વડોદરા35 મિનિટ પહેલા
- કૉપી લિંક
શહેરની શાંતિમાં પલિતો ચાંપનાર તોફાનીઓની ધરપકડનો દોર શરૂ
શહેરમાં રામનવમીના દિવસે ફતેપુરા ચાર રસ્તા વિસ્તારમાં આવેલા પાંજરીગર મહોલ્લો અને કુંભારવાડામાં રામજીની શોભાયાત્રામાં થયેલા પથ્થરમારાની ઘટનામાં પોલીસ દ્વારા 45 તોફાનીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત 500ના ટોળા સામે સીટી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઝડપાયેલા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવશે. રામનવમીના દિવસે થયેલા તોફાનોને પગલે ભૂતડીઝાંપા પાસે ભરાતું શુક્રવારી બજાર ભરાવા દેવામાં આવ્યું ન હતું. આજે પણ ફતેપુરા ચાર રસ્તા વિસ્તારમાં અંજપાભરી શાંતિ જોવા મળી હતી. જોકે, કોઇ અપ્રિય ઘટના ન બને તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
તોફાનીઓ સામે કડક કાર્યવાહી થશેઃ એડીશનલ પોલીસ કમિશનર
એડીશનલ પોલીસ કમિશનર મનોજ નિનામાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, શહેરના ફતેપુરા વિસ્તારમાં રામનવમીના દિવસે થયેલા તોફાનોને પગલે રાજ્યના ડી.જી.પી., શહેર પોલીસ કમિશનર અને રાજ્ય સરકાર દ્વારા તોફાનીઓ સામે કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે. જેથી ભવિષ્યમાં તોફાનીઓ તોફાન કરતા વિચાર કરે.
તોફાનીઓની પોલીસે ધરપકડ કરી
45 તોફાનીઓ સામે નામજોગ ફરિયાદ
ગુરૂવારે થયેલા તોફાનો બાદ તોફાની વિસ્તારોમાં પોલીસના કાફલા સાથે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કોમ્બિંગ દરમિયાન 22 તોફાનીઓની અટકાયત કરી લેવામાં આવી હતી. તેઓની પૂછપરછમાં વધુ 23 તોફાનીઓના નામો ખૂલતા તેઓની પણ અટકાયત કરી લેવામાં આવી હતી. આ તમામ આરોપીઓનો સરકારની ગાઇડલાઇન મુજબ કોરોના ટેસ્ટની કાર્યવાહી ચાલુ છે. આ તમામ 45 આરોપીઓ સહિત 500ના ટોળા સામે સીટી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
તોફાનીઓને પોલિસે ઘરમાં જઇ જઇને દબોચ્યા.
ધરપકડનો દોર હજુ પણ ચાલુ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તમામ આરોપીઓને આજે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. રિમાન્ડ દરમિયાન વધુ તોફાનીઓના નામો ખૂલશે. નામો ખૂલતાની સાથેજ તોફાનીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. ઝડપાયેલા તમામ આરોપીઓને CCTV ફૂટેજ અને મોબાઇલ સર્વેલન્સ ટીમની મદદથી ઝડપી પાડવામાં આવ્યા હતા. હજુ પણ પોલીસની વિવિધ ટીમો દ્વારા તોફાનીઓની ધરપકડનો દોર ચાલુ છે.
પોલીસ તંત્ર કોઇપણ સ્થિતીને પહોંચી વળવા તૈયાર.
મસ્જિદો પાસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
એડીશનલ પોલીસ કમિશનર મનોજ નિનામાએ વધુમાં જણાવ્યું હતું કે, મુસ્લીમ સમાજનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે. આજે શુક્રવાર નમાજ માટેનો પાવન દિવસ કહેવાય છે, ત્યારે નમાજ સમયે કોઇ અપ્રિય ઘટના ન બને તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્તનું આયોજન કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને પાણીગેટ, યાકુતપુરા, ફતેપુરા, વાડી સહિતના સંવેદનશિલ વિસ્તારોમાં આવેલી મસ્જીદો ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પોલીસે તોફાની વિસ્તારોમાં કોમ્બિંગ કર્યું હતું.
શુક્રવારી બજાર બંધ રખાતા મુશ્કેલી
ઉલ્લેખનિય છે કે, વડોદરામાં ભૂતડીઝાંપા રોડથી હાથીખાનાથી કારેલીબાગ તરફ જતા રોડ ઉપર પ્રતિ શુક્રવારે શુક્રવારી બજાર ભરાય છે. શુક્રવારી બજારમાં સ્થાનિક તેમજ આસપાસના ગામોના લોકો વેપાર કરવામાં આવે છે. આ શુક્રવારી બજાર ગરીબોના શોપિંગ મોલ સમો હોય છે. આ બજારમાં નવી-જુની ચિજ-વસ્તુઓનું વેચાણ થતું હોય છે અને શહેરના ખૂણેખૂણામાંથી લોકો ખરીદી માટે આવે છે. આજે રમઝાન માસનો શુક્રવાર હોઇ, શહેર પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે શુક્રવારી બજાર બંધ રખાવ્યું હતું. શુક્રવારી બજાર બંધ રખાતા ગરીબ વેપારીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.