વડોદરાએક કલાક પહેલા
- કૉપી લિંક
વડોદરામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા
કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ રાહુલ ગાંધીની ‘ભારત જોડો’ યાત્રાથી ગભરાઇ ગયેલી ભાજપ સરકાર દ્વારા અદાલતી કાર્યવાહી કરાવી રાહુલ ગાંધીનું સાંસદ પદ દૂર કરવા સુધીનું શસ્ત્ર ઉગામ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. આજે વડોદરા ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રીએ ભાજપ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ભાજપ ગમે તે કરે પરંતુ, કર્ણાટકમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રજા તેમને જાકારો આપવાની છે તે નક્કી છે.
સરકારના ઇશારે કાર્યવાહી થઈ
દેશમાં મોંઘવારી અને બેરોજગારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. અદાણીના કૌંભાડો સામે રાહુલ ગાંધી સતત અવાજ ઉઠાવી રહ્યા છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી ભાજપ સરકાર ગભરાઇ ગઈ છે. આથી ભાજપ સરકારે રાહુલ ગાંધીનું બદનક્ષીના મામલે થયેલા કેસમાં કેન્દ્ર સરકારના ઇશારે અદાલતમાં ઝડપથી કેસ ચલાવડાવ્યો હોવાનો ભરતસિંહ સોલંકીએ આક્ષેપ કર્યો હતો.
ભાજપની આકરી ટીકા થઈ રહી છે
તેમણે વધુમાં જણાવ્યું છે કે, કોર્ટે બે વર્ષની સજા આપતા ભાજપે ગણતરીના કલાકોમાં તેમનું સાંસદ પદ તત્કાળ અમલથી રદ કર્યું આ એ જ બતાવે છે કે, ભાજપ સરકાર કોંગ્રેસથી કેટલી ગભરાયેલી છે. પરંતુ, રાહુલ ગાંધીનું સાંસદ પદે દૂર કરાયા બાદ સમગ્ર દેશમાંથી ભાજપની આકરી ટીકા થઈ રહી છે. ભાજપ સરકારનો અદાણી પ્રશ્ને રાહુલ ગાંધીએ જેપીસીની રચના અંગે ઉઠાવેલ મુદ્દો મુખ્ય હોવાનું તેમણે જણાવ્યું હતું.
ભાજપ ગભરાઇ ગઈ છે
શહેરના મહેમાન બનેલા કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ સર્કિટ હાઉસ ખાતે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે, દેશના વિવિધ પ્રશ્નોનો નિકાલ રાજકારણથી પર એક થઈને લાવવા રાહુલ ગાંધીએ આહવાન કર્યું હતું. આ ઉપરાંત રાહુલની ભારત જોડો પદયાત્રાને મળેલી સફળતાથી કેન્દ્રની ભાજપ સરકાર ગભરાઇ ગઈ છે.
યાત્રાનું ઠેર-ઠેર સ્વાગત થયું
કન્યાકુમારીથી કાશ્મીર સુધીની પદયાત્રાને ભારે સફળતા મળી હતી. ભારત જોડો યાત્રામાં લોકોએ વિવિધ પ્રશ્નો અંગે પણ રાહુલ ગાંધીનું ધ્યાન દોર્યું હતું. બેરોજગારી અને મોંઘવારી અંગે ભારત જોડો યાત્રામાં રાહુલનું ઠેર ઠેર સ્વાગત થયું હતું. જેથી કેન્દ્રની ભાજપ સરકાર ગભરાઇ ગઈ હતી. ઉપરાંત અદાણી અંગે થયેલા ભારે હોબાળા બાબતે રાહુલ ગાંધીએ જેપીસીની રચના અંગે લોકસભામાં માગણી કરી હતી. જેથી ભાજપની કેન્દ્ર સરકારના કથિત ઇશારે બદનક્ષીનો કેસ તત્કાળ ધોરણે ચલાવાયો હતો.
અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ આક્ષેપ કર્યો હતો કે, કેન્દ્રની ભાજપ સરકાર છાશવારે રાહુલ ગાંધીનું અપમાન કરે છે. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષી નેતા અમી રાવત, સિનિયર કોર્પોરેટર ચંદ્રકાંત ભથ્થું, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટ, સત્યજીત ગાયકવાડ, કાઉન્સિલરો હરીશ પટેલ, પુષ્પાબહેન વાઘેલા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.