આણંદ3 કલાક પહેલા
- કૉપી લિંક

ચરોતર પ્રદેશ એનઆરઆઈનું હબ ગણાય છે. અહીં દરેક ઘરમાં એકાદ વ્યક્તિ વિદેશ સ્થાયી થયાં છે. એક સર્વે મુજબ આશરે બસ્સો જેટલા દેશમાં ચરોતરવાસીઓ ફેલાયેલા છે. તેમાંય આણંદના વિશેષ જોવા મળે છે. દરેક યુવાને વિદેશ જવાનું સ્વપ્ન હોય છે. પરંતુ કેટલાક યુવાનો આર્થિક રીતે તેઓ સક્ષમ ન હોવાથી સ્વપ્ન માત્ર સ્વપ્ન જ રહે છે. જોકે, સરકાર દ્વારા અનુસુચિત જાતિના યુવાનો માટે ડો. બાબા સાહેબ આંબેડકર વિદેશ લોન યોજના આપવામાં આવે છે. જેમને 15 લાખની લોન આપવામાં આવે છે. છેલ્લા છ વરસમાં 56 જેટલા અનુસુચિત જાતિના યુવાનોએ વિદેશ જવા માટે સહાય મેળવી છે.

હાલના સમયમાં યુવાનોમાં વિદેશ જઇને અભ્યાસ કરવાનો એક અનેરો ઉત્સાહ અને ધગશ જોવા મળે છે. પરંતુ મધ્યમ વર્ગ અને અનુસુચિત જાતિના યુવાનો વિદેશ જવા માટેનો ખર્ચ ઉઠાવી શકતા નથી અને તેજસ્વી વિદ્યાર્થીઓના સપનાં સાકાર થઇ શકતા નથી. તેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર વિદેશ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ અંગે અનુસુચિત જાતિ કલ્યાણના નાયબ નિયામક એ.કે.શેખના જણાવ્યા પ્રમાણે આ યોજનામાં અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓને વિદેશ જવા માટે રૂ.15 લાખ 4 ટકાના વ્યાજે આપવામાં આવે છે. આણંદમાં છેલ્લા 5 વર્ષમાં કુલ અનુસુચિત જાતિના 56 વિદ્યાર્થીઓ યોજના થકી વિદેશ ગયાં છે.
નાયબ નિયામક એ.કે. શેખે વધુમાં જણાવ્યું હતું કે, આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીને ઓછામાં ઓછા 50 ટકા હોવા જોઇએ. આ યોજનાના લાભ લેવા માટે વિદ્યાર્થીએ અમુક ચોકકસ દસ્તાવેજ રજૂ કરવાના હોય છે. બાદએ ફાઇલ ગાંધીનગર સ્પષ્ટતા કરવા માટે મૂકવામાં આવે છે અને ત્યારબાદ ફાઇલ તપાસ કર્યા પછી જે તે વિદ્યાર્થીને લોન આપવામાં આવે છે. આ લોનની ફકત એક શરત હોય છે કે જયારે વિદ્યાર્થી વિદેશથી અભ્યાસ સંપૂર્ણ કરીને આવે ત્યારબાદ ઓછામાં ઓછા 5 વર્ષ તેને પોતાના દેશને સેવા આપવાની હોય છે.
મારો પુત્ર કેનેડા જઇ એન્જિનીયરીંગનો અભ્યાસ કરે છે
આણંદ જીલ્લાના વઘાસી ગામમાં રહેતાં અને વીજ કંપનીમાં જુનિયર કલાર્ક નોકરી કરતાં નરેન્દ્રભાઇ મહેરિયા લાગણીથી પોતાની વાત શરુ કરે છે અને કહે છે કે, મારા બાળકોને વિદેશ મોકલવા માટે કયાંથી રુપિયા લાવીએ ? મારે પરિવારમાં કુલ 5 સભ્યો છે. એમાં 2 દીકરા અને એક દીકરી છે. હાલના સમયમાં 3 બાળકોના ખર્ચા પૂરા કરવા બહુ કઠિન છે. જેમાં મારો દીકરો હિમાંશુ જેૈને પોતાની નાની વયથી જ વિદેશ જઇને એન્જિનીયરીંગનો અભ્યાસ કરવાનું સ્વપ્ન હતું. પરંતુ મારી આથિઁક પરિસ્થિતિ એવી ન હતી કે હું તેને વિદેશ અભ્યાસ માટે મોકલી શકું. આટલું કહેતા કહેતા નરેન્દ્રભાઇ ભાવુક થઇ જાય છે. વધુમાં ઉમેર્યું હતું કે, આ યોજનાની માહિતી અમને અનુસુચિત જાતિના સમાજ કલ્યાણમાંથી મળી અને પછી યોજનામાં જોઇતા ચોકકસ દસ્તાવેજ અમે નાયબ નિયામક એ.કે શેખને આપ્યા અને તેમને તે ફાઇલને ગાંધીનગર મૂકી ત્યારબાદ એક મહિનામાં ત્યાંથી લોનની મંજૂરી મળ્યા બાદ અમને 15 લાખ રુપિયા આપવામાં આવ્યા અને છેલ્લા એક વર્ષથી મારો પુત્ર કેનેડામાં માસ્ટર ઓફ ઇલેકટ્રોનિક એન્જિનીયરીંગનો અભ્યાસ કરી રહ્યો છે અને તેનું વિદેશ જવાનું સપનું આ યોજના થકી સાકાર થયું છે.