Wednesday, March 8, 2023

આણંદના નાપા ગોવર્ધનનાથજીની હવેલીમાં હોળી-રસિયા-ફૂલ ફાગની ભક્તિ અને મસ્તીમય ઉજવણી કરાઈ | Anand Napa Govardhannath Ji's Haveli Celebrated Holi-Rasia-Phoul Phag Bhakti and Fun | Times Of Ahmedabad

આણંદ9 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આણંદના નાપા તડપદ ખાતે આવેલ ગોવર્ધનનાથજી પ્રભુની હવેલી ખાતે ફૂલ ફાગ અને ડોલોત્સવ મહોત્સવ યોજાયો હતો. પુષ્ટિમાર્ગીય કિર્તનિયાઓના મધુર કંઠે હોરી-રસિયા-ફૂલ ફાગની ઉજવણી સંગીતમય રીતે કરાઈ હતી. જેમાં ફૂલોની હોળી સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું.વળી પ્રભુને ફુલડોલ ઉપર ઝુલાવી ડોલોત્સની પણ ભાવસભર કીર્તન સાથે ઉજવણી કરી હતી.

આણંદના નાપા તડપદ ગામે આવેલ પુષ્ટિમાર્ગીય ગોવર્ધનનાથજી હવેલી ખાતે હોળી રસિયા ફુલ ફાગ મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો હતો. આ હોળી રસિયા ખેલમાં ગામના શ્રધ્ધાળુ ભક્તો અને મહિલા મંડળો ઉપસ્થિત રહ્યા હતા.નાના બાળકોને કૃષ્ણ અને રાધાની વેશભૂષા કરાવી સકીર્તન કરવામાં આવ્યું હતું. અસલ મથુરા-વૃંદાવનની ભાષામાં હોળી રસિયા ગીતો અને પદોનું ગગન ગુંજન કરાયું હતું.રંગબેરંગી ફૂલોની ઉછળતી છોળોએ ભક્તો શ્રધ્ધાળુઓમાં અનોખી સ્ફૂર્તિ અને પરમાનંદની અનુભૂતિ કરાવી હતી.

આ અંગે શ્રધ્ધાળુ ભક્ત જાનકીબેન પટેલે જણાવ્યું હતું કે, પુષ્ટિમાર્ગીય પરંપરામાં કૃષ્ણાવતાર પછી હોળીની પરંપરા શરૂ થઇ હોવાની માન્યતા છે. પુષ્ટિ પ્રભુ એમના સેવકો માટે આ ખેલની રચના કરી છે તેવો પણ ભાવ છે.ભક્તિ દાસભાવે પ્રભુની સેવા બારેમાસ કરતો હોય છે.ત્યારે તે પ્રભુને પોતાના આરાધ્ય સ્વામી ગણે છે. પુષ્ટિપ્રભુ હોળી અને રંગોત્સવના આ દિવસો દરમ્યાન પોતાના સિંહાસન ઉપરથી ઉતરી પોતાના સેવક ભકતોનો દાસ ભાવ દૂર કરી સખાભાવ એટલે કે મિત્રભાવ આપે છે. આ હોળી રસિયા ખેલ પ્રભુ અને ભક્ત સખાભાવે રમતા હોઈ અહીં ઉંચ-નીચ, ગરીબ-તવંગર, સ્ત્રી-પુરુષનો ભેદ રહેતો જ નથી. ભક્તનું પોતાના આરાધ્ય સ્વામી પુષ્ટિપ્રભુ સાથે એકાકાર થઇ સખામોજથી ખેલવું એટલે હોળી-રસીયા કહેવામાં આવે છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે હોળી ખેલતી વખતે ભક્તની નજર શ્રી ઠાકોરજીના ચરણ પર પડે અને જો શ્રી ઠાકોરજીના ચરણ ખુલ્લા હોય તો ભક્તના મનમાં દાસ ભાવ પ્રગટે અને તેને હોળી ખેલવામાં સંકોચ થાય જેના કારણે આ 40 દિવસ દરમિયાન શ્રી ઠાકોરજીના સ્વરૂપચરણમાં નાનો સફેદ કટકો ઢાંકી રાખવામાં આવે છે.

આ અંગે પીયૂષભાઈ પટેલે જણાવ્યું હતું કે અમે અહીં પ્રતિવર્ષ આ મહોત્સવ ખૂબ ઉલ્લાસ સાથે ઉજવીએ છીએ.શ્રધ્ધાળુ ભક્તો પણ પ્રભુ સાથે આ ખેલ રમવા જાણે વર્ષોથી રાહ જોતા હોય તેવા ભાવ સાથે ઉમટી પડે છે.પુષ્ટિમાર્ગમાં ભક્તિ કેવળ ભગવાનના સુખનો વિચાર કરે છે.પુષ્ટિમાર્ગમાં ભગવાન બાલકૃષ્ણ સ્વરૂપે બિરાજમાન છે જેથી ભક્તો તેમને ખૂબ લાડ લડાવે છે.આથી, હોળી રસિયા રમવાની ઇચ્છા પણ પ્રભુ જ પ્રગટ કરે છે તેવી માન્યતા છે.

અહીં આ ખેલમાં શ્રધ્ધાળુ-ભક્તો ટોળી બનાવી બાલકૃષ્ણને ઘેરી વળેતેની સાથે રંગોત્સવ ઉજવે વળી ધૂળેટીના દિવસે આંબાના પાનનો દોરડા વાળા ઝૂલો(ડોલ) બનાવી તેમાં પ્રભુને બેસાડી હોળી ખેલે છે. આખા વર્ષ દરમિયાન ભક્ત ભગવાનને વશ છે જે સહજ છે, ફક્ત આ 40 દિવસ માટે ભગવાન ભકતને વશ છે તેઓ ભાવ પુષ્ટિમાર્ગમાં ભક્તોને પોતાના આરાધ્ય સ્વામી સાથે એકાકાર કરી દે છે.

નાપાતળપદ ગોવર્ધનનાથજીની હવેલી ખાતે ખાતે વૈષ્ણવ સમાજ દ્વારા ફૂલ ફાગ મહોત્સવ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજના લોકો ,ગ્રામજનો ,શ્રધ્ધાળુઓ જોડાયા હતા અને આ રંગોત્સવ અને ફૂલ ડોલોત્સવનો ભક્તિમય લાભ લીધો હતો અને એકમેક ઉપર રંગોનો ઉછાળી ધુળેટી રંગોત્સવની પણ ભાવ અને મૈત્રીસભર ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે…