ગાંધીનગર13 મિનિટ પહેલા
- કૉપી લિંક

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિગતો આપી હતી.(ફાઈલ તસવીર)
રાજ્યના ગરીબ અને છેવાડાના માનવીના ઘરમાં બે ટંકનું પોક્ષણયુકત ભોજન મળી રહે તેની સરકારે સતત પ્રયત્ન કરી છે. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગમાં રાજ્યની છેવાડાના સામાન્ય નાગરિકને કેન્દ્રસ્થાને રાખીને આગામી વર્ષ 2023-24ના બજેટમાં રૂ. 639.14 કરોડ એટલે કે, 42 ટકા જેટલો વધારા સાથે કુલ રૂ. 2165.14 કરોડની માતબર જોગવાઇ કરવામાં આવી છે. તેમ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિભાગની માંગણીઓ રજૂ કરતા વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું.
રેશનકાર્ડ ધારકોની 3.48 જનસંખ્યા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતના કરોડો ગરીબોને વિનામૂલ્યે અનાજ આપતી “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” (PMGKAY)ને વધુ 12 માસ એટલે કે, જાન્યુઆરીથી ડિસેમ્બર, 2023 સુધી લંબાવીને કોઈ ભૂખ્યું ન સૂવે તે માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના અંત્યોદય કલ્યાણની ભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરી છે. રાજ્યના જરૂરિયાતમંદ લોકોને અન્ન સુરક્ષા પૂરી પાડવાના ઉદ્દેશથી સરકાર દ્વારા “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-2013” હેઠળ સમાવિષ્ટ “અંત્યોદય” તથા “અગ્રતા ધરાવતા કુટુંબો”મળી કુલ 71 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોની 3.48 કરોડ જનસંખ્યાને દર માસે ઘઉં તથા ચોખાનું રાહત દરે વિતરણ કરવામાં આવે છે. આ માટે ગુજરાત સરકાર દ્વારા સમયસર સુચારૂ અને સુદ્રઢ રીતે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાજ્યની 17000 કરતા વધુ વાજબી ભાવની દુકાનેથી દર માસે મળવાપાત્ર વિતરણ-પ્રમાણ મુજબ રાહત ભાવથી આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ થાય છે એમ મંત્રીએ ગૃહમાં જણાવ્યું હતું.
માતબર જોગવાઈ કાયદામાં
મંત્રીએ “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-2013” ની વિગતો આપતા કહ્યું હતું કે, આ કાયદો 1લી એપ્રિલ, 2016થી સમગ્ર રાજ્યમાં અમલમાં છે. આ કાયદા હેઠળ અંત્યોદય અન્ન યોજના (AAY કુટુંબો) અને અગ્રતા ધરાવતા કુટુંબો એટલેકે પ્રાયોરીટી હાઉસ હોલ્ડ (PHH)(BPL)કુટુંબો એમ બે પ્રકારનાં કુટુંબોનો સમાવેશ થાય છે. આ અંતર્ગત રાજ્યમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ વાર્ષિક ઘઉં અને ચોખા મળી, કુલ 21 લાખ મેટ્રિક ટન અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે. રાજ્યના લાભાર્થીઓને અન્ન સલમાતીની સાથો સાથ પોષણક્ષમ આહાર મળી રહે, તે માટે ભારત સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં ચાલુ વર્ષે રાજ્યના 14 જિલ્લાના 33 લાખ કુટુંબોની 1.66 કરોડ જનસંખ્યાને સાદા ચોખાના સ્થાને આયર્ન, ફોલિક એસિડ તથા વિટામીન બી-12 મિશ્રિત “ફોર્ટીફાઇડ ચોખા”નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. આ કાયદા હેઠળ હાલમાં અંત્યોદય કુટુંબોને કુટુંબદીઠ કુલ 35 કિ.ગ્રા. અનાજનું જ્યારે “અગ્રતા ધરાવતા કુટુંબો”ને પ્રતિ વ્યક્તિ કુલ 5 કિ.ગ્રા. અનાજનું વિતરણ કરવામાં આવે છે. વર્ષ 2023–24માં ઘઉં અને ચોખાના વિતરણ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 617.82 કરોડની માતબર જોગવાઇ કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય દેશમાં ત્રીજા ક્રમે
