Sunday, March 12, 2023

બોટાદ, ધંધુકામાં માવઠાથી પાકને નુકસાન | Botad, damage to crops by gnats in Dhandhuka | Times Of Ahmedabad

બોટાદ8 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ખેડૂતોના ઘઉં, ચણા,વરિયાળી, જુવાર, જીરુંના પાકમાં વ્યાપક નુકસાન થયું

બોટાદ જિલ્લા અને ધંધુકા તાલુકામાં સાંજના સમયે સતત 3 દિવસથી વાવાઝોડા સાથે વરસાદ પડતા ઉભા અને તૈયાર થઈ ગયેલ પાકને મોટું નુકસાન થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે વહેલી તકે સર્વે કરી નુકસાનની સહાય કરવામાં આવે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે.

બોટાદ જિલ્લામાં અને ધંધુકા તાલુકામાં સતત 3 દિવસથી સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવી જતા વાવાઝોડા સાથે વરસાદ પડતા આ કમોસમી વરસાદના લીધે બોટાદ જિલ્લાના ગામડાઓ અને ધંધુકા તાલુકાના ગામડાઓમાં ખેડૂતોના ઉભા પાક અને તૈયાર થઈ ગયેલ પાકો જેવા કે ઘઉં, ચણા, વરિયાળી, જુવાર, જીરૂંના પાકોને મોટું નુકસાન થયું છે. ખેડૂતોના તૈયાર પાકો વાવાઝોડાના લીધે કમોસમી વરસાદ વરસતા આડા પડી ગયા છે. તો અમુક તૈયાર પાકો જીરું અને ચણા ખેડૂતોના ખળામાંથી ભારે પવનના લીધે વાવાઝોડામાં ઉડી ગયા છે. જેને લઈ ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આ વિસ્તારમાં સર્વે કરી ખેડૂતોને સહાય કરવામાં આવે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.

સર્વે માટે મુખ્યમંત્રીને રજૂઆત
બોટાદ જિલ્લામાં થયેલા વરસાદથી ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. ત્યારે જગતના તાત ગણાતા ખેડૂતો રાત દિવસ ટાઢ, તડકો, જંગલી પ્રાણીઓના ભયના ઓથાર નીચે તનતોડ મહેનત કરી અન્ય માણસોના પેટ ભરવાનું કામ કરી રહ્યા છે. ત્યારે સરકાર ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ હોય તો બોટાદ જિલ્લામાં માવઠાથી થયેલા ખેડૂતોના પાક નુકસાનનો તત્કાલ સર્વે કરી વળતર ચૂકવવા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. – મુકેશભાઈ મેખીયા, પ્રમુખ બોટાદ શહેર કોંગ્રેસ

કમોસમી વરસાદથી પાકને નુકસાન, સહાય માટે માગણી કરાઈ
સતત ત્રણ દિવસ સાંજના સમયે વાવાઝોડા સાથે પડેલ કમોસમી વરસાદના લીધે ખેડૂતોનાં ચણા અને જીરુમનો તૈયાર પાક વાવાઝોડામાં ઉડી ગયો હતો. જ્યારે વરિયાળી, ઘઉં, જુવારનો ઉભો પાક ભારે પવનના લીધે આડો પડી ગયો હતો. જેને લઈ ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ત્યારે વહેલી તકે સર્વે કરી સહાય કરવામાં આવે તેવી અમારી માગણી છે. – બળવંતસિંહ ડાયમાં, ખેડૂત અગ્રણી ખાસ ગામ

આગામી 14થી 18 માર્ચ દરમિયાન રાજ્યના વાતાવરણમાં ફરીથી પલટો આવશે
અરબી સમુદ્રમાં સર્જાયેલા ટ્રફની અસરથી આગામી 14થી 18 માર્ચ દરમિયાન રાજ્યના વાતાવરણમાં ફરીથી પલટો આવશે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ફરી માવઠું થવાની શક્યતા છે. તેમજ તેજ ગતિથી પવન ફૂંકાશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટા તો ક્યાંક છૂટાછવાયા કમોસમી વરસાદ પણ થશે. ખાસ કરીને રાજ્યના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં વરસાદની સાથે કરા પડવાની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: