અમદાવાદ19 મિનિટ પહેલા
- કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની તસવીર.
ગુજરાત વિધાનસભના બજેટ સત્રમાં પાટણ જિલ્લાની નગરપાલિકાને આંતર માળખાકીય સુવિધા માટે ફળવાયેલી ગ્રાન્ટ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જે અંગે શહેરી વિકાસ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કુલ 4550.74 લાખની ગ્રાન્ટ અપાઈ છે અને તે અંતર્ગત 261 જેટલા કામો મંજૂર કરાયા છે. ત્યારે અન્યમાં કચ્છ જિલ્લામાં પાણી પહોંચાડવા પંપીગ સ્ટેશન અંગે મંત્રી વાત કરી હતી. સાથે કહ્યું હતું કે, કચ્છ શાખા નહેરના રૂપિયા 5,818 કરોડના કામો પૂર્ણ કરાય છે.
પાટણમાં કુલ 4550.74 લાખની ગ્રાન્ટ અપાઈ
પાટણ જિલ્લાની નગરપાલિકાને આંતર માળખાકીય સુવિધા માટે ફળવાયેલી ગ્રાન્ટ અંતર્ગત પ્રશ્નના ઉત્તરમાં શહેરી વિકાસ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભૌતિક અંતર માળખાકીય સુવિધાઓ, સામાજિક આંતર માળખાકીય સુવિધાઓ, શહેરી પરિવહન તેમજ શહેરની આગવી ઓળખ ઉભી થાય તેવા કામો કરવામાં આવે છે. 31-12-22ની સ્થિતિએ પાટણ જિલ્લાની નગરપાલિકાની જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આંતર માળખાકીય સુવિધાના ઘટક હેઠળ કુલ 4550.74 લાખની ગ્રાન્ટ આપવામાં આવી છે. તે અંતર્ગત 261 જેટલા કામો મંજૂર કરવામાં આવ્યા છે. તેમાંથી 163 જેટલા કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.
પાટણમાં કુલ 261 જુદા-જુદા કામો મંજૂર કરાયા
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પાટણ જિલ્લાની પાટણ, સિધ્ધપુર, ચાણસ્મા, હારીજ તેમજ રાધનપુરમાં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં પાટણમાં કામ પૂર્ણ થયા છે. પાટણ જિલ્લાની નગરપાલિકામાં વર્ષ 2020-21 અને 2021-22માં કયાં પ્રકારના કેટલા કામો મંજૂર કરવામાં આવ્યા છે. તેની વિગતો આપતા શહેરી વિકાસ મંત્રીએ જણાવ્યું કે, પાટણ સિધ્ધપુર, રાધનપુર, હારીજ અને ચાણસ્મા નગરપાલિકામાં રસ્તાના 162 કામો, સ્લમ વિસ્તારના 8 કામો, સ્ટ્રોંમ વોટર ડ્રેનેજના 3 કામો, રસ્તા રિપેરિંગના 66 કામો તેમજ અન્ય 22 કામો મળી 261 કામો મંજૂર કરવામાં આવ્યા છે.
પાણીની અછત ઘરાવતો જિલ્લો એ વાત હવે ભૂતકાળ
ગુજરાત વિધાનસભામાં કચ્છ જિલ્લામાં પાણી પહોંચાડવા પંપીગ સ્ટેશન અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મુખ્યમંત્રી વતી જવાબ આપતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કચ્છ એટલે પાણીની અછત ઘરાવતો જિલ્લોએ વાત હવે ભૂતકાળ બની ગઈ છે. છેક એકતાનગરથી લઈને કચ્છના મૂળકૂબા ગામ સુધી 743 કિ.મીની લંબાઈ ધરાવતી કેનાલ દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે અને નાગરિકોને પીવાનું પાણી પહોંચતું થયું છે.
કચ્છમાં પાણી પહોંચાડવા ત્રણ પંપીંગ સ્ટેશનો બનાવ્યા
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, કચ્છ શાખા નહેર દ્વારા કચ્છ જિલ્લામાં પીવાનું પાણી અને સિંચાઈની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ કેનાલ પર ત્રણ પંપીંગ સ્ટેશન પર અંદાજે 18.72 મીટરની ઊંચાઈથી પાણી ઉદ્ધવહન કરીને પહોંચાડાય છે. કચ્છ શાખા નહેર દ્વારા કચ્છ જિલ્લામાં પાણી પહોંચાડવા ત્રણ સ્થળે પંપીંગ સ્ટેશનનો બનાવ્યા છે. જે પૈકી પંપીંગ સ્ટેશન-1 અને પંપીંગ સ્ટેશન-2 પ્રત્યેક ઉપર 20 ક્યુમેકની ક્ષમતાના 8 પંપ અને 6 ક્યુમેકસની ક્ષમતાના 3 પંપ રાખવામાં આવ્યા છે તથા પંપીંગ સ્ટેશન-3 ઉપર 20 ક્યુમેકસની ક્ષમતાના 6 પંપ અને 6 ક્યુમેકરની ક્ષમતાના 3 પંપ રાખવામાં આવ્યા છે. જેની પાછળ રૂપિયા 207.23 કરોડનો ખર્ચ કરાયો છે.
પીવાના પાણી સાથે સિંચાઈના પાણીની સુવિધા પૂરી પડાઈ
તેમણે ઉમેર્યું કે, કચ્છ શાખા નહેર માટે તા.31-12-2022ની સ્થિતિએ અત્યાર સુધીમાં રૂ.5,818 કરોડનો ખર્ચ કરીને કચ્છ જિલ્લાને પીવાના પાણી અને સિંચાઈની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. જેમાં બ્રાન્ચ, પેટા શાખા, પમ્પીંગ સ્ટેશન, કમાન્ડ એરિયા વિસ્તારના વિકાસ માટેના કામો હાથ ધર્યો છે. આ ઉપરાંત દૂધઈ કેનાલ માટેના કામોના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. આ કેનાલ માટે ભૌગોલિક વિસ્તારને અનુરૂપ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. જેમાં સંપૂર્ણ અભ્યાસ બાદ યોગ્ય નિર્ણય લઈને સત્વરે કામ શરૂ કરવામાં આવશે.
વધારાનું પાણી આપવાનો નિર્ણય કરાયો
કચ્છ જિલ્લામાં પાંચ વર્ષ અંતર્ગત લીંકીંગ સુવિધા થકી પાણી પહોંચાડવામાં રૂ.357નો ખર્ચ કર્યો છે. ઉપરાંત વધારાના એક મિલિયન એકર નર્મદાનું પાણી કચ્છ જિલ્લાને આપવા માટેનો નિર્ણય કરાયો છે. આ માટે પણ પંપીંગ સ્ટેશનની કેપેસિટી વધારવાની જરૂરિયાતોને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેમ તેમણે ઉમેર્યું હતું.