પંચમહાલ (ગોધરા)33 મિનિટ પહેલા
ગ્લોબલ વોર્મિંગ અને કલાઈમેન્ટ ચેન્જની સમસ્યાથી કેવી રીતે બચી શકાય તે સંદેશ સાથે તમિલનાડુના યુવાને કાશ્મીરથી કન્યાકુમારી 3620 કિલોમીટરની સોલો સાઈકલિંગ યાત્રા શરુ કરી છે. પંચમહાલ ખાતે આવી પહોંચેલા આ સાઈકલયાત્રી વડોદરા શહેરમાં આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેઓ પોતાના દરેક કામ સાઈકલ પર જઈને પતાવે છે. તેઓ ગ્રીન ઈન્ડિયાને પ્રમોટ પણ કરે છે. લોકોને સાઈકલિંગ કરીને પર્યાવરણ બચાવાનો સંદેશ પણ આપે છે.

વડોદરા શહેરમાં આવેલી ખાનગી કંપનીમાં ફરજ બજાવતા શિવાસુર્યન મૂળ તમિલનાડુના વતની છે. તેઓ હંમેશા ગ્રીન ઈન્ડિયાને લઈ લોકોમાં જાગૃતિ લાવાનાનો પ્રયાસ કરે છે. આ માટે જીવનમાં સાઈકલને વધારે મહત્ત્વ આપ્યું છે. શિવાસુર્યને ફરી એકવાર દેશના નાગરિકોમાં જાગૃતિ લાવા માટે કાશ્મીરથી કન્યાકુમારી સુધી 3620 કિલોમીટરની સોલો સાઈકલિંગ યાત્રા શરુ કરી છે. આ યાત્રા કાશ્મીર સહિત રાજસ્થાન જેવા રાજ્યોમાંથી પસાર થઈ ગુજરાત આવી પહોંચી છે.
શિવાસુર્યન જણાવે છે કે, હું છેલ્લા 6 વર્ષથી ગુજરાતના વડોદરામાં સ્થાયી છું. ચાર વર્ષથી ક્લાઈમેન્ટ ચેન્જ માટે કામ કરું છુ. 3 માર્ચથી આ યાત્રા શરુ કરી છે. આ પહેલા મેં ગુજરાતથી તમિલનાડુ સુધી યાત્રા કરી હતી. મે મારા લગ્નમાં પણ સાઈકલનો ઉપયોગ કર્યો હતો. બધા મારી જેમ તો ન કરી શકે પણ નાના કામો સાઈકલથી કરવા જોઈએ તેવો મારો મત છે. 5થી 10 કિલોમીટર સાઈકલનો ઉપયોગ કરી શકાય છે. બધા લોકો સાઈકલનો ઉપયોગ કરશે તો તેની અસર જોવા મળશે.