અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક

પંદરમી ગુજરાત વિધાનસભાના બીજા સત્રમાં જમાલપુર-ખાડિયા વિધાનસભાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સહકાર મંત્રીને એપીએમસીમાં અનાજ લે-વેચના ખોટા લાયસન્સ અને ગુમાસ્તા ધારા હેઠળ બોગસ દસ્તાવેજો બનાવવાનું કૌભાંડ અને કૌભાંડીઓ સામે થયેલ કાર્યવાહી બાબતે પ્રશ્નો મુક્યો હતો. આ સાથે જ તેમણે કૌભાંડીઓ સામે શું કાર્યવાહી કરવામાં આવી તેમ પણ પુછ્યું હતું. જેનો વિગતવારે ઉત્તર મંત્રીએ આપ્યો હતો.
વિધાનસભામાં ઇમરાન ખેડાવાલાએ પ્રશ્ન મુક્યો
ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભામાં પ્રશ્નો મૂક્યા હતા કે, તા.31-01-2023ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજ્યની કેટલી એપીએમસીમાં અનાજના લે-વેચના ખોટા લાયસન્સ બનાવવાના અને ગુમાસ્તા ધારા હેઠળ બોગસ દસ્તાવેજો બનાવી કૌભાંડ આચરવાના કેટલા કિસ્સા બન્યા?
છેલ્લા બે વર્ષમાં 1 APMCમાં 6 કિસ્સા બન્યા-સહકાર મંત્રી
જેનો સહકાર મંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો હતો કે, તા.31-01-2023ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજ્યની 1(એક) એપીએમસી ઉંઝામાં અનાજના લે-વેચના ખોટા લાયસન્સ બનાવવાના કુલ- 6 (છ) કિસ્સા બન્યા છે.
ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં કૌભાંડીઓ સામે ગુના નોંધાયા
આ સાથે ઇમરાન ખેડાવાલાએ વધુ એક પ્રશ્ન મુક્યો હતો કે, ઉપરોક્ત કેટલા કિસ્સામાં કેટલા કૌભાંડીઓ સામે શું કાર્યવાહી કરી? જેનો જવાબ આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, ઉપરોક્ત છ કિસ્સામાં ૬(છ) શખ્સો/કંપની સામે ઘાટલોડિયા પોલીસ સ્ટેશન અમદાવાદમાં છેતરપિંડી, વિશ્વાસઘાટ સહિતના ગુના નોંધવામાં આવ્યા છે. જે અનુસંધાને ઘાટલોડિયા પોલીસ દ્વારા મૌલિક દિનેશકુમાર પારેખ અને ધારક જગદિશકુમાર પટેલની ધરપકડ કરી, નવેમ્બર-2022માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જ્યારે યોગેશ અમૃતલાલ મોદીની તા.14-02-2023એ ધરપકડ કરવામાં આવી હતી. બાકીના આરોપી પૈકી એક આરોપીની અરજી હાઈકોર્ટમાં પેન્ડીંગ છે, જ્યારે અન્ય આરોપી સામે તપાસ ચાલુ છે.