે છે. જેને લઈને જિલ્લા પ્રશાસન દ્વારા મેળાની તૈયારીઓ માટે વિવિધ 28 જેટલી સમિતિઓ બનાવવામાં આવી છે. મેળાની પૂર્વ તૈયારીના ભાગરૂપે પોરબંદર જિલ્લા કલેકટર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ એક બેઠક પણ તાજેતરમાં યોજવામાં આવી હતી.