મંત્રી બાવળીયાએ “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” હેઠળ અનાજના વિતરણ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, ચાલુ વર્ષ 2022-23માં એપ્રિલ, 2022 થી ડિસેમ્બર, 2022 સુધી કુલ 14.98 લાખ મેટ્રિક ટન અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે, જ્યારે આ વર્ષે જાન્યુઆરીથી ડિસેમ્બર 2023 સુધી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. “વન નેશન વન રેશનકાર્ડ” અંતર્ગત NFSA હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓ સમગ્ર દેશમાં કોઇ પણ રાજ્યના કોઇપણ ગામ કે શહેરની વાજબી ભાવની કોઇપણ દુકાનમાંથી પોતાની આધાર ઓળખ પ્રસ્થાપિત કરીને મળવાપાત્ર જથ્થો મેળવી શકે છે. આ યોજનાના અમલીકરણમાં ફેબ્રુઆરી 2023માં ગુજરાત રાજ્ય દેશમાં ત્રીજા ક્રમે છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
ખાદ્યતેલનું વિતરણ
મંત્રીએ અનાજ સિવાય અન્ય જણસીના વિતરણ અંગે વિગતો આપતાં કહ્યું હતું કે, “રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા” હેઠળ લાભાર્થીઓને પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર મળી રહે તે માટે રાજ્યના 71.46 લાખ કુટુંબોને દર માસે પ્રતિ કુટુંબ 1 કિલોગ્રામ તુવેર દાળનું પ્રતિ કિ.ગ્રા. રૂ. 50/- લેખે તથા ચણા પ્રતિ કિ. ગ્રા. રૂ. 30/- ના રાહત દરે વિતરણ કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2023–24માં આ યોજના માટે રૂ. 276.79 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના 71 લાખ જેટલા કુટુંબોને જન્માષ્ટમી તથા દિવાળીના તહેવાર એમ બે વખત રૂા.100/- પ્રતિ લિટરના રાહત દરે ખાદ્યતેલનું વિતરણ કરવામાં આવ્યું છે, જેના માટે વર્ષ 2023-24માં રૂ. 128.14 કરોડની જોગવાઇ કરાઈ છે.
ખાંડનું વિતરણ કરવામાં આવે છે
રાજ્યના AAY તથા બી.પી.એલ. કુટુંબો મળી કુલ 31.23 લાખ કાર્ડધારકોને દર માસે રાહત દરે ખાંડનું વિતરણ કરવામાં આવે છે. આગામી વર્ષ 2023–24 માટે રૂ. 153.05 કરોડની જોગવાઇ કરાઈ છે. જ્યારે રાજ્યના 71 લાખ કુટુંબોને દર મહિને કુટુંબદીઠ 1 કિ.ગ્રા. ડબલ ફોર્ટીફાઇડ મીઠાનું રૂ. 1.૦૦/-ના રાહત દરે વિતરણ કરવામાં આવ્યું છે, આ માટે વર્ષ 2023-24 માં રૂ. 68.41 કરોડની જોગવાઈ કરાઈ છે એમ મંત્રીએ ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના
વડાપ્રધાનની મહિલા કલ્યાણલક્ષી “પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના” તથા “રાજ્ય પી.એન.જી./ એલ.પી.જી. સહાય યોજના” અંતર્ગત રાજ્યના કુલ 38.20 લાખ લાભાર્થીઓ માટે તેઓ દ્વારા એલપીજી બોટલની રિફિલીંગ કરવા સહાય પેટે નાણાકીય વર્ષ 2022-23માં રાજ્ય સરકાર દ્વારા આ યોજના હેઠળ ઑક્ટોબરથી ડિસેમ્બર-2022ના ક્વાર્ટર અને જાન્યુઆરીથી માર્ચ-2023 કવાર્ટર દરમિયાન અંદાજિત 29 લાખ લાભાર્થીઓને લાભાન્વિત કરાયા છે, જેના માટે રૂ. 500 કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી છે તેમ મંત્રીએ ગૃહમાં જણાવ્યું હતું.
બાજરી, રાગી, જુવાર, અને મકાઇની ખરીદી કરવાનું આયોજન
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ખેડૂતહિતલક્ષી સરકાર દ્વારા કૃષિ જણસોનું ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે તે માટે વર્ષે કરોડો રૂપિયાના લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરે છે તેમ જણાવી મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. દ્વારા ઘઉં, ડાંગર, બાજરી, જુવાર, રાગી તથા મકાઇ વગેરે કૃષિ પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. ખરીફ માર્કેટીંગ સીઝન વર્ષ 2022-23 અંતર્ગત રાજ્યના ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે કુલ 1.76 લાખ મે.ટન ડાંગરની તેમજ 764 મે.ટન બાજરીની ખરીદી કરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યના કુલ 28629 ખેડૂતોને અંદાજિત કુલ રૂ. 363/- કરોડનું તેઓના બેંક ખાતામાં ડી.બી.ટીના માધ્યમથી ઓનલાઇન ચુકવણું કરવામાં આવ્યું છે. રવી માર્કેટીંગ સીઝન વર્ષ 2023-24 અંતર્ગત રાજ્યના કુલ 237 ખરીદ કેન્દ્રો પરથી ટેકાના ભાવે ઘઉં ખરીદીનું નક્કી કરવામાં આવ્યું છે. વર્ષ 2023-24 “આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ”ના ઉપલક્ષમાં રાજ્યના ખેડૂતો પાસે લઘુત્તમ ટેકાના ભાવે ઉનાળુ બાજરી, રાગી, જુવાર, અને મકાઇની ખરીદી કરવાનું આયોજન છે.
