- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- Rajkot Municipality’s Tax Branch’s Target Of Rs.340 Crores Is Still Short Of Rs.42 Crores, Recovery Of Only Rs.89.45 Lakhs Today
રાજકોટ2 મિનિટ પહેલા
- કૉપી લિંક

ફાઈલ તસવીર
રાજકોટ મનપાની વેરા શાખાનો આ વર્ષની રિકવરીનો ટાર્ગેટ રૂ.340 કરોડ છે તેની સામે મનપાને હજુ સુધીમાં માત્ર રૂ.298 કરોડની વસૂલાત થવા પામી છે. એટલે ટાર્ગેટમાં હજુ 42 કરોડની ઘટ છે. તેની સામે આજે માત્ર રૂ.89.45 લાખની રિકવરી થઇ છે. નાણાંકીય વર્ષ પૂર્ણ થવાને હવે માંડ 8 દિવસનું અંતર છે.
હજુ 1.72 લાખ નાગરિકોએ વેરો નથી ચુકવ્યો
તાજેતરમાં મળેલા જનરલ બોર્ડમાં વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણીએ પ્રશ્ન પૂછ્યો હતો કે રાજકોટ મનપાની વેરા શાખાનો રિકવરીનો કેટલો ટાર્ગેટ છે.જેના પ્રત્યુત્તર સ્વરૂપે ટેક્સ બ્રાન્ચે જણાવ્યું હતું કે, મિલકત વેરાનો ચાલુ વર્ષનો ટાર્ગેટ રૂ.340 કરોડનો નિર્ધારિત કરવામાં આવ્યો છે. જેની સામે આજસુધીમાં 298 કરોડની વસૂલાત થવા પામી છે. છેલ્લા ત્રણ વર્ષથી વેરા પેટે એકપણ રૂપિયો ભરપાઇ ન કરનાર બાકીદારોની સંખ્યા 1,72,305 છે. જેમાં સરકારી ખાતાઓ, મોટી કંપનીઓ અને મોબાઇલ ટાવર કંપની સહિત 2314 મોટા બાકીદારોના સમાવેશ થાય છે. જેમને વેરો ભરવા માટે વારંવાર તાકીદ કરવામાં આવે છે. છતાં તેઓ વેરો ભરપાઇ કરતા નથી.
14 મિલકતોને ટાંચમાં લેવામાં આવી
આજે ટેક્સ રિક્વરીની કામગીરી અંતર્ગત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 18 મિલકતો સીલ કરવામાં આવી હતી. જ્યારે 50 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ આપવામાં આવતા વેરા પેટે રૂ.89.45 લાખની આવક થવા પામી છે. સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 10 મિલકતો સીલ કરવામાં આવી હતી. જ્યારે 21 મિલકતોને ટાંચમાં લેવામાં આવી છે. વેસ્ટ ઝોનમાં બે મિલકત સીલ કરાઇ છે અને 14 મિલકતોને ટાંચમાં લેવામાં આવી છે. જ્યારે ઇસ્ટ ઝોનમાં 6 મિલકતોને સીલ કરવામાં આવી છે અને 18 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ આપવામાં આવી છે. નાણાકીય વર્ષ પુરૂં થવાના આડે હવે માત્ર 8 દિવસ બાકી રહ્યાં છે ત્યારે ટેક્સના ટાર્ગેટ સુધી પહોંચવા માટે રોજ પાંચ કરોડની વસૂલાત કરવી પડશે.