ગાંધીનગરએક કલાક પહેલા
- કૉપી લિંક
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા ટીબીનાં દર્દીઓને દાક્તરી તપાસ, રિપૉર્ટ તેમજ સારવાર અર્થે આમથી તેમ ભટકવાનો વખત આવ્યો છે. એમાંય દાક્તરી તપાસ – રિપોર્ટ સિવિલમાં કરાવ્યા પછી સારવાર સ્થાનિક અર્બન હેલ્થ સેન્ટરમાં લેવાનું કહેવામાં આવતાં ટીબીનાં દર્દીઓની હાલત કફોડી બની ગઈ છે. જેથી કરીને નિદાન, રિપૉર્ટ અને સારવાર સિવિલમાં એક જ સ્થળે ગોઠવવા માટે શહેર વસાહત મહાસંઘ દ્વારા આરોગ્ય કમિશનરને પત્ર લખીને માંગણી કરવામાં આવી છે.
એક તરફ ટીબી મુક્ત ભારત માટે વડાપ્રધાન દ્વારા ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગર સિવિલમાં જ ટીબીનાં દર્દીઓની નિદાન, રિપોર્ટ અને સારવાર મેળવવા માટે પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન કુલ સાત હજારથી પણ વધુ ક્ષયના દર્દોઓ નોંધાયા છે. આ રોગ ચેપી હોવાને કારણે તેના દર્દીને ખાસ કાળજી લેવી પડે છે. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ટી.બી રોગના દર્દીઓ વધુ પ્રમાણમાં અર્બન સ્લમ વિસ્તાર, કન્સ્ટ્રકશન સાઇટ જેવી જગ્યાએ જોવા મળે છે.
જો કે ટીબી એક ચેપી રોગ હોવા છતાં સિવિલમાં દર્દીઓને આમ તેમ ભટકવાની ફરજ પડાઈ રહી છે. આ અંગે શહેર વસાહત મહા સંઘના પ્રમુખ કેસરીસિંહ બીહોલાએ કહ્યું હતું કે,ગાધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે શહેરના તથા જીલ્લામાંથી ટીબીના દરદીઓ સારવાર માટે આવે છે. પરંતુ અત્યારે હાલમાં તપાસ કરાવવા ઓપીડી બીજા માળે છે અને જીલ્લા ક્ષય કેન્દ્ર ત્રીજા માળે આવેલું છે. જેને કારણે બીમાર દર્દીઓને તપાસ માટે અને અન્ય રીપોર્ટ માટે આમથીતેમ ફેરવવામાં આવી રહ્યા છે.
વધુમાં ટીબીનાં દર્દીઓની તપાસની કોઈ ગંભીરતા તબીબો દ્વારા લેવામાં આવતી નથી. અને દર્દીઓને ઉપર નીચે મોકલીને ચેપ ફેલાય એવી સ્થિતિ ઉભી થઈ છે. એમાંય સિવિલમાં દાક્તરી તપાસ પછી ત્યાં જ સારવારના બદલે સ્થાનિક અર્બન હેલ્થ સેન્ટરમાં મોકલી દેવામાં આવે છે. ઘણીવાર દર્દીઓને હડધૂત પણ કરાયાની ફરિયાદો ઉઠવા પામી છે. ભૂતકાળમાં સિવિલ હોસ્પિટલ ખાતે અલગથી ક્ષય કેન્દ્ર (ટીબી) નું બિલ્ડીંગ હતું. જ્યાં ટીબીનાં દર્દીઓને દાખલ કરવાથી સારવાર સુધીની સુવિધા ભોંયતળિયે રહેતી હતી. આ પ્રકારની સુવિધા ફરીથી સિવિલમાં શરૂ કરવામાં માટે આરોગ્ય કમિશ્નરને પત્ર લખીને માંગણી કરાઈ છે.