ગોડાઉનમાં સીસીટીવી લગાવાશે
જાહેર વિતરણ વ્યવસ્થામાં અસરકારકતા તથા પારદર્શિતા લાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહી છે તેમ જણાવી મંત્રીએ કહ્યું હતું કે, રાજયના 99.4 ટકા લાભાર્થીઓના આધાર વેરીફીકેશન દ્વારા વિતરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં વાજબી ભાવના દુકાન સંચાલકો તથા તેમના સહાયકોને કોરોનાના કારણોસર મૃત્યુ સહાય પ્રતિ કિસ્સામાં રૂ. 25 લાખ લેખે કુલ ૬૫ કિસ્સામાં રૂ. 16.25 કરોડની સહાય ચુકવવામાં આવી છે. જિલ્લા અને રાજય કક્ષાએ અનાજના પરિવહન, વિતરણ અને સ્ટોરેજ અંગે ટેક્નોલોજી આધારિત મોનીટરીંગ અંતર્ગત નિગમ દ્વારા સમગ્ર સપ્લાય ચેઇન મેનેજમેન્ટ પર દેખરેખ રાખવા, નિગમની વડી કચેરી ખાતે કમાન્ડ-એન્ડ-કંટ્રોલ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. જેની મદદથી રાજ્ય સ્તરે ટ્રાન્સર્પોટેશનની કામગીરી સંદર્ભે વાહનોનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવે છે, જેના કારણે શંકાસ્પદ ગતિવિધિઓને ઓળખી શકાય છે. આ ઉપરાંત નિગમ દ્વારા ગોડાઉન ખાતે સી. સી. ટી. વી. કેમેરાની કામગીરી પ્રગતિમાં છે, જેનું મોનીટરીંગ જિલ્લા પુરવઠા અધિકારી મારફતે થઇ શકશે.
મિડિયેશન સેન્ટર
તોલ માપ તથા ગ્રાહક સુરક્ષા અને જાગૃતિ અંગે વિગતો આપતા મંત્રીએ કહ્યું હતું કે, વેપારી વર્ગને ઘરે બેઠા કાનૂની વિજ્ઞાન માપ ખાતા પાસેથી મેળવવાના થતા વજન-માપ સાધનોના પરવાના રજીસ્ટ્રેશન, પરવાના પ્રમાણપત્રો વગેરે ઓનલાઇન મળે તેવી વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે. કન્ઝયુમર કમિશનો હેઠળ ન્યાય-નિર્ણયની પ્રકિયાઓ ઝડપથી થાય તે માટે મિડિયેશન સેન્ટરની વૈકલ્પિક તકરાર નિવારણ મીકેનિઝમ તરીકે જોગવાઈ કરી છે, જેના અનુસંધાને રાજ્ય કમિશન તેમજ જિલ્લા કમિશનોમાં ટૂંક સમયમાં મિડિયેશન સેન્ટર્સની રચના કરવામાં આવી છે, જેમાં દાખલ થતા કેસો 1૦૦ ટકા ઓનલાઈન અપલોડ કરવામાં આવે છે.
ગેસ સીલીન્ડરનું રિફિલીંગ કરવા માટે રૂ. 500 કરોડ
બજેટમાં સામેલ નવી બાબતોનો ઉલ્લેખ કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને વધુ પ્રોત્સાહન મળે તથા MSP હેઠળ વધુને વધુ ખરીદી થાય તે માટે “આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ” નિમિત્તે બાજરી, જુવાર, રાગી(નાગલી)ની ટેકાના ભાવે ખરીદી માટે એક ક્વિન્ટલ દીઠ રૂ. ૩૦૦ની બોનસ સહાય પેટે રૂ. ૩૦ કરોડ, વર્ષમાં બે વાર વિનામૂલ્યે ગેસ સીલીન્ડરનું રિફિલીંગ કરવા માટે રૂ. 500 કરોડ તેમજ હાર્ડવેર-સોફ્ટવેરની ખરીદી તથા પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટના ગઠન માટે રૂ. 10.90 કરોડની જોગવાઇ નવી બાબતો હેઠળ મંજૂર કરવામાં આવી છે.
કાળા બજારિયા સામે કાર્યવાહી
મંત્રીએ ગ્રાહકોની બાબતના વિભાગની કામગીરી અંગે જણાવતાં કહ્યું હતું કે, રાજ્યમાં જરૂરિયાતમંદોની અન્ન સલામતી તથા અન્ન પુરવઠાનું કાયદા કાનૂન આધારિત નિયમન કરવાનું તથા કાયદો તોડીને કાળા બજાર કરનાર કે ગ્રાહકોને છેતરનાર કાળા બજારિયાઓની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને ગ્રાહક હિતોનું રક્ષણ કરવા પણ સરકાર કટિબદ્ધ છે. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગની માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી.